દબાણને કારણે અદાર પૂનાવાલા-(કોવિશીલ્ડ) બ્રિટન જતા રહ્યા

લંડન/પુણેઃ એક આશ્ચર્યજનક ઘટનામાં, અત્રે ‘કોવિશીલ્ડ’ કોરોના-પ્રતિરોધક રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા કેટલીક ધમકીઓથી કંટાળીને દેશ છોડીને બ્રિટન જતા રહ્યા છે. ભારતમાંથી વિમાન પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાય એ પહેલાં જ પૂનાવાલા બ્રિટન જતા રહ્યા છે. લંડનમાં, ‘ધ ટાઈમ્સ’ અખબારને આપેલી મુલાકાતમાં એમણે જણાવ્યું કે કોવિશીલ્ડ રસીનો પુરવઠો ઝડપથી પૂરો પાડવા માટે ભારતના રાજ્યોના કેટલાક મુખ્ય પ્રધાનો અને કેટલાક વગદાર કોર્પોરેટ મહારથીઓ તરફથી સતત ધમકીઓ અને દબાણ કરાતાં પોતે લાંબા સમય માટે ભારત છોડી દીધું છે અને બ્રિટન આવી ગયા છે. એમણે એવો સંકેત પણ આપ્યો છે કે પોતે બ્રિટનમાં નવો રસી ઉત્પાદન એકમ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, પૂનાવાલાને ભારત સરકારે Y-કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી.

પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, અપેક્ષા અને આક્રમક્તા ખરેખર અભૂતપૂર્વ પ્રકારની હતી અને એ ખૂબ જ વધી ગઈ હતી. દરેક જણ એમ સમજે છે કે એને રસી મળવી જોઈએ. શરૂઆતમાં એ લોકો ફોન પર મારી સાથે શાંતિથી વાતો કરતા હતા, પણ જ્યારે મેં એમને કહ્યું કે એમ આડેધડ રસી નહીં મળે તો ફોન કરનારા ધીમે ધીમે ધમકી આપવા લાગ્યા. હું જો કુંભ મેળા વિશે કે વિધાનસભાઓની ચૂંટણીઓ વિશે કંઈ નહીં બોલું, નહીં તો મારું માથું વાઢી નાખવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ભારત પાછા ફરવાનો મારો કોઈ વિચાર નથી.