2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ‘મિશન 300’; ભાજપને આપશે ટક્કર

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષપદ હેઠળ આજે પક્ષની નવી રચાયેલી કારોબારી સમિતિ (CWC)ની પહેલી બેઠક આજે અહીં યોજવામાં આવી હતી. આ બેઠકમાં શાસક ભારતીય જનતા પાર્ટી પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે ગરીબ તથા દલિત લોકોનું દમન કરે છે. દેશના ગરીબ લોકો માટે સંઘર્ષ કરવાની પક્ષના કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી.

પોતાના સંબોધનમાં, કોંગ્રેસને દેશની વાચા તરીકે ઓળખાવીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશના વર્તમાન તથા ભવિષ્ય પ્રતિ કોંગ્રેસ એક જવાબદારી ધરાવે છે.

CWC એ કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા છે. ગઈ 17 જુલાઈએ રાહુલે નવી કારોબારી સમિતિની રચના કરી હતી. એમાં 23 સભ્યોને નિયુક્ત કર્યા હતા અને કેટલાક સિનિયર નેતાઓને પડતા મૂક્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલે આ નવી CWCની રચના કરી છે.

2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપની વિરુદ્ધ સમાન વિચારણીવાળા વિરોધ પક્ષો સાથે જોડાણ કરવાની કોંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને સત્તા આપી છે.

ભારતની આ ગ્રેન્ડ ઓલ્ડ પાર્ટીએ CWCમાં 2019ની ચૂંટણી વિશે વ્યૂહરચના ઘડવા અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસે આવનારી ચૂંટણીમાં 300 બેઠકો જીતવાનું મિશન નક્કી કર્યું છે.

ભાજપની આગેવાની હેઠળના એનડીએને ટક્કર આપવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ વ્યૂહાત્મક ગઠબંધન ઘડવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સભ્યોએ એવી શરત રાખી હતી કે એ ગઠબંધનનું નેતૃત્વ રાહુલ ગાંધીએ લેવું અને ગઠબંધનના કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટી રહેવી જોઈએ.

CWC બેઠકમાં અનેક રાજ્યોમાંથી આવેલા કોંગ્રેસના 259 સભ્યોએ હાજરી આપી હતી. તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ સહિત 40 નેતાઓ ભાષણ કર્યું હતું.