નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા અંગે રાજકીય અને કાનૂની લડત સતત તેજ બની રહી છે. આજે અંતિમ મતદાર યાદી જાહેર થવાની છે. એ પહેલાં શુક્રવારે મુખ્ય મંત્રી મમતા બેનર્જી ફરી એક વાર આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ચૂંટણી પંચ ન્યાયિક અધિકારીઓને લઈને નવી માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) જારી કરી રહ્યો છે.
સિબ્બલનું કહેવું છે કે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિશ્વાસમાં લીધા વગર ન્યાયિક અધિકારીઓને તાલીમ અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ તેમણે ફરિયાદ કરી હતી કે પંચ નક્કી કરી રહ્યો છે કે કયા દસ્તાવેજ સ્વીકારવાના અને કયા નહીં. ખાસ કરીને SDO દ્વારા જારી કરાયેલા ડોમિસાઇલ સર્ટિફિકેટને સ્વીકારવામાં ન લેવાની બાબત પણ કોર્ટમાં ઉઠાવવામાં આવી હતી.
એના પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો પંચ તાલીમ નહીં આપે તો પછી કોણ આપશે? કોર્ટે એ પણ કહ્યું કે દરેક નાના મુદ્દે રોજ કોર્ટ આવવું પડે તો કામકાજ મુશ્કેલ બની જશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ કહ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ પર શંકા કરવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટ અગાઉ જ નિર્દેશ આપી ચૂકી છે કે SIR પ્રક્રિયાની દેખરેખ ન્યાયિક અધિકારીઓની દેખરેખ હેઠળ રહેશે અને દસ્તાવેજોની તપાસ પણ તે આધારે જ થશે.
આ મુદ્દે રાજકીય નિવેદનો પણ તેજ બન્યાં છે. તૃણમૂલ કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કરી રહ્યો છે અને મતદાર યાદીમાંથી નામ કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે SIR પ્રક્રિયાનું ઉદ્દેશ નકલી નામ દૂર કરીને મતદાર યાદીને સ્વચ્છ બનાવવાનો છે.
રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર થવામાં હવે લગભગ 24 કલાક પણ બાકી નથી. તે પહેલાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે લોકોના મતાધિકારની રક્ષા માટે તે કોર્ટ ગઈ છે, જ્યારે વિરોધ પક્ષ આને ચૂંટણી પહેલાં વાતાવરણ બનાવવા માટેનો પ્રયાસ ગણાવી રહ્યો છે.




