Home Blog Page 54

શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની અસર હવે ભારતીય બજારો અને સામાન્ય જનજીવન પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં દેશમાં ફરી લોકડાઉન લાગશે કે કેમ તે અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ અફવાઓ પર વિરામ મુકતા મોદી સરકારના કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે ભારતમાં હાલ એવી કોઈ કટોકટી નથી કે જેના કારણે લોકડાઉન લગાવવું પડે, પરંતુ ભવિષ્યના ખરાબ સમયને પહોંચી વળવા માટે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

વાસ્તવમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ (પેટ્રોલ-ડીઝલ) નો બગાડ અટકાવવા, બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા અને બજારમાંથી ગભરાટમાં આવીને ખરીદી (Panic Buying) ન કરવા સલાહ આપી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રિજિજુ પીએમ મોદીના આ જ નિવેદનના સંદર્ભમાં સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા.

ભારત માટે આ નોર્મલ સમય નથી: કિરેન રિજિજુ

એક અગ્રણી ન્યૂઝ ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ સાથેની વાતચીતમાં કિરેન રિજિજુએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં અત્યારે મોટી સમસ્યાઓ ચાલી રહી છે. આ વૈશ્વિક યુદ્ધના કારણે વિશ્વભરમાં એનર્જી ક્રાઈસિસ ઊભી થઈ છે અને દરિયાઈ વ્યાપારના રૂટ્સ પણ પ્રભાવિત થયા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “ભારતે પશ્ચિમ એશિયામાં કોઈ તણાવ પેદા કર્યો નથી, પરંતુ દુર્ભાગ્યે વૈશ્વિક અર્થતંત્ર જોડાયેલું હોવાથી આપણે પણ આ સંકટમાં ઘસડાઈ રહ્યા છીએ. આવા સમયે આપણે કોઈ વિદેશી દયા પર નિર્ભર રહી શકીએ નહીં. આપણે સ્વનિર્ભર બનીને આંતરિક તૈયારીઓ કરવી જ પડશે.” આ ગંભીર પરિસ્થિતિઓને કારણે જ પ્રધાનમંત્રીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવાનો આગ્રહ કર્યો છે.

ઘરેલું ઉત્પાદન વધારવા પર સરકારનો લાંબા ગાળાનો પ્લાન

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 12 years થી સતત દેશનું ઘરેલું ઉત્પાદન (Domestic Production) વધારવા પર ભાર મૂકી રહ્યા છે, જેથી વિદેશી આયાત (Import) પર ભારતની નિર્ભરતા ઘટાડી શકાય. સરકારે આ દિશામાં ઘણા મહત્વના પગલાં ભર્યા છે, તેમ છતાં ભારત હજુ પણ વિશ્વમાં ક્રૂડ ઓઈલનો બીજા (2nd) નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે. જ્યારે વૈશ્વિક સ્તરે આટલી મોટી મુશ્કેલીઓ હોય ત્યારે આપણે આપણા વૈશ્વિક નેતાની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ, કારણ કે આ કોઈ સામાન્ય સમય નથી.

આપત્તિના સમયે રાજનીતિ કરવા બદલ વિપક્ષ પર પ્રહાર

આ ચર્ચા દરમિયાન કિરેન રિજિજુએ વિપક્ષી દળો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે દેશ પર મુશ્કેલ સમય આવ્યો છે, ત્યારે સાથ આપવાને બદલે વિપક્ષ આ સંવેદનશીલ મુદ્દા પર માત્ર રાજનીતિ કરવામાં મશગૂલ છે. મંત્રીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, “હું આ મુદ્દે સંસદ (Parliament) માં પણ વિપક્ષને જડબાતોડ જવાબ આપીશ. સંકટના આ સમયમાં સમગ્ર દેશે રાજનીતિથી ઉપર ઉઠીને પોતાના નેતા સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે ત્યારે વિપક્ષે જેટલી રાજનીતિ કરવી હોય એટલી કરી લે, પરંતુ અત્યારે દેશના હિતમાં દરેકનો સાથ જરૂરી છે.”

અમદાવાદી બાસુરી ચોક્સીએ પૂર્યા આલિયાના ડ્રેસમાં ‘રંગ’

અમદાવાદ: કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) 2026માં આલિયા ભટ્ટ (Alia Bhatt)નો પ્રથમ લુક ખૂબ જ વાયરલ થઈ ગયો. ઓફિશિયલ રેડ કાર્પેટ ઈવેન્ટ પહેલાં આલિયા હોટેલ માર્ટિનેઝની બહાર એક અત્યંત સોફિસ્ટિકેટેડ, પેસ્ટલ કલરના ક્યૂચર ગાઉનમાં જોવા મળી. આલિયાએ એક સ્ટ્રક્ચર્ડ કોર્સેટ બૉલગાઉન પહેર્યું હતું. આ હેન્ડપ્રિન્ટેડ (Hand Printed) આર્ટવર્ક ફ્રેન્ચ રિવેરાથી પ્રેરિત હતું. જો કે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આર્ટિસ્ટિક આઉટફિટ પાછળ જે વ્યક્તિનો મહત્ત્વનો ફાળો છે, તે બાસુરી ચોક્સી (Basuri Choksi) ગુજરાતી છે.

આલિયાએ જ્યારે આ ડ્રેસમાં એન્ટ્રી લીધી ત્યારે તે માત્ર એક ડિઝાઈનર આઉટફિટમાં નહોતી, પણ જાણે કે કેનવાસ પરથી જીવંત થયેલી કોઈ કલાકૃતિ હોય તેવું લાગતું હતું. સોફ્ટ કલર્સ, ફ્લુઈડ ટેક્સચર અને સોફ્ટ બ્રશવર્કને કારણે આ લૂક ફેશન કરતાં વધુ ‘મૂવિંગ આર્ટ’ જેવું લાગી રહ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર તરત જ એક સવાલ ગૂંજવા લાગ્યો, આ અદભૂત સર્જન પાછળ કોનો હાથ છે? અને જવાબ મળ્યો, આ હાથથી પેઈન્ટ કરેલી વિઝ્યુઅલ સ્ટોરી પાછળ કલાકાર બાસુરી ચોક્સી છે, જે હવે મેઈનસ્ટ્રીમ ફેશન જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે આ એક જ ડ્રેસમાં તેમણે લેન્ડસ્કેપ્સ, લેવન્ડરના ખેતરો અને શાશ્વત રોમાંસને દરેક બ્રશસ્ટ્રોકમાં કંડાર્યા છે.

35 વર્ષીય બાસુરીનો જન્મ અને ઉછેર અમદાવાદ (Ahmedabad)માં જ થયો છે. તેમના પિતા મુકેશભાઈ ચોક્સી જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા છે. જ્યારે માતા જૈનાબેન ચોક્સી એક ગૃહિણી છે. બાસુરીએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ કામ કરતાં-કરતાં તેમને અનુભવ થયો કે તેમને ડિઝાઇનિંગ કરતાં આર્ટમાં વધુ રસ છે. આથી તેમણે પોતાની કલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષ 2015થી તેમણે આર્ટ વર્કશોપ કરાવવાનું શરૂ કર્યું. સાથે-સાથે કેન્વાસ પેઈન્ટિંગ તો ખરૂં જ અને ધીમેધીમે વૉલ પેઈન્ટિંગ કરવાનું શરૂ કર્યું… લગ્ન બાદ બાસુરીને પતિ શિવ શર્મા અને સાસુ-સસરાનો ખૂબ જ સારો સાથ મળ્યો. પતિ સાથે મળીને તેમણે આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો. જેમાં અત્યારે સાથે મળીને તેઓ મલ્ટિપલ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યા છે.

બાસુરીના કામની ધીમે-ધીમે ચર્ચા વધવા લાગી. સોશિયલ મીડિયાના માધ્યમથી પેન ઈન્ડિયા તેમને નવી ઓળખ મળી. હવે મોટાં પ્રોજેક્ટ પણ મળવા લાગ્યા. બાસુરીએ અંબાણી હાઉસ માટે કામ કર્યું છે. સાથઉના જાણીતા અભિનેત્રી નયનતારાના ઘર માટે તેમના મંદિરના દરવાજા બનારસ થીમ પર પેઈન્ટ કર્યા. સાથે જ સોનમ કપૂરના ઘર માટે પણ તેમણે એક ખાસ પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. આથી આલિયાનો લુક જેમણે ડિઝાઈન કર્યો છે તે, રિયા કપૂરે (Rhea Kapoor) બાસુરીનો કોન્ટેક્ટ કર્યો હતો. કારણ કે સોનમના લીધે રિયા બાસુરીના કામ વિશે સારી રીતે જાણતા હતા.

આ પ્રોજેક્ટ વિશે બાસુરીનું કહેવું છે, “જ્યારે રિયા કપૂર તરફથી આ પ્રોજેક્ટ મળ્યો ત્યારે પહેલાં તો હું ખૂબ જ એક્સાઈટેડ હતી. પરંતુ તરત જ મેં મારી જાતને કામ પર ફોક્સ કરી. કારણ કે કામની સાથે જવાબદારી આવતી હોય છે. તેથી મને જે ફ્રેન્ચ રિવેરા (French Rivera)ની થીમ આપવામાં આવી હતી, તેના વિશે મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું. કાન્સ એ એક ફ્રેન્ચ રિવેરા પર સ્થિત રિસોર્ટ શહેર છે. ત્યાંની ટોપોગ્રાફી અદ્દભૂત છે. મેં ત્યાંનું મહત્વ, કલ્ચર અને જિયોગ્રાફી પર ઊંડું રિસર્ચ કર્યું. ત્યાંનું લેન્ડસ્કેપ બહુ નયનરમ્ય છે – દરિયો અને આકાશ બંનેના મિશ્રણથી ડાર્ક અને લાઈટ બ્લુના જે શેડ્સ બને છે, તે મેં પેઈન્ટિંગમાં ઉતાર્યા. ત્યાંની હિલ્સ પર લવન્ડર ફ્લાવરની ચાદર પથરાયેલી હોય છે, એટલે મેં તે પણ ડ્રેસ પર ઉતારી. રિયાએ સૂચવ્યું હતું કે આપણે ‘સમર અને હેપ્પી વાઈબ્સ’ મળે તેવું કામ કરીશું. બસ તે મગજમાં રાખીને ગાઉન પર મેં મારા મનના રંગો ઉતાર્યા.”

પ્રોજેક્ટ વિશે વધુમાં બાસુરી જણાવે છે કે, “વૉલ પેઈન્ટિંગ, કેન્વાસ પેઈન્ટિંગ અને ફેબ્રિક પેઈન્ટિંગ અલગઅલગ હોય છે. દિવાલ એક સ્ટેડી સરફેસ હોય છે. જ્યારે ફેબ્રિક પર કામ કરતાં સમયે વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે તે વધુ લૂઝ હોય છે. મને પાછું સેમી સ્ટિચ ગાઉન મળ્યું હતું. આથી વધુ ચિવટ સાથે કામ કરવું પડે.”

બાસુરી કોઈપણ પ્રોજેક્ટ હાથ પર લે છે તો તેમાં પોતાનો જીવ રેડી દે છે. દરેક પ્રોજેક્ટ માટે ખૂબ જ ઊંડું રિસર્ચ વર્ક કરે છે. આ વિશે બાસુરીનું કહેવું છે કે “કોઈ પોતાના જીવની નજીક હોય તેવાં ઘર કે ઓફિસને ડિઝાઈન કરવાનું કામ મને આપે છે, ત્યારે હું પણ સો ટકા એવો જ પ્રયત્ન કરું છું કે કોઈપણ મારું કરેલું કામ જુઓ અને જો થોડીક સેકન્ડ માટે પણ ટ્રાન્સફોર્મેશન ફિલ કરે તો મારું કામ સાર્થક થયું કહેવાય.”

અમદાવાદથી શરૂ થયેલી બાસુરીની સફર આજે ફ્રેન્ચ રિવેરાના વૈશ્વિક ફેશન મંચ સુધી પહોંચી છે. જેનાથી એકવાત ચોક્કસ સાબિત થાય છે કે જો તમારા હુનરમાં દમ હોય, તો કળાને વૈશ્વિક બનતા વાર લાગતી નથી. સમર્પણ અને સાચા પુરૂષાર્થ સાથેના બાસુરીના રંગોએ આલિયાને તો સજાવી જ, પણ સાથે-સાથે વૈશ્વિક ફેશનના નકશા પર ગુજરાતના નામનો પણ એક અનોખો રંગ પૂરી દીધો!

(રાધિકા રાઓલ – અમદાવાદ)

પાકિસ્તાન ભૂગોળ કે ઇતિહાસમાં કોનો ભાગ રહેવા ઇચ્છે છે?: આર્મી ચીફ

નવી દિલ્હીઃ સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે ઇસ્લામાબાદને આકરો સંદેશ આપ્યો હતો. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપતું રહેશે અને ભારત વિરુદ્ધ કામ કરતું રહેશે તો તેને નક્કી કરવું પડશે કે તે ભૂગોળનો ભાગ બનીને રહેવા માગે છે કે પછી ઇતિહાસનો. સેનાપ્રમુખનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારત ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમો ઊજવી રહ્યું છે.

દિલ્હીના માણેકશો સેન્ટરમાં ‘યુનિફોર્મ અનવેલ્ડ’ દ્વારા આયોજિત એક સંવાદાત્મક સત્ર દરમિયાન સેનાપ્રમુખને પૂછવામાં આવ્યું હતું કે જો ગયા વર્ષે ઓપરેશન સિંદૂરને જન્મ આપનાર પરિસ્થિતિઓ ફરી ઊભી થાય તો ભારતીય સેના કેવી પ્રતિક્રિયા આપશે. તેના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે જો તમે મને અગાઉ સાંભળ્યા હોય તો મેં કહ્યું હતું કે પાકિસ્તાન જો આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ કામ કરવાનું ચાલુ રાખશે, તો તેણે નક્કી કરવું પડશે કે તે ભૂગોળમાં રહેવા માગે છે કે ઇતિહાસમાં.

જનરલ દ્વિવેદીની આ ટિપ્પણી ટૂંકી હોવા છતાં પાકિસ્તાન માટે ખૂબ જ કડક સંદેશ માનવામાં આવી રહી છે અને તે આતંકવાદ વિરુદ્ધ ભારતના કડક વલણને ફરી એક વાર સ્પષ્ટ કરે છે.

ગયા વર્ષે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં સાત મેની વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા કાશ્મીર (POK)માં આવેલાં અનેક આતંકી ઠેકાણાંઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારત વિરુદ્ધ હુમલાઓ શરૂ કર્યા અને ભારતે આપેલા તમામ જવાબી પ્રહાર પણ ઓપરેશન સિંદૂર હેઠળ જ કરવામાં આવ્યા હતા. પરમાણુ હથિયારોથી સજ્જ બંને પડોશી દેશો વચ્ચે લગભગ 88 કલાક સુધી સૈન્ય અથડામણ ચાલી હતી, જે 10 મેની સાંજે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ થંભી ગઈ હતી.

BRICSના પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીએ શુક્રવારે BRICS (બ્રિક્સ) દેશોના પ્રતિનિધિઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળને ભારતના વિકસતા ઇન્ટરનેશનલ ફાઇનાન્શ્યિલ સર્વિસીસ સેન્ટર (IFSC) ઇકોસિસ્ટમ તેમ જ ક્રોસ-બોર્ડર ફાઇનાન્સ, ફિનટેક, વેપાર અને વૈશ્વિક બિઝનેસ સેવાઓમાં ઊભરી રહેલી તકો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ મુલાકાત ખાસ મહત્ત્વ એટલે પણ ધરાવે છે કારણ કે ભારત “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” થીમ હેઠળ વર્ષ 2026 માટે BRICSનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. આ ઉપરાંત ભારત આગામી વર્ષે 18મી BRICS સમિટ અને સંબંધિત મંત્રી સ્તરની બેઠકોનું યજમાનપદ પણ સંભાળશે. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળને ગિફ્ટ સિટીના વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતના પ્રથમ IFSC તરીકે ગિફ્ટ સિટી કેવી રીતે વિકસ્યું છે અને ભારતની અંદરથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, વૈશ્વિક મૂડી પ્રવાહ અને વિદેશી ચલણના વ્યવહારો માટે કેવી રીતે મહત્વપૂર્ણ ગેટવે તરીકે ઊભરી આવ્યું છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCએ)ના વરિષ્ઠ અધિકારીઓએ ગિફ્ટ સિટીની રેગ્યુલેટરી ઇકોસિસ્ટમ, વૈશ્વિક ધોરણોને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યાવસાયિક વાતાવરણ અને બેંકિંગ, કેપિટલ માર્કેટ્સ, ફંડ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ અને રિ-ઇન્શ્યોરન્સ, એરક્રાફ્ટ લીઝિંગ, ફિનટેક તેમ જ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) જેવાં વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકો અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ પ્રતિનિધિમંડળે ગિફ્ટ સિટીની મહત્વપૂર્ણ ફેસિલિટીઝની મુલાકાત પણ લીધી હતી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસની કામગીરીને ટેકો આપવા માટે વિકસાવવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્સ્ટિટ્યુશનલ ઇકોસિસ્ટમ અંગે પ્રાથમિક સ્તરે સમજ મેળવી હતી. આ મુલાકાત અંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી સતત વૈશ્વિક સ્તરે એક મજબૂત નાણાકીય અને ઇનોવેશન હબ તરીકે ઊભરી રહ્યું છે, જે ભારતમાંથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ક્રોસ-બોર્ડર બિઝનેસને પ્રોત્સાહન આપે છે.

હાલમાં ગિફ્ટ સિટીમાં બેંકિંગ, કેપિટલ માર્કેટ્સ, ફંડ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ, લીઝિંગ અને ફિનટેક સહિતના વિવિધ ક્ષેત્રોમાં 1130થી વધુ સંસ્થાઓ કાર્યરત છે. અહીં બેંકિંગ એસેટ્સનું મૂલ્ય 106 બિલિયન યુએસ ડોલરને પાર કરી ચૂક્યું છે, જ્યારે ફંડ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ 32 બિલિયન યુએસ ડોલરથી વધુ છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘાં થતાં આજે ગિગ વર્કર્સની હડતાળ

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ હવે તેની સીધી અસર એ લોકો પર જોવા મળી રહી છે, જેમની રોજીરોટી સંપૂર્ણપણે રસ્તાઓ પર આધારિત છે. એપ આધારિત કેબ ડ્રાઈવર, ડિલિવરી પાર્ટનર અને ગિગ વર્કર્સ હવે વધતા ખર્ચ અને ઘટતી આવકને લઈને ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દેશભરમાં હજારો ડિલિવરી એજન્ટ અને કેબ ડ્રાઈવરો શનિવારે કામ બંધ કરવાની તૈયારીમાં છે. ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન (GIPSWU)એ ઈંધણના વધતા ભાવ અને ઓછી કમાણીના વિરોધમાં તાત્કાલિક દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

યુનિયને ઓલા, ઉબર, રેપિડો, ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ, ઝેપ્ટો અને એમેઝોન ફ્લેક્સ જેવી એપ કંપનીઓ સાથે જોડાયેલા ડ્રાઈવરો અને ડિલિવરી કર્મચારીઓને શનિવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ બંધ રાખવા અપીલ કરી છે.

 પેટ્રોલ-ડીઝલ મોંઘું થતાં ચિંતા વધી

કેન્દ્ર સરકારે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3-3 રૂપિયાનો વધારો કર્યો હતો. લગભગ ચાર વર્ષ બાદ ઈંધણના ભાવમાં આ મોટો ફેરફાર થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ખાસ કરીને ઈરાન સંબંધિત પરિસ્થિતિ અને કાચા તેલના વધતા ભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 યુનિયને હડતાળ શા માટે બોલાવી?

ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયનનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસના વધતા ભાવોએ ગિગ વર્કર્સની કમર તોડી નાખી છે. યુનિયનના જણાવ્યાનુસાર દેશભરમાં લગભગ 1.2 કરોડ ગિગ વર્કર્સ આ વધારાથી સીધા પ્રભાવિત થશે. યુનિયને માગ કરી છે કે સરકાર અને ડિજિટલ પ્લેટફોર્મ કંપનીઓ પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછો 20 રૂપિયાનો ન્યૂનતમ સર્વિસ દર નક્કી કરે, જેથી વધતા ખર્ચ વચ્ચે વર્કર્સની આવક સંતુલિત રહી શકે.

ભારતમાં ઝડપથી વધી રહ્યું છે ગીગ વર્ક સેક્ટર

નીતિ આયોગના અંદાજ મુજબ 2020-21 દરમિયાન ભારતમાં લગભગ 77 લાખ ગિગ વર્કર્સ હતા. આવનારાં વર્ષોમાં આ સંખ્યા વધીને 2.3 કરોડને પાર પહોંચી શકે છે. આજે લાખો લોકો Zomato, Swiggy, Blinkit, Zepto, Ola, Uber, Rapido અને Porter જેવી કંપનીઓ મારફતે રોજગાર મેળવી રહ્યા છે. પરંતુ વધતા ખર્ચ અને ઓછી કમાણીને કારણે હવે આ સેક્ટરમાં અસંતોષ વધતો દેખાઈ રહ્યો છે.

ઓલા, ઉબેર, રેપિડોનો પ્લે સ્ટોરમાંથી દૂર કરવા ગૂગલ અને એપલને નોટિસ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના સાયબર વિભાગે કથિત ગેરકાયદે બાઈક ટેક્સી સેવા ચલાવવાને મામલે મોટું પગલું ભરતાં એપલ અને ગૂગલને નોટિસ ફટકારી છે. વિભાગે બંને કંપનીઓને રાઇડ-હેલિંગ એપ્સ ઉબેર- Uber, ઓલા- Ola અને રેપિડો- Rapidoને તેમના એપ સ્ટોરમાંથી દૂર કરવાની માગ કરી છે. આ પગલાથી રાજ્ય સરકાર દ્વારા એગ્રિગેટર આધારિત દ્વિચક્રી ટેક્સી સેવાઓ સામેની કાર્યવાહી વધુ તેજ બની છે. મહારાષ્ટ્ર સાયબર કચેરીના વધારાના પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરાયેલી  15 મેએ નોટિસમાં માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 79 (3) (b)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નોટિસમાં કંપનીઓને આ એપ્લિકેશનોને  એપલ (Apple એપ) સ્ટોર અને ગૂગલ (Google) પ્લે સ્ટોર પરથી દૂર કરીને નિષ્ક્રિય કરવાની સૂચના આપવામાં આવી છે.

આ કાર્યવાહી મહારાષ્ટ્રના પરિવહનપ્રધાન પ્રતાપ સાર્નિક દ્વારા 12 મેએ સાયબર વિભાગને લખાયેલા પત્ર બાદ શરૂ કરવામાં આવી હતી. આ પત્રમાં રાજ્યમાં ચાલી રહેલા બાઈક ટેક્સી પ્લેટફોર્મ્સ સામે હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર વિભાગે એપલ અને ગૂગલને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે આ એપ્લિકેશનો મારફતે સંચાલિત બાઈક ટેક્સી સેવાઓ ગેરકાયદે છે અને હાલના કાનૂની તેમ જ નિયમનકારી માળખાનું ઉલ્લંઘન કરે છે. આ નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્લેટફોર્મ્સ યોગ્ય પરવાનગીઓ અને સરકારી મંજૂરીઓ વગર તેમ જ પરિવહન વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયમો અને મોટર વાહન અધિનિયમની જોગવાઈઓનું પાલન કર્યા વગર મુસાફરોને પરિવહન સેવા આપી રહ્યા છે.

આ નોટિસમાં મુસાફરોની સુરક્ષાને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે ડ્રાઇવરોની યોગ્ય ચકાસણી, વીમા સુરક્ષા, મહિલાઓની સલામતી માટેના પગલાં અને ઇમરજન્સી સહાય પ્રણાલી ખૂબ નબળી અને અપૂરતી છે. નોટિસ અનુસાર તાજેતરમાં એક ગંભીર ઘટના સામે આવી હતી જેમાં આ એપ્સમાંથી એક દ્વારા સંચાલિત બાઈક ટેક્સી સેવાને કારણે એક મહિલાનું દુઃખદ મોત થયું હોવાનો આરોપ છે. આ મામલે ફોજદારી કેસ પણ નોંધાયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રભરમાં આવા ઘણા કેસ નોંધાયેલા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નોટિસમાં એપલ અને ગૂગલને ચેતવણી આપવામાં આવી હતી કે ભારતીય કાનૂની અમલવારી એજન્સીઓના આદેશોનું પાલન ન કરવાથી માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ અને ઇન્ટરમિડિયરી લાયબિલિટી નિયમો હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

હું પાર્ટીને ફરી ઉભી કરીશ, હાર બાદ મમતા દીદીનો હુંકાર

વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ મમતા બેનર્જી(Mamata Banerjee)એ ટીએમસી પાર્ટીને ફરીથી ઉભી કરવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે જે નેતાઓ પાર્ટી છોડવા માંગે છે તેઓ આમ કરી શકે છે. મમતાએ આરોપ લગાવ્યો કે જનતાનો જનાદેશ લૂંટવામાં આવ્યો છે, પરંતુ પાર્ટી ફરીથી ઉભરી આવશે.

પશ્ચિમ બંગાળ(West Bengal)માં ચૂંટણીમાં મળેલા પરાજય બાદ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જી(Mamata Banerjee)એ પાર્ટીના પુનરુત્થાન માટે હાકલ કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે લોકો પાર્ટી છોડવા માંગે છે તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. શુક્રવારે, મમતા બેનર્જીએ કોલકાતામાં તેમના કાલીઘાટ નિવાસસ્થાને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

મમતા બેનર્જીએ શું કહ્યું?

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર છતાં, સંગઠન ફરીથી ઉભું થશે. તેમણે પક્ષના કાર્યકરો અને ઉમેદવારોને ક્ષતિગ્રસ્ત પક્ષ કાર્યાલયોનું સમારકામ, રંગકામ અને ફરીથી ખોલવા અપીલ કરી હતી. મમતાએ એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ કાર્યાલયોને ફરીથી રંગવામાં મદદ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે આ ચૂંટણીમાં જનતાનો જનાદેશ લૂંટવામાં આવ્યો છે.

ચૂંટણીમાં પ્રદર્શન કેવું રહ્યું?

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ટીએમસી (TMC)સત્તા પરથી દૂર થઈ ગઈ છે અને હવે તે વિરોધ પક્ષમાં છે. રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી પાર્ટીને ફક્ત 80 બેઠકો પર જ જીત મળી છે. મમતા બેનર્જી(Mamata Banerjee)એ પોતાના લાંબા સમયથી રાજકીય ગઢ રહેલા ભવાનીપુરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીએમસીએ 291 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ત્રણ બેઠકો તેના સાથી પક્ષ ભાજપ માટે છોડી હતી. ચૂંટણીમાં પાર્ટીએ 211 ઉમેદવારો ગુમાવ્યા હતા, જેમાં ઘણા અગ્રણી નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ થાય છે.

પક્ષમાં અસંતોષ વિશે મમતાએ શું કહ્યું?

પક્ષમાં અસંતોષ અને નેતાઓના અન્ય પક્ષોમાં જવાની અટકળો વચ્ચે, મમતા બેનર્જીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે તેઓ સમજે છે કે કેટલાક લોકો પક્ષ બદલી શકે છે. તેમની પોતાની મજબૂરી હોઈ શકે છે, તેથી તેઓ બળજબરીથી કોઈને પણ પાર્ટીમાં રાખવામાં માનતી નથી.

મીટિંગ બાદ, ટીએમસી(TMC)એ સોશિયલ મીડિયા પર ઉમેદવારોની હિંમતની પ્રશંસા કરી. પાર્ટીએ કહ્યું કે તેના ઉમેદવારોએ ધાકધમકી અને હેરાનગતિ છતાં બહાદુરીથી લડત લડી. આ બેઠક દ્વારા, મમતા બેનર્જીએ તેમની હારથી નિરાશ ઉમેદવારોનું મનોબળ વધારવા અને પક્ષની અંદર એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ એક થઈને પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે.

અમિત શાહને ધમકી, ભડકાઉ ભાષણ બદલ અભિષેક બેનરજીની સામે FIR

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી ના ભત્રીજા અભિષેક બેનરજી ની મુશ્કેલીઓ વધી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત રીતે ભડકાઉ અને આપત્તિજનક ભાષણ આપવાને મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. ડાયમંડ હાર્બરથી સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ સામાજિક કાર્યકર રાજીવ સરકાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન અનેક સ્થળોએ ભડકાઉ ભાષણ આપ્યાં હતાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને ધમકી આપી હતી.

આ FIR મુજબ સામાજિક કાર્યકર રાજીવ સરકારે પાંચ મેએ ચૂંટણી પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ આ ફરિયાદ નોંધાવી હતી. બાગુઇહાટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અભિષેક બેનર્જીએ 27 એપ્રિલથી ત્રીજી મે દરમિયાન યોજાયેલા અનેક ચૂંટણી કાર્યક્રમોમાં ભડકાઉ ટિપ્પણીઓ કરી હતી.

અભિષેક બેનર્જી સામે નોંધાયેલી FIRમાં આરોપ છે કે તેમનાં ભાષણોથી પરસ્પર દુશ્મનાવટ વધવા પ્રોત્સાહન મળ્યું અને જાહેર શાંતિ ભંગ થઈ. તેમાં એ પણ લખાયું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ ધમકીઓ આપવામાં આવી હતી. આ કેસમાં લગાવવામાં આવેલી કેટલીક કલમો બિનજામીનપાત્ર છે, જે તોફાનો માટે ઉશ્કેરણી, જુદાં-જુદાં જૂથોમાં દ્વેષ ફેલાવવો અને ગંભીર ધમકી આપવા સંબંધિત છે. આ ફરિયાદ સાથે અભિષેક બેનર્જીના વિવાદાસ્પદ ભાષણોના વિડિયો અને લિંક્સ પણ પુરાવા તરીકે સોંપવામાં આવ્યાં છે.

રાજીવ સરકારે ફરિયાદ સાથે અનેક ભાષણોની લિંક્સ પણ જમા કરાવી હતી. પોલીસે 15 મેએ બપોરે 2:45 વાગ્યે બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ મામલો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 192, 196, 351(2) અને 353(1)(c) હેઠળ તેમ જ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123(2) અને 125 હેઠળ નોંધાયો છે. આ FIR મુજબ આ ભાષણોમાં કથિત રીતે એવાં ભડકાઉ અને ધમકીભર્યા નિવેદનો હતાં, જેને કારણે જાહેર અશાંતિ ફેલાઈ શકે અને સામ્પ્રદાયિક સૌહાર્દ બગડી શકે. પોલીસે એ પણ આરોપ મૂક્યો છે કે આરોપીએ જાહેર કાર્યક્રમો દરમિયાન વિરોધી પક્ષના કાર્યકરો વિરુદ્ધ આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

મગની દાળના પિઝા

એકદમ સહેલાઈથી બની જાય અને બહુ જ સ્વાસ્થ્યવર્ધક મગની દાળના પિઝા બાળકોને ભાવશે ખરાં!

સામગ્રીઃ મગની ફોતરા વગરની દાળ 1 કપ, સ્વાદ મુજબ મીઠું, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 2-3, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, મોઝરેલા ચીઝ 1 કપ, કાંદો 1, સિમલા મરચાં નાના ચોરસ ટુકડામાં સમારેલાં 1 કપ, ઘી અથવા તેલ, પિઝા સોસ, ઓરેગેનો 1  ટે.સ્પૂન, ચિલી ફ્લેક્સ 1  ટે.સ્પૂન, બેકીંગ પાઉડર 2 ચપટી, બાફેલા કોર્ન 1 કપ, પનીર 100 ગ્રામ

રીતઃ મગની પીળી દાળ એટલે કે ફોતરા વગરની દાળને ધોઈને પાણીમાં આખી રાત માટે અથવા 7-8 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં લઈ તેમાં આદુનો ટુકડો, લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું તેમજ પા કપ જેટલું પાણી ઉમેરીને બારીક ખીરું દળી લો.

આ ખીરામાં  બેકીંગ પાઉડર મેળવીને ચમચા વડે હલાવી લો. ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને બે કળછી જેટલું મગની દાળનું ખીરું ફેલાવીને ગોળાકાર પાથરી દો. અથવા નાના 2-3 પિઝા પણ બનાવી શકાય. પિઝા નીચેથી શેકાય એટલે કે 4-5 મિનિટ બાદ તેને ઉથલાવી દો. તેની ઉપર ચમચી વડે પિઝા સોસ લગાડી લો. ત્યારબાદ તેની ઉપર મોઝરેલા ચીઝ ઝીણાં ટુકડામાં કરીને ફરતે ગોઠવી દો. ત્યારબાદ કાંદાની સ્લાઈસ, પનીરના ટુકડા, બાફેલા કોર્ન, સિમલા મરચાંના ટુકડા ગોઠવીને ઉપરથી ફરીથી થોડું ચીઝ ભભરાવીને પેન ઢાંકીને પાંચેક મિનિટ થવા દો. ગેસની આંચ ધીમી રાખવી. ચીઝ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી, પેન નીચે ઉતારી લઈ, થોડું ઠંડું થાય એટલે પિઝા કટરથી પિઝા કટ કરીને પીરસો.

૧૬ મે ૨૦૨૬