સોનુ નિગમ દુબઈમાં અટવાયો; કોરોના જશે પછી જ ભારત પાછો આવશે

મુંબઈઃ ગાયક સોનુ નિગમ એના પરિવાર સાથે હાલ દુબઈ ગયો છે. ત્યાંથી એ હાલતુરંત પાછો નહીં આવે. કોરોના વાઈરસના રોગચાળાને કારણે એણે હાલ દુબઈમાં જ રહેવાનું નક્કી કર્યું છે.

સોનુ અને એના પરિવારજનોએ કોરોનાથી બચવા માટે હાલ પોતાને આઈસોલેટ કરી દીધા છે.

સોનુએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ સામાન્યવત્ નહીં થાય ત્યાં સુધી પોતે ભારત પાછો નહીં ફરે.

પોતે ભારતમાં સત્તાવાળાઓને વધારે તકલીફમાં મૂકવા માગતો નથી, એવું તેણે કહ્યું છે.

સોનુનો પુત્ર નિવાન દુબઈની શાળામાં ભણે છે. દુબઈમાં હાલ બધી શાળાઓ બંધ છે.

સોનુએ જાહેરાત કરી છે કે પોતે દુબઈથી ભારતમાંના પોતાના ચાહકો માટે ઓનલાઈન પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ પોતે 22 માર્ચના રવિવારે જનતા કર્ફ્યૂના દિવસે કરશે.