પહેલા વરસાદમાં ધોવાઈ આ મહાનગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી..

રાજ્યમાં ચોમાસું જામી ચૂક્યું છે. હવામાન વિભાગે પણ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાના આગમને લઈ તમામ મહાનગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યારે ગુજરાત પાંચ મહાનગર પાલિકાની વાત થાય, તો રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરની પોલ ખુલતી જોવા મળી રહી છે.

અદાવાદ

બે દિવસ પહેલા અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સર્કલ પાસે ભૂવો પડ્યો છે. પહેલા જ વરસાદમાં મસમોટો ભૂવો પડતા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તો અમુક જગ્યાએ રોડ બેસી જવાના દ્રશ્યો સામે આવ્યા છે. દર વર્ષે ભૂવા પડવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત મળી નથી.

ગાંઘીનગર

બે દિવસ પહેલા શહેરમાં 24 કલાક મીટરથી પાણી પૂરું પાડવાના પ્રોજેક્ટ અન્વયે ઠેર ઠેર પાણીની પાઈપ લાઈનના નેટવર્ક માટે ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. જો કે ખોદેલા ખાડામાં યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં થતા, સેકટર – 8 માં નજીવા વરસાદમાં જ ખાડામાં પાણી ભરાઈ જવાની સાથે ભૂવા પડવાથી એક ગાડી પણ ફસાઈ ગઈ હતી. જેને જેસીબી બોલાવીને બહાર કાઢવાની નોબત આવી હતી.

ત્યારે આજે ફરી એક વખત ગાંધીનગર સેક્ટર-1ના રસ્તા પર ભૂવો પડ્યો છે. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પેહલા રસ્તા પર  ભૂવા પડ્યા છે. ગાંધીનગર સેકટર-1 મેટ્રો સ્ટેશન નીચે રસ્તા પર તીરાડો પડી છે. એક બાજુનું ડિવાઈડર બેસી જતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. રોડના નિર્માણ બાદ રોડ વચ્ચે તીરાડ જોવા મળી છે.

સુરત

સુરત પાલિકાની નબળી પ્રિ-મોન્સુન કામગીરીને કારણે અડાજણ બાદ ગોડાદરામાં પણ મોટો ભૂવો પડી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ રહ્યો છે. એકાદ દોઢ મહિના પહેલાં પાલિકાએ રોડ બનાવ્યો હતો તે રોડનો 50 ફુટ જેટલો ભાગ અચાનક બેસી જતાં તંત્ર દોડતું થયું છે. મહિના પહેલા જ રોડ બન્યો હતો.

રાજકોટ

શહેરમાં મવડી વિસ્તારમાં પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે. રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી. ઉલ્લેખનીય છે કે વિધાર્થીઓ સ્કૂલ બસમા ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતા કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી.

વડોદરા

શહેરના તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા નજીકની સન્મોદ સોસાયટી સામે આવેલા મુખ્ય માર્ગ પર અગાઉ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ નબળુ પુુરાણ કરવામાં આવતા જમીન બેસી ગઇ હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા મુકવામાં આવ્યો છે. જમીન બેસી ગઇ હોય તે સ્થળ નજીક નાનો ભુવો પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.