નવી દિલ્હીઃ દેશભરમાં ત્રીજી મેએ યોજાયેલી નીટ યુજી પરીક્ષા 12 મેએ રદ કરવામાં આવી હતી. પેપર લીક થયાના સમાચાર વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. NTAના આ નિર્ણયથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, જેઓ નીટ યુજી પરીક્ષામાં હાજર રહ્યા હતા. NTAએ જણાવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે અને રિ-એક્ઝામની તારીખ આગામી 7-10 દિવસમાં જાહેર કરવામાં આવશે.
નીટ યુજી 2026 રદ કરવાની જાહેરાત સાથે જ NTAએ આ પેપર લીક કેસની તપાસ CBIને સોંપવાની જાહેરાત પણ કરી હતી. CBIએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંગળવારે FIR નોંધ્યા બાદ CBIની ટીમ નાસિક અને જયપુર પહોંચી હતી, જ્યાંથી પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
એ દરમિયાન નીટ યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA)એ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. એસોસિયેશને ફરી પરીક્ષા યોજવાની સાથે NTAને બદલવાની પણ માગ કરી છે. નીટ યુજી પરીક્ષા 2026ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. ઉમેદવારોને તેમની ફી પરત આપવામાં આવશે અને તેમનાં પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

25થી 30 લાખ રૂપિયામાં વેચાયું હતું નીટ યુજીનું પેપર
નીટ યુજી પેપર લીક કેસની તપાસમાં સામે આવ્યું છે કે ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી જયપુરના જામવારામગઢના રહેવાસી માગીલાલ અને દિનેશે 25થી 30 લાખ રૂપિયામાં NEETનો પેપર ખરીદ્યું હતું. દિનેશે આ પેપર પોતાના પુત્રને આપ્યું હતું, જે સીકરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
પરીક્ષા પહેલાં જ કલાકો અગાઉ ફરી રહ્યું હતું પેપર
તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ ઘણા કલાકો અગાઉ પેપર સર્ક્યુલેશનમાં આવી ગયું હતું. બીજી મેની રાત્રે તેને PDF સ્વરૂપે શેર કરવામાં આવ્યું હતું અને ત્રીજી મેની પરીક્ષા બાદ જ્યારે પ્રશ્નોનું મિલાન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં પ્રશ્નો મેચ થતાં આખા મામલાનો ભાંડો ફૂટ્યો હતો.




