છેલ્લાં દસ વર્ષોમાં દેશના ખાદ્યાન્ન ઉત્પાદનમાં 10 કરોડ ટનનો વધારો

નવી દિલ્હીઃ ગ્રામીણ ભારત ભારતીય અર્થતંત્રમાં નવી ઊર્જા ભરી રહ્યું છે. ભારતે 2024-25માં 35.77 કરોડ ટન અનાજનું ઉત્પાદન કરીને ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લાં દસ વર્ષોમાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 10 કરોડ ટન વધ્યું છે. આ ખેતીમાં આત્મનિર્ભરતા અને ગામડાંના વિકાસ તરફ દેશની સતત વધતી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. દેશની વધતા વિકાસ દરમાં ગામડાંનો ફાળો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, એમ તાજેતરમાં પ્રકાશિત થયેલા ભારતીય અર્થતંત્ર સંબંધિત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અહેવાલો કહે છે.

આ સમયગાળા દરમિયાન જ્યાં વૈશ્વિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વૃદ્ધિ દર અંદાજે ત્રણ ટકા છે અને G-7 દેશોના અર્થતંત્રો સરેરાશ લગભગ 1.5 ટકા દરે વધી રહ્યાં છે, ત્યાં ભારતે વર્ષ 2025-26ની બીજા ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 8.2 ટકા નોંધાવ્યો છે. ખાસ ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બરે નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા જારી કરાયેલા ગ્રામીણ આર્થિક સ્થિતિ અને ભાવના સર્વેક્ષણ (RECSS)ના આઠમા તબક્કામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ગ્રામીણ પરિવારની આવક વધવાથી ખર્ચ કરવાની ક્ષમતા અને ઈચ્છા બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ સર્વે મુજબ 80 ટકા ગ્રામીણ પરિવારો છેલ્લા એક વર્ષમાં પોતાની ખપતમાં વધારો થયો હોવાની માહિતી આપી છે. નાબાર્ડના સર્વેમાં સ્પષ્ટ થયું છે કે અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં ખપત એટલી ઝડપી ગતિએ ક્યારેય વધી નથી. ગ્રામીણ પરિવારોની માસિક આવકનો 67.3 ટકા હિસ્સો હવે ખપત પર ખર્ચાઈ રહ્યો છે, જે સર્વે શરૂ થયા પછીનું સૌથી ઊંચું પ્રમાણ છે.

સર્વે દર્શાવે છે કે 29.3 ટકા ગ્રામીણ પરિવારોએ છેલ્લા એક વર્ષમાં મૂડીગત રોકાણ (ખેતી અને બિનખેતી બંને ક્ષેત્રોમાં) વધાર્યું છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ ગ્રામીણ સુધારા, વધુ સારું કૃષિ ઉત્પાદન, ગ્રામિણ વેતનમાં વધારો, ગ્રામીણ ઉપભોગમાં વૃદ્ધિ અને કર સુધારાઓ જેવાં પરિબળોના આધાર પર ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતું મોટું અર્થતંત્ર બની રહેશે. એ જ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિસર્ચના ગરીબી અંગેના અહેવાલમાં જણાવાયું છે કે ગરીબીમાં ઘટાડો શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ ઝડપથી થયો છે.

વર્ષ 2011-12માં ગ્રામીણ ગરીબી 25.7 ટકા અને શહેરી ગરીબી 13.7 ટકા હતી, જ્યારે વર્ષ 2023-24માં ગ્રામીણ ગરીબી ઘટીને 4.86 ટકા અને શહેરી ગરીબી 4.09 ટકા રહી છે. તેમાં કોઈ શંકા નથી કે વર્ષ 2019થી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મજબૂતી પૂરી પાડી રહી છે.