‘પૂજારી’ પપ્પુ યાદવના વિરોધને લઈને વિવાદ

નવી દિલ્હીઃ રામ મંદિર ચંદા ચોરીને મામલે વિરોધ પક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ દરમિયાન સંસદના મોન્સૂન સત્ર દરમિયાન સોમવારે સંસદ પરિસરમાં પપ્પુ યાદવ સહિત અનેક વિરોધી પક્ષના નેતાઓએ આ મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં આવ્યા હતા. તેમના ઉપરાંત ઘણા વિરોધી સાંસદો દાનપેટી લઈને પણ સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. વિરોધ પક્ષના નેતાઓએ એક પ્રતીકાત્મક નાટ્યરૂપ પ્રદર્શન કર્યું, જેમાં પપ્પુ યાદવને ચંદા ચોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

પપ્પુ યાદવના વિરોધ પ્રદર્શનની રીતને લઈને ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. આરોપ છે કે પપ્પુ યાદવે અવધેશ પ્રસાદના પગે લાગવા માટે ભગવાન રામની તસવીર જમીન પર મૂકી દીધી હતી. આ ઘટનાને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. સંત સમાજે પણ પપ્પુ યાદવના આ વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિડિયોમાં જોવા મળે છે કે વિરોધ પક્ષે એક નાટ્યરૂપ પ્રદર્શન કર્યું હતું, જેમાં પપ્પુ યાદવને ચંદા ચોર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેટલાક સાંસદો દાનપેટીમાં દાન નાખતા દેખાય છે. આ દરમિયાન અયોધ્યાના સાંસદ અવધેશકુમાર પણ દાનપેટીમાં દાન આપવા માટે આગળ આવે છે. ત્યારે પૂજારીના વેશમાં બેઠેલા પપ્પુ યાદવ તેમના પગે લાગે છે, પરંતુ પગે લાગતી વખતે તેઓ ભગવાન રામની તસવીર જમીન પર મૂકી દેતા દેખાય છે.

ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિરોધી સાંસદોએ ભાગ લીધો હતો. ઘણા સાંસદો એક મોટું બેનર લઈને ઊભા હતા, જેમાં લખેલું હતું: “સંસદમાંથી અમિત શાહ ગાયબ કેમ છે?”

અખિલેશ યાદવે ભાજપ પર સાધ્યું નિશાન

વિરોધ પ્રદર્શન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે અવધેશ પ્રસાદનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરતાં લખ્યું હતું કે ભાજપ ‘અવધ એક્સપ્રેસ’ દ્વારા સત્તામાં આવી હતી અને હવે ‘અયોધ્યા એક્સપ્રેસ’ દ્વારા તેની વાપસી નિશ્ચિત છે.

અયોધ્યા ચંદા ચોરીનો મામલો શું છે?

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલા રોકડ નાણાં અને આભૂષણોની કથિત ચોરી અથવા ગબનનો મામલો સામે આવ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. આરોપ છે કે દાનની ગણતરી દરમિયાન કેટલાક કર્મચારીઓએ ચઢાવામાં ગેરરીતિ કરી હતી.