દિલ્હીમાં કેટલાક લોકો મને લોકતંત્ર શીખવાડે છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકો માટે આરોગ્ય યોજના શરૂ કરી હતી. તેમણે વિડિયો કોન્ફરન્સ દ્વારા 12.40 કલાકે યોજનાનું ઉદઘાટન કર્યુ હતું. આ યોજના રજૂ કરતી વખતે વડા પ્રધાન મોદીએ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કરતાં કહ્યું હતું કે કેટલાક લોકો મને લોકતંત્ર શીખવાડવાના પ્રયાસ કરી રહ્યા છે.  દિલ્હીમાં કેટલાક લોકો જે હંમેશાં મારી પર કટાક્ષ કરે છે અને અપમાન કરે છે. હું તેમને રાજ્યમાં ડીડીસી ચૂંટણીને લોકતંત્રના ઉદાહરણના રૂપે બતાવવા ઇચ્છું છું.જમ્મુ-કાશ્મીરમાં આ ચૂંટણીઓએ અમારા દેશમાં લોકતંત્ર કેટલું મજબૂત છે એ બતાવી આપ્યું છે. પણ એક પક્ષ છે, જ્યાં હું દેશનું ધ્યાન દોરવા માગું છું. પુડુચેરીમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પંચાયત અને મ્યુનિસિપલ ઈલેક્શન નથી થઈ રહી.

વડા પ્રધાને કહ્યું હતું કે આ યોજનાથી જમ્મુ-કાશ્મીરમાં એક કરોડ લોકોને લાભ મળશે. આ યોજના આયુષ્માન ભારતની જેમ હશે. એમાં કોઈ ફેરફાર નથી. આ યોજના હેઠળ રૂ. પાંચ લાખનો વીમો મળ્યો છે. હવે આરોગ્ય યોજનાનો લાભ જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકને મળશે.

તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં યુવાઓને હજારો નોકરીઓની તક માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. એક તરફ સરકારી નોકરીઓ બહાર પાડવામાં આવી રહી છે. બીજી તરફ સ્વરોજગાર યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.