નવી દિલ્હીઃ TMCમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે વધુ મહત્વપૂર્ણ ઘટના બની છે. પાર્ટીપ્રમુખ મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. રાજ્યસભાનાં સાંસદ અને મમતા બેનર્જીની નજીકની નેતા સુષ્મિતાદેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ તેમણે હિમંતા બિશ્વ સરમા સાથે પણ મુલાકાત કરી હતી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. સુષ્મિતા દેવનું રાજીનામું TMC માટે વધુ એક મોટી રાજકીય પડકારરૂપ ઘટના માનવામાં આવી રહ્યું છે. તેઓ ભાજપમાં સામેલ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલો મુજબ સુષ્મિતા દેવે બુધવારે રાજ્યસભા સચિવાલયમાં પહોંચીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે TMC પહેલેથી જ પક્ષની અંદર અસંતોષ અને નેતાઓની નારાજગીનો સામનો કરી રહી છે. સુષ્મિતા દેવ TMCના એવા નેતાઓમાં સામેલ રહ્યાં છે જેમને રાષ્ટ્રીય સ્તરે પક્ષનો મજબૂત ચહેરો માનવામાં આવતો હતો. તેમણે વર્ષ 2021માં કોંગ્રેસ છોડીને TMCમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
જોકે તેમણે રાજીનામું શા માટે આપ્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને TMC માટે વધુ એક મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.
Sushmita Dev has resigned as a TMC Rajya Sabha Member of Parliament pic.twitter.com/5uYB4RNBi1
— IANS (@ians_india) June 10, 2026
આ પહેલાં પણ TMCની અંદર અસંતોષ અને વિખવાદની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અહેવાલો મુજબ પક્ષના 58 ધારાસભ્યોએ નેતૃત્વ વિરુદ્ધ મોરચો ખોલીને વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને અલગ જૂથ બનાવવાનો દાવો કર્યો હતો. આ ધારાસભ્યોએ નિષ્કાસિત નેતા ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા તરીકે પસંદ કર્યો હોવાનું પણ કહેવાય છે અને સ્પીકર તરફથી માન્યતા મળ્યાની ચર્ચા છે. બીજી તરફ લોકસભામાં પણ TMCને ઝટકો લાગ્યો હતો. સાંસદ કાકોલી ઘોષના નેતૃત્વમાં આશરે 20 સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યું હતું. તેમણે ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં અલગ બેઠકોની વ્યવસ્થા કરવાની માગ કરી હતી. એવી અટકળો ચાલી રહી છે કે આ સાંસદો એનડીએને સમર્થન આપી શકે છે.






