ચૂંટણીમાં જનતાના રડાર પર છે બધા નેતા

નવી દિલ્હીઃ દેશમાં સાત તબક્કામાં થઈ રહેલી લોકસભા ચૂંટણીમાંથી બે તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને સત્તા પક્ષ અને વિપક્ષ જે પ્રકારે એકબીજા માટે અપશબ્દો વાપરવા પર ઊતરી આવ્યા છે એ લોકતાંત્રિત પ્રક્રિયા તરીકે બહુ શરમજનક છે.

સત્તાની ખુરશી માટે અમર્યાદિત ભાષાનો ઉપયોગ?

સવાલ એ છે કે આજના આ નેતાઓ આપણા માર્ગદર્શક છે, એટલે આ અપશબ્દોનો ઉપયોગ કરે છે. જનતામાં સત્તારૂઢ અને વિપક્ષનું મન તેમની તરફ આકર્ષિત થાય અને તેમના પક્ષમાં મતદાન કરીને તેમને સત્તાની ખુરશી હાંસલ કરાવી દેશે? દેશમાં રાજકારણીઓની કાદવ ઉછાળ નીતિ ચાલ્યા કરશે અને જનતા મૂરખ બનતી રહેશે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જનતાને ગુમરાહ કરવાનું એક ષડયંત્ર ચાલ્યા કરે છે. એક પક્ષ સત્તામાં હોય અને અને વિપક્ષ એનો રચનાત્મક વિરોધ કરવાને બદલે સતત ટીકાકાર હોય છે.

શું એવું ના થઈ શકે દેશમાં કે આ બંને પક્ષોના ઉમેદવારો જાહેરમાં વિચારવિમર્શ કરે, જેથી જનતા સમક્ષ સ્થિતિ સાફ થાય. જનતાનો ભ્રમ દૂર થાય. આ પ્રકારની જાહેરમાં ચર્ચા વિશ્વના વિકસિત દેશોમાં થતી રહી છે તો ભારતમાં એવું કેમ ના થઈ શકે. ક્યાંક એવું તો નથી કે આ નેતાઓ હજી પણ ભારતની જનતાને એ યોગ્ય નથી માનતા.

ચૂંટણીના પાંચ તબક્કા હજી બાકી છે અને પરિણામ ચોથી જૂને દેશ સામે આવશે, પણ શું ચૂંટણી પરિણામથી જનતા એનો જવાબ આપશે.