નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને HCની નોટિસ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે. EDએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે તેની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના આ નિર્ણય સામે EDએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર હવે હાઈકોર્ટે કાર્યવાહી કરતા તમામ આરોપીઓને નોટિસ પાઠવી છે.

હાઈકોર્ટે EDની અરજી પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કુલ સાત આરોપીઓને નોટિસ જાહેર કરી છે. આ કેસમાં આગામી સુનાવણી 12 માર્ચે થશે. આ સુનાવણીમાં ED તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે અંતિમ નિષ્કર્ષ એ છે કે 50 લાખ રૂપિયાની રકમને બદલે આરોપીઓને અંદાજે 2000 કરોડ રૂપિયાની સંપત્તિ મળી છે. તેમણે જણાવ્યું હતું કે જૂન, 2014માં એક વ્યક્તિ દ્વારા ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને આધારે નીચલી અદાલતે સંજ્ઞાન લીધું હતું, પરંતુ બાદમાં દિલ્હી હાઈકોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો.

તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે EDએ આ કેસની તપાસ પૂર્ણ કરી છે, પૂરતા પુરાવા એકત્રિત કર્યા છે, અનેક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યાં છે અને આરોપીઓનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે.

કોર્ટમાં શું દલીલો થઈ?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જો કોઈ એક પેજની FIR દાખલ કરે તો તે પણ EDના અધિકાર હેઠળ ગુનાનો મામલો બની શકે છે, પરંતુ CRPCની કલમ 200 હેઠળ કોર્ટ દ્વારા લેવાયેલી નોંધ શું EDની ફરિયાદનો આધાર બની શકતું નથી? નીચલી અદાલતે એવું કહ્યું કે જો કોર્ટ ખાનગી ફરિયાદ પર નોંધ સુધ્ધાં લઈ લે તો ED કંઈ કરી શકતી નથી.

નીચલી કોર્ટે મોટી ભૂલ કરી છે – તુષાર મહેતા

એસજી તુષાર મહેતાએ દલીલ કરી કે નીચલી અદાલતે મોટી ભૂલ કરી છે. આ માત્ર આ કેસ સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર અન્ય ઘણા કેસો પર પણ પડશે. કારણ કે અદાલતે એવું કહ્યું છે કે જો કોઈ કોર્ટ ખાનગી ફરિયાદ પર નોંધ લે, તો ED કોઈ કાર્યવાહી કરી શકતી નથી.