નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે અને તે મોટા રાજકીય ફેરફારોના સંકેત આપી રહ્યા છે. આ પરિણામો દેશના વિરોધ પક્ષના ચહેરામાં નોંધપાત્ર બદલાવ લાવી શકે છે. ચૂંટણી પરિણામો વિપક્ષના મુખ્ય ચહેરાઓ નેપથ્યમાં ચાલ્યા જશે. જેમ કેજરીવાલ જેવા વિપક્ષના નેતા પહેલાં જ CMની ખુરશી ગુમાવી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભાજપ સરકાર બનાવતી દેખાઈ રહી છે. જ્યારે તામિલનાડુમાં એમ.કે. સ્ટાલિન અને કેરળમાં પિનરાઈ વિજયનની સત્તા ખસી રહી છે. હાલના ટ્રેન્ડ્સ જો અંતિમ પરિણામોમાં બદલાય છે, તો તે વિરોધ પક્ષ માટે મોટી હાર સાબિત થશે અને દેશના વિરોધ પક્ષનું નેતૃત્વ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. અત્યાર સુધી જે નેતાઓ વિરોધના મુખ્ય ચહેરા તરીકે ઊભા રહ્યા હતા, તેમની પોઝિશન નબળી પડી શકે છે.
ભાજપની જીતનો વધતો સફર
2014ના લોકસભા ચૂંટણી બાદથી ભાજપે જીતનો જે સિલસિલો શરૂ કર્યો હતો, તે હજુ સુધી ચાલુ છે. થોડા રાજ્યોમાં થયેલા ઝટકાઓને છોડીને ભાજપનો પ્રભાવ સતત વધી રહ્યો છે. વિરોધ પક્ષના વિખરાવની શરૂઆત ફેબ્રુઆરી, 2025માં થઈ, જ્યારે દિલ્હીમાં ભાજપે આમ આદમી પાર્ટીને પરાજય આપ્યો અને અરવિંદ કેજરીવાલ સત્તાથી બહાર થઈ ગયા. ત્યાર બાદ નવેમ્બર 2025માં બિહાર ચૂંટણીમાં જેડીયુના નેતૃત્વવાળા એનડીએએ મોટી જીત મેળવી અને નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા. જોકે એપ્રિલમાં નીતીશકુમારે રાજીનામું આપ્યું, જેને કારણે બિન-ભાજપ મુખ્ય મંત્રીઓની યાદીમાંથી એક મોટું નામ ઓછું થઈ ગયું.
એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં ત્રણ મોટા વિરોધી નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર હતી. તેમાં પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જી, તામિલનાડુના એમ.કે. સ્ટાલિન અને કેરળના પિનરાઈ વિજયનનો સમાવેશ થાય છે. હાલના ટ્રેન્ડ્સ મુજબ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ભાજપથી પાછળ ચાલી રહી છે. તામિલનાડુમાં નવી પાર્ટી TVK સ્ટાલિનની સત્તાને પડકારતી દેખાઈ રહી છે, જ્યારે કેરળમાં એલડીએફ સરકાર પણ સત્તા ગુમાવતી દેખાઈ રહી છે.

શું કોંગ્રેસ મજબૂત બનશે?
આ પાંચ રાજ્યોના પરિણામો કોંગ્રેસ માટે રાહતરૂપ બની શકે છે. કેરળમાં કોંગ્રેસ સરકાર બનાવી શકે છે, જે તેની માટે ઉત્સાહજનક રહેશે. આથી બે ફાયદા થશે—એક તો કોંગ્રેસ એક રાજ્યમાં સત્તા મેળવી શકશે અને બીજું, વિરોધના અન્ય મોટા નેતાઓના પરાજય પછી રાહુલ ગાંધીની સ્વીકાર્યતા વિરોધના મુખ્ય નેતા તરીકે વધશે.




