શું રાયબરેલીમાં પ્રિયંકાની વિરુદ્ધ વરુણ ગાંધીને ઉતારાશે?

નવી દિલ્હીઃ એક તરફ અટકળો લાગી રહી છે કે કોંગ્રેસ અમેઠી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ઉતારે એવી શક્યતા છે. બીજી બાજુ, ભાજપ રાયબરેલીથી વરુણ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારે એવી શક્યતા છે. કોંગ્રેસ અત્યાર સુધી ઉમેદવારો પર નિર્ણય નથી લીધો, પણ પ્રિયંકા ગાંધીનું નામ સૌથી આગળ છે. પાર્ટીના કાર્યકર્તાઓ આ પરંપરાગત સીટ માટે પ્રિયકાં ગાંધીનું નામ જાહેર કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ નાખી રહ્યા છે.

રાયબરેલી સીટનું પ્રતિનિધિત્વ ફિરોઝ ગાંધી, ઇન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને સોનિયા ગાંધી જેવા કેટલાક કોંગ્રેસી દિગ્ગજોએ કર્યું છે. બે દાયકા સુધી આ સીટથી સાંસદ રહેલાં સોનિયા ગાંધીએ હાલમાં સંસદમાં જવા માટે રાજ્યસભાનો રસ્તો પસંદ કર્યો હતો.

વરુણ ગાંધીએ આ સીટ પરથી પુષ્ટિ પણ નહોતી કરી કે નહોતો ઇનકાર પણ કર્યો. તેમણે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે ગોપનીયતાના આશ્વાસન સાથે થયેલી વાતચીતને જાહેરમાં ચર્ચા કરવી એ મારા માટે ઉચિત નથી. વરુણના આ નિવેદનથી તેમનું રાયબરેલીથી ચૂંટણી લડવાની વાત ફેલાઈ છે.

વરુણ ગાંધી પીલીભીતથી હાલના સાંસદ છે, પણ આ વખતે તેમને ત્યાંથી ટિકિટ નથી આપવામાં આવી.  કોંગ્રેસનાં સૂત્રોએ કહ્યું હતું કે પ્રબળ સંભાવના છે કે વાયનાડથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી ચૂંટણી લડે એવી શક્યતા છે. અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે. નામાંકન પ્રક્રિયા 26 એપ્રિલે શરૂ થશે અને ત્રીજી મે સુધી જારી રહેશે.