કિલ સ્વિચઃ ડિજિટર એરેસ્ટ કરનારા સ્કેમર્સનો ખેલ હવે થશે ખતમ?

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ એરેસ્ટના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો તેનો ભોગ બન્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયની એક હાઈ-લેવલ કમિટીએ ડિજિટલ અરેસ્ટ સામે લડવા માટે ‘કિલ સ્વિચ’ નામના એક વિચાર પર વિચારણા કરી છે.

આ કિલ સ્વિચ લોકોને ડિજિટલ એરેસ્ટના ખતરાથી બચાવશે અને સાથે-સાથે તેમના ખાતામાંથી પૈસા નીકળી જતાં તાત્કાલિક રોકી શકશે. એ ઉપરાંત, ગૃહ મંત્રાલય એક ઇન્શ્યોરન્સ મિકેનિઝમ બનાવવાની તૈયારીમાં પણ છે, જેથી બેન્કિંગ સિસ્ટમમાં થતા ફ્રોડથી થતા નુકસાનની ભરપાઈ કરી શકાય.

કિલ સ્વિચ અંગે જણાવવામાં આવી રહ્યું છે કે તેની મદદથી તમામ બેન્કિંગ ઓપરેશન્સને તરત જ ફ્રીઝ કરી શકાય છે. ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે કિલ સ્વિચનો આઈડિયા ખૂબ જ સરળ છે. UPI એપ અથવા અન્ય કોઈ બેન્કિંગ એપમાં એક કિલ સ્વિચ બટન આપવામાં આવશે. જેમ જ કોઈ ગ્રાહક આ બટન દબાવશે, ત્યાર બાદ તે ખાતામાંથી કોઈ પણ પ્રકારનો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન શક્ય નહીં રહે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે સરકાર ડિજિટલ એરેસ્ટના કેસોમાં એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે શું શંકાસ્પદ અથવા ફ્રોડવાળી લેવડદેવડને શરૂઆતના તબક્કે ઓળખી શકાય છે કે નહીં અને જો આવી કોઈ લેવડદેવડ થઈ પણ જાય, તો પૈસા મ્યુલ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થવાથી કેવી રીતે રોકી શકાય.

આંકડા દર્શાવે છે કે ડિજિટલ એરેસ્ટના કારણે દેશમાં આશરે 3000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના ઓક્ટોબરમાં આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લીધું હતું. ડિજિટલ અરેસ્ટના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષના ડિસેમ્બરમાં ગૃહ મંત્રાલયે એક હાઈ-લેવલ ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં વિવિધ એજન્સીઓના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેથી ડિજિટલ અરેસ્ટનાં તમામ પાસાંઓ પર વિચારણા કરી શકાય. ગયા અઠવાડિયે જ આ કમિટીએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો.