કાવેરી વિવાદ?: કન્નડ સંગઠનો દ્વારા 13 ઓગસ્ટે કર્ણાટક બંધનું આહવાન

બેંગલુરુઃ કર્ણાટક અને તામિલનાડુમાં ફરી એક વાર કાવેરી મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કન્નડ સમર્થક સંગઠનોએ શુક્રવારે કર્ણાટકમાં 13 ઓગસ્ટે બંધનું એલાન કર્યું છે. આ મુદ્દાને લઈને બંને રાજ્યોના મુખ્ય મંત્રીઓ ચિંતિત છે અને પરસ્પર ચર્ચા કરવા ઇચ્છે છે. આ માટે તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયના કાર્યાલયે કર્ણાટકના મુખ્ય મંત્રી કાર્યાલયને બેઠક માટે વિનંતી કરી હતી, પરંતુ કર્ણાટકના મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે તે મુલતવી રાખી હોવાનું જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આખો વિવાદ શું છે.

કાવેરી નદીનું ઉદ્ભવસ્થાન કર્ણાટકના તાલાકાવેરી ખાતે આવેલું છે. આ નદીની કુલ લંબાઈ લગભગ 800 કિલોમીટર છે અને તે મુખ્યત્વે કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાંથી વહે છે.

શું છે કાવેરી વિવાદ?

કાવેરી વિવાદ દેશના સૌથી જૂના જળ વહેંચણીના વિવાદોમાંનો એક માનવામાં આવે છે. અંદાજે 130 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે. મુખ્યત્વે કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણીના વહેંચણીને લઈને આ વિવાદ છે, જોકે તેમાં કેરળ અને પુડુચેરી પણ સામેલ છે. તેમ છતાં મોટા ભાગે વિવાદ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે જ થાય છે. આ મુદ્દે અનેક વખત બંને રાજ્યોની સરકારો વચ્ચે ચર્ચાઓ થઈ છે અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે અંતિમ ચુકાદો આપ્યો હતો.

 સુપ્રીમ કોર્ટનો 2018નો ચુકાદો
ટ્રિબ્યુનલના નિર્ણયથી ન તો કર્ણાટક અને ન તો તામિલનાડુ સંતોષ પામ્યાં, તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. 2018માં સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો. કર્ણાટકે દલીલ કરી હતી કે બેંગલુરુ અને અન્ય વિસ્તારોની વધતી વસ્તીને કારણે તેને વધુ પાણીની જરૂર છે. બીજી તરફ તામિલનાડુએ ટ્રિબ્યુનલના નિર્ણયના અમલની માગ કરી. સુપ્રીમ કોર્ટે કર્ણાટકને 14.75 TMC વધારાનું પાણી ફાળવ્યું અને તામિલનાડુનો હિસ્સો એટલી જ માત્રામાં ઘટાડ્યો. સાથે જ કેન્દ્ર સરકારને કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) રચવાનો આદેશ આપ્યો, જે દર વર્ષે પાણીના વહેંચણીની દેખરેખ રાખે છે.