નિર્દયી સરકારને બંગાળમાંથી વિદાય કરવી અત્યંત જરૂરીઃ PM મોદી

માલદાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એક સભાને સંબોધી હતી. આ સભામાં તેમણે બંગાળની મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દાયકાઓ સુધી પૂર્વ ભારત એવા લોકોના કબજામાં રહ્યું હતું, જે વહેંચણીનું રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમના ચંગુલમાંથી મુક્ત કર્યાં છે.

ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર

તેમણે જણાવ્યું હતું કે ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. ત્રિપુરાએ ઘણાં વર્ષોથી ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આસામમાં તાજેતરની ચૂંટણીમાં પણ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. બિહારે ફરી એક વખત ભાજપ-એનડીએ સરકારને પસંદ કરી છે.

નિર્દય સરકારને વિદાય કરવી જરૂરી

તેમણે કહ્યું હતું કે આજે બંગાળ એ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ નથી. TMC સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ મેળવવાથી રોકી રહી છે. આવી નિર્દયી સરકારને બંગાળમાંથી વિદાય કરવી ખૂબ જ જરૂરી છે.

BMCમાં પ્રથમ વખત ભાજપની ઐતિહાસિક જીત

તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે જ મહારાષ્ટ્રમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે, જેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની રાજધાની અને દુનિયાની સૌથી મોટી નગરપાલિકાઓમાંની એક, BMCમાં પ્રથમ વખત ભાજપને રેકોર્ડ જીત મળી છે. થોડા દિવસો પહેલાં જ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ ભાજપના મેયર બન્યા છે.

Gen Zનો ભાજપ પર વિશ્વાસ

આ સાથે તેમણે કહ્યું હતું કે અર્થાત જ્યાં પહેલાં ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી, ત્યાં પણ આજે ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. એ બતાવે છે કે દેશનો મતદાર, દેશની Gen Z, ભાજપના વિકાસ મોડેલ પર કેટલો વધારે વિશ્વાસ કરે છે.