ભગવાન તમે કોને પ્રાર્થના કરો છો?

એક બાળકે પ્રભુને પત્ર લખીને પૂછ્યું, “ભગવાન, તમે કોને પ્રાર્થના કરો છો; અને જો તમે પ્રાર્થના કરો નહીં તો તમારી મમ્મી તમને ખિજાય કે નહીં?” ઇમેજ પ્રકાશનના એક પત્રસંગ્રહમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે.

બાળકના આ પત્રમાં એની સાદગી અને નિર્દોષતા ઝળકે છે. આપણામાંથી કેટલા લોકો ઈશ્વરને આવો પત્ર લખવાનું વિચારી શકે અને લખી કાઢે? તમે જ કહો, તમે ક્યારેય આવું વિચાર્યું છે ખરું?

બાળકો આનંદિત અને રમતિયાળ હોય છે. કોઈ બાળકને પૂછી જુઓ કે એ કઈ બ્રાન્ડનાં કપડાં પહેરે છે, ફરવાની કઈ વિખ્યાત જગ્યાએ જાય છે અને એના મિત્રો પોતપોતાના જન્મદિવસ કઈ જગ્યાએ ઉજવે છે! એને કંઈ જ ખબર નહીં હોય, કારણ કે એની દૃષ્ટિએ આવી બધી વાતોનું મહત્ત્વ હોતું નથી.

અહીં મને એક કિસ્સો યાદ આવે છે. મારા એક પરિચિત અંકલ અને આન્ટીએ એમના પૌત્રને કહ્યું કે એણે બધા ફટાકડા મિત્રોને ફોડવા આપવાને બદલે પહેલાં પોતે ફટાકડા ફોડી લેવા. એમણે એમ પણ કહ્યું કે બીજાઓને થોડું આપવું, બધું આપી દેવું નહીં. એ રાતે પૌત્રે પોતાના બધા ફટાકડા દાદા-દાદીના ઓરડાની બહાર મૂકી દીધા અને સાથે એક ચિઠ્ઠીમાં લખ્યું, “જો હું મિત્રોને કંઈ આપી શકું નહીં તો મારે પણ આ ફટાકડા જોઈતા નથી.” ચિઠ્ઠીમાં એણે વધુમાં લખ્યું, ગયા વર્ષે “હું રમતાં રમતાં પડી ગયો અને મારા ઘામાંથી લોહી વહી રહ્યું હતું ત્યારે મારા મિત્રો જ મને ઘરે લઈ આવ્યા હતા. એ વખતે ઘરમાંથી કોઈએ મિત્રોને કેમ કહ્યું નહીં કે તેમણે આટલું બધું કરવાની જરૂર ન હતી!”

જો આપણે બાળકો જેવા સુખી અને આનંદિત, પ્રફુલ્લિત રહેવું હોય તો સાદું જીવન જીવવું જરૂરી છે, નિર્દોષ બનવું જરૂરી છે. જે દિવસે આપણે ભૌતિક સુખ પ્રત્યેનો રાગ છોડી દઈશું એ દિવસે આપણે સુખી થઈ જઈશું. સારાં કપડાં પહેરવાની, જન્મદિવસ સરસ રીતે ઉજજવાની અને નવાં નવાં સ્થળોએ ફરવા જવાની જરાય ના નથી, પરંતુ એના પ્રત્યે આસક્તિ હોવી જોઈએ નહીં. આપણને મળતો આનંદ આપણાં કપડાંની બ્રાન્ડ કે ફરવા જવાના સ્થળના આધારે નક્કી થતો નથી અને થવો જોઈએ નહીં.

ઉક્ત બાળકના ઉદાહરણના આધારે કહેવાનું કે બીજાઓને કંઈક આપવામાં જરાય સંકોચ કરવો નહીં. ભગવાન જ્યારે આપણને કંઈક આપે છે ત્યારે એ આપણે બીજાઓ સાથે વહેંચી લેશું એવી અપેક્ષા રાખે છે. ભગવાન પોતે જેના પર વિશ્વાસ રાખી શકે એવા પ્રામાણિક માણસોને શોધતા હોય છે. જ્યારે એવા માણસો મળી જાય ત્યારે તેઓ ઈચ્છે છે કે એ માણસો ભગવાનના નામે સમાજને કંઈક આપે. ભગવાન પ્રામાણિક અને વિશ્વાસપાત્ર માણસોને જ પોતાનું માધ્યમ બનાવે છે.

યોગિક વેલ્થ સાદગીપૂર્ણ, પ્રામાણિકતાપૂર્ણ અને સત્યનિષ્ઠ જીવન જીવવાનું કહે છે. સત્યનિષ્ઠા પોતાના પ્રત્યે અને પ્રભુ પ્રત્યે હોવી જોઈએ. જીવનમાં જેટલી વધુ સાદગી અને નિર્દોષતા હશે એટલું જ વધારે સુખ પ્રાપ્ત થશે. આપણે બધા મગજમાં બિનજરૂરી ક્લેશ ઉભા કરતાં હોઈએ છીએ અને પછી નિરાશા, હતાશા, ઉદાસી અનુભવવા લાગીએ છીએ.

મારા ગાઢ મિત્ર જયેશભાઈ ચિતલિયા હંમેશાં કહે છે, “લાઇફ ઇઝ બ્યુટીફુલ.” તેમણે પોતાના જીવનમાં પણ આ જ મંત્ર અપનાવ્યો છે. મેં એમને ભાગ્યે જ ચિંતામાં જોયા હશે. તેમના ચહેરા પર હંમેશાં સ્મિત હોય છે.

આપણે જીવવાનો આનંદ લેતા હોઈશું તો આપણી પાસે જે કપડાં છે, જે ખોરાક છે, જે જગ્યાઓએ ફરવા જવા મળ્યું છે એ બધું જ ગમવા લાગે છે. એવા સમયે આપણે ફક્ત એક જન્મદિવસની નહીં, સંપૂર્ણ જીવનની ઊજવણી કરીશું. યોગિક વેલ્થ જીવનની ઊજવણી સાથે સંબંધ ધરાવે છે અને શીખવે છે, “લાઇફ ઇઝ બ્યુટીફુલ.”

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)