નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરૈશી વિશેના વિવાદાસ્પદ નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશ પર કોઈ સ્ટે નહીં મૂકે. CJI બી.આર. ગવઈએ વિજય શાહને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે કેવાં પ્રકારનો નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી થઈને આવા શબ્દોનો ઉપયોગ કરો છો? શું આ મંત્રીને શોભે છે?
કોર્ટએ કહ્યું હતું કે કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પાસેથી આવા પ્રકારનાં નિવેદનોની અપેક્ષા રાખી શકાય નહીં. જ્યારે દેશ આવી નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે જવાબદારી ભરેલા પદે રહેલી વ્યક્તિએ આવું બોલવું યોગ્ય નથી.
CJIએ વધુમાં પૂછ્યું: શું તમે જાણો છેને તમે કોણ છો? એના પર વિજય શાહના વકીલે જવાબ આપ્યો હતો કે તેમના અસીલે માફી માગી લીધી છે. મિડિયા દ્વારા તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને તેને અતિશય ઓવર હાઈપ કરવામાં આવ્યું છે. વકીલે એ પણ કહ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપતાં પહેલાં અમારી વાત નહોતી સાંભળી.
તમે હાઇકોર્ટ સમક્ષ કેમ ન ગયા? એમ CJIએ સવાલ કરતાં કહ્યું હતું કે અમે આ મામલે આવતી કાલે સુનાવણી કરીશું, 24 કલાકમાં કંઈ બગડવાનું નથી. એમ કહીને કોર્ટે વિજય શાહ સામે થયેલી FIR પર સ્ટે લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.
મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ કર્નલ સોફિયા કુરૈશી અંગેના વિવાદાસ્પદ નિવેદન પછી મહુ તાલુકાના માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ કાર્યવાહી મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સ્પષ્ટ આદેશને આધારે કરવામાં આવી છે.
