નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. અફઘાન સરકારનો દાવો છે કે તેમણે પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર કબજો જમાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ “ઓપરેશન ગજબ લિલ હક” શરૂ કર્યું છે. પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શુક્રવારે અફઘાન તાલિબાન સરકાર સામે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી છે. ખ્વાજા આસિફે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “અમારી ધીરજ હવે ખતમ થઈ ગઈ છે. હવે અમારા અને તમારા વચ્ચે ખુલ્લું યુદ્ધ છે.” પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે અમારી સશસ્ત્ર દળોની પ્રતિક્રિયા વ્યાપક અને નિર્ણાયક છે. જે લોકો અમારી શાંતિને કમજોરી સમજે છે, તેમને આકરો જવાબ મળશે અને કોઈ પણ બચી નહીં શકે.
Pakistan’s defence minister Khawaja Asif declares an “open war” against Taliban.
Pak airforce has struck several locations in Afg including Kabul.
One Muslim country has declared war on another Muslim country in the month of Ramzan. pic.twitter.com/geU8q6Xy92
— Yusuf Unjhawala 🇮🇳 (@YusufDFI) February 27, 2026
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ નાગરિકોને નિશાન બનાવવા બદલ અફઘાન તાલિબાનની નિંદા કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા X પર જાહેર કરાયેલા નિવેદનમાં તેમના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ અફઘાન તાલિબાનની ખુલ્લી આક્રમકતાનો મક્કમ જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું હતું કે અફઘાન તાલિબાને હુમલો કરીને મોટી ભૂલ કરી છે. તેમને તેના ગંભીર પરિણામો ભોગવવાં પડશે. અમે અમારી સુરક્ષાને જોખમમાં મૂકવા નહીં દઈએ.
પાકિસ્તાને ક્યાં-ક્યાં એરસ્ટ્રાઈક કરી?
પાકિસ્તાની સશસ્ત્ર દળોએ હવાઈ હુમલા કર્યા છે અને કાબુલ, કંધાર અને પક્તિયામાં અફઘાન તાલિબાનનાં મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે. અહેવાલ મુજબ કાબુલમાં બે બ્રિગેડ મુખ્યાલય નષ્ટ થયા છે, જ્યારે કંધારમાં એક કોર મુખ્યાલય અને એક બ્રિગેડ મુખ્યાલય ધ્વસ્ત થયા છે. ઉપરાંત, કંધારમાં એક ગોળા-બારુદ ડેપો અને લોજિસ્ટિક્સ બેઝને પણ નષ્ટ કરી દેવાયાં છે. પક્તિયામાં એએ કોર્પ્સ મુખ્યાલયને પણ તબાહ કરાયું છે.

અફઘાનિસ્તાનનો શો દાવો?
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 2611 કિમી લાંબી ડુરંડ લાઇન પર ગુરુવારે કરાયેલી જવાબી કાર્યવાહીમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. મંત્રાલયના નિવેદન અનુસાર આ ચાર કલાકનું અભિયાન 26 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યે શરૂ થયું હતું, જે રમઝાનનો નવમો દિવસ હતો.
અફઘાન દળોએ દાવો કર્યો કે પક્તિકા, પક્તિયા, ખોસ્ટ, નંગરહાર, કુનર અને નૂરિસ્તાન નજીક આવેલી ચોકીઓને નિશાન બનાવવામાં આવી. બે ઠેકાણાં નષ્ટ કરાયાં, 19 ચોકીઓ પર કબજો જમાવ્યો અને હથિયારો તેમ જ વાહનો જપ્ત કરવામાં આવ્યાં. નંગરહારમાં એક શરણાર્થી કેમ્પ પર મિસાઇલ હુમલામાં આઠ અફઘાન લડાકુઓ માર્યા ગયા અને 11 ઘાયલ થયા, જ્યારે 13 નાગરિકો પણ ઘાયલ થયા.




