હાઇકોર્ટનો રાજ્ય સરકારને જીવલેણ ગ્લુ ટ્રેપ્સ પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ

અમદાવાદઃ  ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જાહેર કરેલા આદેશમાં (રિટ પિટિશન (PIL) નં. 28/2024) રાજ્યના મુખ્ય સચિવને સવાલ કર્યો છે કે 16 નવેમ્બર, 2020ના કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રના પ્રકાશમાં ગ્લુ ટ્રેપ્સના ઉપયોગ પર આકરા પ્રતિબંધ લાદવા માટે શું કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટઓફ એનિમલ્સ ઇન્ડિયા (PETA India)ને પણ પક્ષકાર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.PETA ઇન્ડિયાએ રાજ્યમાં ગ્લુ ટ્રેપ્સના વ્યાપક વેચાણ અંગે પુરાવા રજૂ કર્યા હતા, જે ઉંદર, પક્ષીઓ, ગરોળી, બિલાડીનાં બચ્ચાં અને અન્ય નાના પ્રાણીઓને ભારે પીડા પહોંચાડે છે.

કોર્ટે નોંધ્યું હતું કે ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રો માત્રથી ગ્લુ ટ્રેપ્સના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર અસરકારક પ્રતિબંધ અમલમાં લાવી શકાય નહીં. આ PCA અધિનિયમ, 1960ની કલમ 11 સાથે સુસંગત રીતે અમલમાં લાવવા માટે વધુ પગલાં જરૂરી છે, તેથી મુખ્ય સચિવને પૂછવામાં આવ્યું છે કે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 16 નવેમ્બર 2020ના પરિપત્ર પછી શું કાર્યવાહી કરવામાં આવી છે.

PETA ઇન્ડિયાના સિનિયર પોલિસી એડવાઇઝર ઉજ્જ્વલ અગ્રેને જણાવ્યું હતું કે ગ્લૂ ટ્રેપ્સ નાનાં પ્રાણીઓને અત્યંત ધીમું અને પીડાદાયક મૃત્યુ તરફ ધકેલી દે છે. કોઈ પણ નાનું પ્રાણી તેમાં ફસાઈ શકે છે. ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લઈને આ તમામ ગ્લુ ટ્રેપ્સ બજારમાંથી દૂર કરવાં જોઈએ.

આ ટ્રેપ્સમાં ફસાયેલા ઉંદર અને અન્ય પ્રાણીઓ ઘણી વાર ભૂખ, તરસ અથવા પર્યાવરણના પ્રભાવથી દિવસો સુધી તડપી તડપી મરી જાય છે. કેટલાક શ્વાસ લેવામાં અસમર્થ બની જાય છે કારણ કે તેમના નાક અને મોં ચોંટી જાય છે. કેટલાક છૂટવા માટે પોતાનાં અંગો કાપી નાખે છે અને રક્તસ્ત્રાવથી મરી જાય છે. જીવતા મળેલા પ્રાણીઓને કચરામાં ફેંકી દેવામાં આવે છે અથવા તેમને વધુ ક્રૂર રીતે મારવામાં આવે છે. દેશમાં મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, મીશો,સ્નેપડીલ અને જિયોમાર્ટ તેમ જ મોટા રિટેલર્સ જેમ કે વેલનેસ ફોરએવર અને રાજમંદિર હાયપરમાર્કેટે ગ્લુ ટ્રેપ્સને વેચાણમાંથી દૂર કરી દીધા છે. વિશ્વના ઘણા દેશોમાં જેમ કે ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, ન્યુ ઝીલેન્ડ, નોર્વે, જર્મની, નેધરલેન્ડ, આઈસલેન્ડ અને આયર્લેન્ડમાં ગ્લુ ટ્રેપ્સ પર પ્રતિબંધ અથવા નિયંત્રણ છે.

PETA ઇન્ડિયા સૂચવે છે કે ઉંદર નિયંત્રણ માટે શ્રેષ્ઠ રીત એ છે કે એ જગ્યાને તેમના માટે અનાકર્ષક બનાવવી:

* ખોરાકના સ્ત્રોત દૂર રાખવા

* સપાટી અને ફ્લોર સાફ રાખવા

* ખોરાક મજબૂત ડબ્બામાં સંગ્રહિત કરવો

* કચરાપેટી સીલ કરવી

* એમોનિયાવાળા કપાસ કે કપડાંથી તેમને દૂર રાખવા

થોડા દિવસો બાદ, પ્રવેશના રસ્તાઓ ફોમ સીલન્ટ, સ્ટીલ વૂલ અથવા મેટલ સામગ્રીથી બંધ કરવા. માનવતાવાદી કેજ ટ્રેપ્સનો ઉપયોગ કરીને પણ તેમને પકડવામાં આવી શકે છે, પરંતુ પછી તેમને એવી જગ્યાએ છોડવા જોઈએ જીવતા રહેવા માટે જ્યાં ખોરાક, પાણી અને આશ્રય ઉપલબ્ધ હોય.