વિજેતા ટીમ ઈન્ડિયાને ક્રિકેટબોર્ડ તરફથી રૂ.પાંચ-કરોડનું ઈનામ

મુંબઈઃ આજે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં 3-વિકેટથી હરાવીને ભારતે સિરીઝ 2-1થી જીતી લીધા બાદ અજિંક્ય રહાણે અને એના સાથીઓ, ખાસ કરીને લડાયક બેટિંગ કરનાર વિકેટકીપર રિષભ પંત પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વિજેતા બનેલી ટીમ માટે રૂ. પાંચ કરોડના બોનસની જાહેરાત કરી છે. આ જીત સાથે બ્રિસ્બેનના ગબ્બા મેદાન પર ઓસ્ટ્રેલિયા પર ટેસ્ટ મેચ જીત હાંસલ કરવાના ભારત માટે 32 વર્ષના દુકાળનો અંત આવી ગયો છે.

ભારતને ટેસ્ટ મેચ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ અપાયો હતો. ભારતે 97 ઓવર રમીને 7 વિકેટના ભોગે 329 રન કરીને મેચ તથા સિરીઝ બંને જીતી લીધા. પાંચમા ક્રમના બેટ્સમેન રિષભ પંત 138 બોલનો સામનો કરીને 89 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. એને મયંક અગ્રવાલ (9), વોશિંગ્ટન સુંદર (22)નો ટેકો મળ્યો હતો. મેચ પૂરી થયાની અમુક મિનિટોમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને બોનસની જાહેરાત કરી હતી.