કોરોનાથી બચાવોઃ પવારે પંઢરપુરમાં વિઠોબાને વિનંતી કરી

મુંબઈઃ દેશ અને સમગ્ર દુનિયા ભયાનક કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત અને પરેશાન છે. આ મહાબીમારીને રોકવા માટેની રસી નિર્માણ ઉપર પણ ભારત સહિત અનેક દેશોમાં કામ ચાલુ છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે કોરોના રસી વહેલી તકે ઉપલબ્ધ થાય અને દુનિયા કોરોના મહાબીમારીમાંથી મુક્ત થાય એ માટે આજે દેવઉઠી એકાદશી નિમિત્તે પંઢરપુર યાત્રાધામના વિઠોબા મંદિરમાં જઈને પૂજા કરી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારે એમના પત્ની સુનેત્રા પવાર સાથે સોલાપુર જિલ્લામાં આવેલા પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં જઈને કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિઠોબા અને માતા રુકમિણીની પરંપરાગત મહાપૂજા કરી હતી. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે – 17,95,959. મુંબઈમાં આ રોગના કેસની સંખ્યા 2,78,590 પર પહોંચી છે.

બાદમાં પવારે એક નિવેદનમાં કહ્યું હતું કે આજે આખું જગત કોવિડ-19ના પડકારનો સામનો કરી રહ્યું છે. આપણે પણ એ પડકારનો સક્ષમ રીતે સામનો કરી રહ્યા છીએ… કોવિડ-19 રસી વહેલી તકે ઉપલબ્ધ થાય અને દુનિયા આ રોગચાળાથી મુક્ત થઈ જાય એવી મેં ભગવાનને પ્રાર્થના કરી છે. મને વિશ્વાસ છે કે ભગવાન આ તકલીફનો અંત લાવી દેશે. તેવી જ રીતે, આ વર્ષે ભારે વરસાદને કારણે જે ખેડૂતોને માઠી અસર પડી છે એમને પણ સરકાર પર્યાપ્ત રાહત પૂરી પાડી શકે એવી શક્તિ આપવાની પણ ભગવાનને પ્રાર્થના કરી છે.