કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે.


‘આત્મનિર્ભર ભારત’ પર જોર આપતું બજેટ

આશિષ કુમાર ચૌહાણ (મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ- બીએસઈ )

અંદાજપત્ર 2022-23 બહુ સંતુલિત છે અને તેમાં ગત બજેટના વિકાસ વૃદ્ધિના અભિગમને જાળવી રખાયો છે. આ અંદાજપત્રમાં નાણાપ્રધાને અત્યાર સુધીના સૌથી અધિક મૂડીખર્ચ સાથે રાષ્ટ્રીય ઉત્પાદન ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ક્લીન એનર્જીના હેતુ સાથે મૂડીરોકાણ સાઈકલને વેગ આપવા માટેનો મંચ પૂરો પાડ્યો છે. કોઈ નવા વેરા ન લાદવા સહિત વેરાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે અને વિકાસ માટે ‘’આત્મનિર્ભર ભારત”ના સર્જન પર જોર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. બજેટમાં એવી પોલિસીઓમાં ખર્ચ કરવાનાં સૂચન છે, જે વૃદ્ધિલક્ષી અને રોજગારલક્ષી છે જેના દ્વારા  ઉત્પાદન વધશે, કૃષિ-અર્થતંત્રને સહાયક થશે અને માળખાકીય સવલતોનું સર્જન થશે. ટૂંકમાં, આ બજેટ ટૂંકા ગાળામાં આર્થિક વિકાસને વેગ આપતું અને લાંબા ગાળામાં માળખાગત સુધારાઓ પર ભાર મૂકે છે.