મુંબઈમાં ખેડૂતો, આદિવાસીઓનો વિરાટ મોરચો…

મહારાષ્ટ્રના ભૂસાવળ, મરાઠવાડા અને થાણે જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આવેલા ખેડૂતો તથા આદિવાસી લોકોએ એમની લાંબા સમયની માગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતાં એના વિરોધમાં 22 નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં વિરાટ ‘લોકસંઘર્ષ મોરચો’ કાઢ્યો હતો. મોરચામાં હજારો લોકો સામેલ થયાં હતાં. ખેડૂતો તથા આદિવાસીઓ 21મીની રાત સોમૈયા મેદાનમાં રહ્યાં હતાં અને ત્યાંથી 23મીની વહેલી સવાર દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન તરફ રવાના થયા હતા. ખેડૂતોએ એમનાં ઉત્પાદનો માટે વળતરના સારા ભાવ મળે તેમજ એમની કૃષિ લોન સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે, દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને તત્કાળ આર્થિક વળતર પૂરું પાડવામાં આવે તેમજ આદિવાસીઓએ એમને વનજમીનના અધિકારો સુપરત કરવામાં આવે એવી માગણી સાથે આ મોરચો કાઢ્યો હતો. આ મોરચાને કારણે એક તરફનો ટ્રાફિક થંભી ગયો હતો. સાંજે, મોરચાના મુખ્ય આગેવાનો સાથેની બેઠકમાં મહારાષ્ટ્ર સરકારે માગણીઓ સ્વીકારવા અંગે લેખિતમાં આશ્વાસન આપ્યાં બાદ આદિવાસી ખેડૂતોએ એમનું આંદોલન પાછું ખેંચી લીધું હતું.