પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ 200 થી વધુ બેઠકો પર આગળ હોવાથી બાંગ્લાદેશી મીડિયામાં તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશના અગ્રણી અખબારો જેમ કે ‘પ્રથમ આલો’ અને ‘ધ ડેલી સ્ટાર’ એ ભાજપની જીતને હિન્દુત્વના ધ્રુવીકરણનું પરિણામ ગણાવ્યું છે. વિશ્લેષણમાં જણાવાયું છે કે હિન્દી પટ્ટાનું હિન્દુત્વ હવે બંગાળીઓના મનમાં પણ ઊંડે સુધી ઉતરી ગયું છે. સાથે જ, બાંગ્લાદેશી મીડિયાએ ચૂંટણી પંચની ભૂમિકા અને મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

બાંગ્લાદેશના જાણીતા અખબાર ‘પ્રથમ આલો’ એ પશ્ચિમ બંગાળની ચૂંટણી પર એક વિશેષ વિશ્લેષણાત્મક લેખ પ્રકાશિત કર્યો છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે જો ભાજપ બંગાળ જીતશે, તો તે પાર્ટી માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે. અત્યાર સુધી બંગાળી સમાજ તેની સમન્વયવાદી હિન્દુ પરંપરા માટે જાણીતો હતો, પરંતુ આ ચૂંટણીના પરિણામો સાબિત કરી રહ્યા છે કે હિન્દુત્વ આધારિત ધ્રુવીકરણ હવે બંગાળમાં સફળ રહ્યું છે. લેખ મુજબ, ભાજપની આ જીત એ વાતનો પુરાવો છે કે જે હિન્દુત્વનો પ્રભાવ ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળતો હતો, તે હવે બંગાળી માનસમાં પણ સ્થાયી થઈ ગયો છે. આ જીતથી રાજ્યમાં ઔદ્યોગિકીકરણના નવા દ્વાર ખૂલી શકે છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના અસ્તિત્વ સામે મોટું સંકટ ઉભું થઈ શકે છે.

બાંગ્લાદેશના અન્ય એક પ્રખ્યાત અખબાર ‘ધ ડેલી સ્ટાર’ એ ભારતના ચૂંટણી પંચની કાર્યશૈલી પર કટાક્ષ કર્યો છે. અખબારે લખ્યું છે કે વોટર લિસ્ટને અપડેટ કરવા માટે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યુ (SIR) કરવામાં આવ્યો, તેના કારણે લાખો મતદારો મતાધિકારથી વંચિત રહી ગયા છે. આંકડાઓ અનુસાર, અંદાજે 91 લાખ નામો યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, જેમાં અનેક પ્રતિષ્ઠિત પરિવારો અને સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. લેખમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના પ્રચારમાં મુસ્લિમ ઘૂસણખોરીના મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી પંચ આખી પ્રક્રિયા દરમિયાન એક પણ ઘૂસણખોરની ઓળખ કરી શક્યું નથી.

બાંગ્લાદેશી મીડિયામાં મમતા બેનર્જીની હારના કારણો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘ધ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ’ ના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીને ભ્રષ્ટાચાર, વસૂલી અને કથિત રાજકીય કાવતરાઓના આરોપો નડ્યા છે. અખબારે લખ્યું છે કે બંગાળમાં સત્તા પરિવર્તનના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસ હવે રક્ષણાત્મક સ્થિતિમાં છે. દરમિયાન, બાંગ્લાદેશી અખબાર ‘દૈનિક ઇત્તેફાક’ એ તો ત્યાં સુધી લખી દીધું છે કે ભલે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પર આજ્યમાં ભાજપે સરકાર બનાવી લીધી છે અને તૃણમૂલના દોઢ દાયકાના શાસનનો અંત આવ્યો છે.

આ ચૂંટણી પરિણામોની અસર ભારત-બાંગ્લાદેશના સંબંધો પર કેવી પડશે, તે અંગે પણ બાંગ્લાદેશમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓના આક્રમક નિવેદનો અને ઘૂસણખોરીના મુદ્દાઓ બાંગ્લાદેશી મીડિયામાં ચર્ચાના કેન્દ્રમાં છે. વિશ્લેષકોનું માનવું છે કે ભાજપની જીત બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂ થશે, જેની અસર માત્ર ભારતના લોકતંત્ર પર જ નહીં પરંતુ દક્ષિણ એશિયાના પ્રાદેશિક સમીકરણો પર પણ પડી શકે છે. બંગાળમાં ભાજપની આ મજબૂત પકડ હવે ભારતીય ગણતંત્રના ભવિષ્યને નવી દિશા આપશે તેવું બાંગ્લાદેશી મીડિયાનું તારણ છે.

