બંગાળમાં મતગણતરીમાં ગેરરીતિનો CM મમતાનો આરોપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ મતગણતરીને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કાઉન્ટિંગ એજન્ટો અને ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું મતગણતરી કેન્દ્ર ન છોડે. તેમણે કહ્યું હતું કે શરૂઆતના રાઉન્ડમાં આંકડાઓ અંગે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ભાજપ પર મમતાના ગંભીર આરોપો

તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ મતગણતરીના પ્રથમ બે-ત્રણ રાઉન્ડના આંકડાઓ આગળ બતાવીને માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે બાદના રાઉન્ડમાં વાસ્તવિક સ્થિતિ સામે આવશે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે અનેક સ્થળોએ બે-ત્રણ રાઉન્ડ પછી મતગણતરી રોકી દેવામાં આવી છે. એ સાથે જ કેટલીક જગ્યાએ મશીનોમાં ગરબડ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કલ્યાણીમાં સાત મશીનો પકડાયાં, જ્યાં કોઈ મેળ ખાતો જોવા મળ્યો નથી.

ચૂંટણી પંચ પર નિષ્પક્ષતા અંગે સવાલ

મુખ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા TMCના કાર્યકરો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને જબરદસ્તી કબજો કરવામાં આવી રહ્યો છે. મમતાએ ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તે નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યું નથી.

કાર્યકરોને સંદેશ – ધીરજ રાખો, આપણે જીતીશું

તેમણે પોતાના કાર્યકરો અને એજન્ટોને શાંત રહેવા અને ધીરજ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે મન ખાટું કરવાની જરૂર નથી. મમતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બધા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા પછી તેમની પાર્ટી જીત હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે મેં કહ્યું હતું કે સૂર્યાસ્ત પછી તમે જીતશો. ત્રણ-ચાર રાઉન્ડ ગણતરી થયા પછી કુલ 14થી 18 રાઉન્ડ ગણતરી થાય છે, ત્યાર બાદ તમે જીતશો. તેમણે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંપૂર્ણ મતગણતરી પછી તેમની પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવી લેશે.