સરકારે શોએબ અખ્તર સહિત આ યુટ્યુબ્સ ચેનલ્સ પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. અનેક ન્યૂઝ ચેનલોની ઓનલાઇન સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવી ઘણી મોટી હસ્તીઓની યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં ઘણા મોટા મિડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે પહલગામ આતંકવાદી ઘટના બાદ ગૃહ મંત્રાલયની ભલામણોને ધ્યાનમાં લઈને ભારત તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, જૂઠાણાં અને ખોટી માહિતી ફેલાવવા બદલ ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

પાકિસ્તાનની જે 11 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં મુખ્ય છે ડોન ન્યૂઝ, સમા ટીવી, ARY ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર ટીવી, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ અને ઉઝૈર ક્રિકેટ જેવાં નામોનો સમાવેશ થાય છે.  વડા પ્રધાન મોદીએ દેશને વિશ્વાસ આપ્યો છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને આ હુમલાના કાવતરાખોરોને મોટી સજા કરવામાં આવશે.