ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં: લેન્ગર

બ્રિસ્બેનઃ અહીંના ગબ્બા મેદાન પર ગઈ કાલે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટ મેચમાં અને સિરીઝમાં હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ જસ્ટિન લેન્ગરે પોતાની ટીમના પરાજયને પગલે કહ્યું છે કે ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં, ક્યારેય નહીં. લેન્ગરે ચેનલ-7ને આપેલી મુલાકાતમાં કહ્યું કે, આ ટેસ્ટ સિરીઝ આશ્ચર્યજનક રહી અને અંતમાં તો કાયમ એક વિજેતા બને છે અને બીજો હારનાર. આજે ટેસ્ટ ક્રિકેટ વિજેતા બન્યું છે. આ આઘાત અમને ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેશે. ભારત સંપૂર્ણ શ્રેયને પાત્ર છે. એ લોકો અસાધારણ રમત રમે છે. અમને આ પરિણામમાંથી એ બોધપાઠ શીખવા મળ્યો છે કે ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં, ક્યારેય નહીં. એ લોકોની દોઢ અબજની વસ્તી છે. એમાંની ઈલેવન સામે રમવું ઘણું જ કઠિન હોય છે.

 

ઉલ્લેખનીય છે કે ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચના આરંભ પૂર્વે ભારતીય ટીમ તેના અનેક ખેલાડીઓને થયેલી ઈજાની સમસ્યાથી ત્રસ્ત હતી. અડધો ડઝન જેટલા ખેલાડીઓ ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયા હતા. એવા સંજોગોમાં પણ ટીમે ઓસ્ટ્રેલિયા પર પાંચમા અને છેલ્લા દિવસે 3-વિકેટથી વિજય હાંસલ કર્યો. 328 રનનો ટાર્ગેટ સાત-વિકેટના ભોગે ગુમાવીને સફળતાપૂર્વક ચેઝ કરી બતાવ્યો.