સનાતનીઓની લાગણીઓ દુભાવવા બદલ MP પપ્પુ યાદવ વિરુદ્ધ FIR

નવી દિલ્હીઃ બિહારના પૂર્ણિયાથી નિર્દલીય લોકસભા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શુક્રવારે પપ્પુ યાદવે રામ મંદિરના દાનની કથિત ચોરીને મુદ્દે પૂજારીનો વેશ ધારણ કરીને સંસદ ભવનના ‘મકર દ્વાર’ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે જ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પપ્પુ યાદવ વિરુદ્ધ સૂર્ય મેથિલ નામની વ્યક્તિએ જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે પપ્પુ યાદવે સંસદ પરિસરમાં કરેલા વિરોધ પ્રદર્શનથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને સનાતન ધર્મના અનુયાયીઓની ભાવનાઓ દુભાઈ છે. ફરિયાદકર્તાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પપ્પુ યાદવના આ વિરોધ પ્રદર્શનને ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓએ સમર્થન આપ્યું હતું. સૂર્ય મેથિલે કહ્યું હતું કે પપ્પુ યાદવે સંસદ બહારના વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક પ્રતીકોનું અપમાન કર્યું છે.

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

મેથિલે જણાવ્યું હતું કે પપ્પુ યાદવે સંસદ બહાર જે નાટક કર્યું હતું, તેને રાહુલ ગાંધી, ડિમ્પલ યાદવ, અવધેશ કુમાર અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય સાંસદોનું સમર્થન પ્રાપ્ત હતું. આ દરમિયાન પપ્પુ યાદવે ભગવાન રામલલાની તસવીર પોતાના પગની નજીક સુધી રાખી હતી, જેને કારણે સનાતનીઓની લાગણીઓ દુભાઈ છે. મેથિલે વધુમાં જણાવ્યું હતું કે તેમણે આ અંગે જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગૃહ મંત્રી અમિત શાહ, દિલ્હી પોલીસ કમિશનર, ડીસીપી નોર્થ, ડીસીપી નોર્થ-વેસ્ટ, એસીપી જહાંગીરપુરી તથા એસએચઓ જહાંગીરપુરીને માગ કરી છે કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર સંબંધિત તમામ લોકો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

ચઢાવો ચોર, ગાદી છોડના નારા લગાવાયા

સંસદના મકર દ્વાર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદોએ ‘ચઢાવો ચોર, ગાદી છોડ’ના નારા લગાવ્યા હતા. સાંસદોએ મકર દ્વારની સીડીઓ સામે દાનપેટીઓ મૂકી હતી અને પપ્પુ યાદવ તેમની બાજુમાં બેઠા હતા. રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોએ બોક્સમાં પૈસા નાખ્યા હતા, જ્યારે ભગવાં વસ્ત્રો પહેરેલા પપ્પુ યાદવે તે પૈસા પોતાની ખિસ્સામાં મૂકતા હોવાનું પ્રતીકાત્મક રીતે દર્શાવ્યું હતું.