કર્ણાટકના RSSના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવનાર આદેશ પર હાઈકોર્ટનો સ્ટે

બેંગલુરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારને હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે RSSના પક્ષમાં પોતાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સરકારને આંચકો આપતાં કોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે સિદ્ધારમૈયા સરકારના તે આદેશ પર પણ સ્ટે લગાવ્યો છે જેમાં જાહેર સ્થળોમાં 10થી વધુ લોકો એકત્ર થવા માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી.

આ આદેશ ન્યાયમૂર્તિ એમ. નાગપ્રસન્નાની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે. ખંડપીઠે રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને હુબલીના પોલીસ કમિશનરને નોટિસ પણ મોકલી છે. RSSએ રાજ્ય સરકારના 18 ઓક્ટોબર, 2025ના આદેશને પડકાર્યો હતો, જેમાં પૂર્વ મંજૂરી વગર 10થી વધુ લોકો એકત્ર થવું ગુનાહિત કૃત્ય ગણાવવામાં આવ્યું હતું. આ આદેશમાં પોલીસ અધિનિયમનો હવાલો આપીને રસ્તાઓ, બાગ-બગીચા, રમવાના મેદાનો અને તળાવો જેવાં સ્થળોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વચગાળાના સ્ટેથી હિંદુ સંસ્થાને કેસની આગામી સુનાવણી સુધી તાત્કાલિક રાહત મળી છે. RSSએ ચિત્તપુરના તહેસીલદારના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તહેસીલદારે ચિત્તપુર નગરમાં RSSને પોતાની શતાબ્દી સરઘસ કાઢવાની મંજૂરી આપી નહોતી. આ પડકાર RSSએ હાઈકોર્ટની કલબુર્ગી બેંચમાં આપ્યો છે. શતાબ્દી માર્ચ અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં જ અધિકારીઓએ ચિત્તપુરમાં ભગવા ધ્વજ, બેનરો અને ઝંડીઓ દૂર કરી દીધી હતી.

આ આદેશ બાદ બેંગલુરુ દક્ષિણથી BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે RSSની પ્રવૃત્તિઓના વિરોધમાં લેવાયેલું આ પગલું કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેનું છે. સાંસદે કહ્યું હતું કે RSS શાંતિપૂર્ણ રીતે પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે, શાંતિપૂર્ણ રીતે માર્ચ અને સરઘસો કાઢે છે.

કર્ણાટક સરકારે શું આદેશ કર્યો છે?

સરકારે 18 ઓક્ટોબરે આ આદેશ બહાર પાડ્યો હતો, જેમાં ખાનગી સંસ્થાઓ, સંગઠનો અને જૂથોની પ્રવૃત્તિઓ માટે સરકારી સંપત્તિ કે જાહેર સ્થળનો ઉપયોગ કરતાં પહેલાં મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં RSSનું નામ સ્પષ્ટ રીતે નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે આનો ઉદ્દેશ સંગઠન દ્વારા કઢાતા પથસંચલનો પર અસર કરવાનો હતો.