Home Blog Page 55

ઓલા, ઉબેર, રેપિડોનો પ્લે સ્ટોરમાંથી દૂર કરવા ગૂગલ અને એપલને નોટિસ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના સાયબર વિભાગે કથિત ગેરકાયદે બાઈક ટેક્સી સેવા ચલાવવાને મામલે મોટું પગલું ભરતાં એપલ અને ગૂગલને નોટિસ ફટકારી છે. વિભાગે બંને કંપનીઓને રાઇડ-હેલિંગ એપ્સ ઉબેર- Uber, ઓલા- Ola અને રેપિડો- Rapidoને તેમના એપ સ્ટોરમાંથી દૂર કરવાની માગ કરી છે. આ પગલાથી રાજ્ય સરકાર દ્વારા એગ્રિગેટર આધારિત દ્વિચક્રી ટેક્સી સેવાઓ સામેની કાર્યવાહી વધુ તેજ બની છે. મહારાષ્ટ્ર સાયબર કચેરીના વધારાના પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરાયેલી  15 મેએ નોટિસમાં માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 79 (3) (b)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નોટિસમાં કંપનીઓને આ એપ્લિકેશનોને  એપલ (Apple એપ) સ્ટોર અને ગૂગલ (Google) પ્લે સ્ટોર પરથી દૂર કરીને નિષ્ક્રિય કરવાની સૂચના આપવામાં આવી છે.

આ કાર્યવાહી મહારાષ્ટ્રના પરિવહનપ્રધાન પ્રતાપ સાર્નિક દ્વારા 12 મેએ સાયબર વિભાગને લખાયેલા પત્ર બાદ શરૂ કરવામાં આવી હતી. આ પત્રમાં રાજ્યમાં ચાલી રહેલા બાઈક ટેક્સી પ્લેટફોર્મ્સ સામે હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર વિભાગે એપલ અને ગૂગલને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે આ એપ્લિકેશનો મારફતે સંચાલિત બાઈક ટેક્સી સેવાઓ ગેરકાયદે છે અને હાલના કાનૂની તેમ જ નિયમનકારી માળખાનું ઉલ્લંઘન કરે છે. આ નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્લેટફોર્મ્સ યોગ્ય પરવાનગીઓ અને સરકારી મંજૂરીઓ વગર તેમ જ પરિવહન વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયમો અને મોટર વાહન અધિનિયમની જોગવાઈઓનું પાલન કર્યા વગર મુસાફરોને પરિવહન સેવા આપી રહ્યા છે.

આ નોટિસમાં મુસાફરોની સુરક્ષાને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે ડ્રાઇવરોની યોગ્ય ચકાસણી, વીમા સુરક્ષા, મહિલાઓની સલામતી માટેના પગલાં અને ઇમરજન્સી સહાય પ્રણાલી ખૂબ નબળી અને અપૂરતી છે. નોટિસ અનુસાર તાજેતરમાં એક ગંભીર ઘટના સામે આવી હતી જેમાં આ એપ્સમાંથી એક દ્વારા સંચાલિત બાઈક ટેક્સી સેવાને કારણે એક મહિલાનું દુઃખદ મોત થયું હોવાનો આરોપ છે. આ મામલે ફોજદારી કેસ પણ નોંધાયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રભરમાં આવા ઘણા કેસ નોંધાયેલા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નોટિસમાં એપલ અને ગૂગલને ચેતવણી આપવામાં આવી હતી કે ભારતીય કાનૂની અમલવારી એજન્સીઓના આદેશોનું પાલન ન કરવાથી માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ અને ઇન્ટરમિડિયરી લાયબિલિટી નિયમો હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

હું પાર્ટીને ફરી ઉભી કરીશ, હાર બાદ મમતા દીદીનો હુંકાર

વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ મમતા બેનર્જી(Mamata Banerjee)એ ટીએમસી પાર્ટીને ફરીથી ઉભી કરવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે જે નેતાઓ પાર્ટી છોડવા માંગે છે તેઓ આમ કરી શકે છે. મમતાએ આરોપ લગાવ્યો કે જનતાનો જનાદેશ લૂંટવામાં આવ્યો છે, પરંતુ પાર્ટી ફરીથી ઉભરી આવશે.

પશ્ચિમ બંગાળ(West Bengal)માં ચૂંટણીમાં મળેલા પરાજય બાદ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જી(Mamata Banerjee)એ પાર્ટીના પુનરુત્થાન માટે હાકલ કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે લોકો પાર્ટી છોડવા માંગે છે તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. શુક્રવારે, મમતા બેનર્જીએ કોલકાતામાં તેમના કાલીઘાટ નિવાસસ્થાને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

મમતા બેનર્જીએ શું કહ્યું?

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર છતાં, સંગઠન ફરીથી ઉભું થશે. તેમણે પક્ષના કાર્યકરો અને ઉમેદવારોને ક્ષતિગ્રસ્ત પક્ષ કાર્યાલયોનું સમારકામ, રંગકામ અને ફરીથી ખોલવા અપીલ કરી હતી. મમતાએ એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ કાર્યાલયોને ફરીથી રંગવામાં મદદ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ ક્યારેય કોઈની સામે ઝૂકશે નહીં. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે આ ચૂંટણીમાં જનતાનો જનાદેશ લૂંટવામાં આવ્યો છે.

ચૂંટણીમાં પ્રદર્શન કેવું રહ્યું?

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ટીએમસી (TMC)સત્તા પરથી દૂર થઈ ગઈ છે અને હવે તે વિરોધ પક્ષમાં છે. રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી પાર્ટીને ફક્ત 80 બેઠકો પર જ જીત મળી છે. મમતા બેનર્જી(Mamata Banerjee)એ પોતાના લાંબા સમયથી રાજકીય ગઢ રહેલા ભવાનીપુરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીએમસીએ 291 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ત્રણ બેઠકો તેના સાથી પક્ષ ભાજપ માટે છોડી હતી. ચૂંટણીમાં પાર્ટીએ 211 ઉમેદવારો ગુમાવ્યા હતા, જેમાં ઘણા અગ્રણી નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ થાય છે.

પક્ષમાં અસંતોષ વિશે મમતાએ શું કહ્યું?

પક્ષમાં અસંતોષ અને નેતાઓના અન્ય પક્ષોમાં જવાની અટકળો વચ્ચે, મમતા બેનર્જીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે તેઓ સમજે છે કે કેટલાક લોકો પક્ષ બદલી શકે છે. તેમની પોતાની મજબૂરી હોઈ શકે છે, તેથી તેઓ બળજબરીથી કોઈને પણ પાર્ટીમાં રાખવામાં માનતી નથી.

મીટિંગ બાદ, ટીએમસી(TMC)એ સોશિયલ મીડિયા પર ઉમેદવારોની હિંમતની પ્રશંસા કરી. પાર્ટીએ કહ્યું કે તેના ઉમેદવારોએ ધાકધમકી અને હેરાનગતિ છતાં બહાદુરીથી લડત લડી. આ બેઠક દ્વારા, મમતા બેનર્જીએ તેમની હારથી નિરાશ ઉમેદવારોનું મનોબળ વધારવા અને પક્ષની અંદર એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ એક થઈને પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે.

અમિત શાહને ધમકી, ભડકાઉ ભાષણ બદલ અભિષેક બેનરજીની સામે FIR

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી ના ભત્રીજા અભિષેક બેનરજી ની મુશ્કેલીઓ વધી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત રીતે ભડકાઉ અને આપત્તિજનક ભાષણ આપવાને મામલે તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. ડાયમંડ હાર્બરથી સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ સામાજિક કાર્યકર રાજીવ સરકાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન અનેક સ્થળોએ ભડકાઉ ભાષણ આપ્યાં હતાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને ધમકી આપી હતી.

આ FIR મુજબ સામાજિક કાર્યકર રાજીવ સરકારે પાંચ મેએ ચૂંટણી પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ આ ફરિયાદ નોંધાવી હતી. બાગુઇહાટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અભિષેક બેનર્જીએ 27 એપ્રિલથી ત્રીજી મે દરમિયાન યોજાયેલા અનેક ચૂંટણી કાર્યક્રમોમાં ભડકાઉ ટિપ્પણીઓ કરી હતી.

અભિષેક બેનર્જી સામે નોંધાયેલી FIRમાં આરોપ છે કે તેમનાં ભાષણોથી પરસ્પર દુશ્મનાવટ વધવા પ્રોત્સાહન મળ્યું અને જાહેર શાંતિ ભંગ થઈ. તેમાં એ પણ લખાયું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ ધમકીઓ આપવામાં આવી હતી. આ કેસમાં લગાવવામાં આવેલી કેટલીક કલમો બિનજામીનપાત્ર છે, જે તોફાનો માટે ઉશ્કેરણી, જુદાં-જુદાં જૂથોમાં દ્વેષ ફેલાવવો અને ગંભીર ધમકી આપવા સંબંધિત છે. આ ફરિયાદ સાથે અભિષેક બેનર્જીના વિવાદાસ્પદ ભાષણોના વિડિયો અને લિંક્સ પણ પુરાવા તરીકે સોંપવામાં આવ્યાં છે.

રાજીવ સરકારે ફરિયાદ સાથે અનેક ભાષણોની લિંક્સ પણ જમા કરાવી હતી. પોલીસે 15 મેએ બપોરે 2:45 વાગ્યે બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ મામલો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 192, 196, 351(2) અને 353(1)(c) હેઠળ તેમ જ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123(2) અને 125 હેઠળ નોંધાયો છે. આ FIR મુજબ આ ભાષણોમાં કથિત રીતે એવાં ભડકાઉ અને ધમકીભર્યા નિવેદનો હતાં, જેને કારણે જાહેર અશાંતિ ફેલાઈ શકે અને સામ્પ્રદાયિક સૌહાર્દ બગડી શકે. પોલીસે એ પણ આરોપ મૂક્યો છે કે આરોપીએ જાહેર કાર્યક્રમો દરમિયાન વિરોધી પક્ષના કાર્યકરો વિરુદ્ધ આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

મગની દાળના પિઝા

એકદમ સહેલાઈથી બની જાય અને બહુ જ સ્વાસ્થ્યવર્ધક મગની દાળના પિઝા બાળકોને ભાવશે ખરાં!

સામગ્રીઃ મગની ફોતરા વગરની દાળ 1 કપ, સ્વાદ મુજબ મીઠું, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 2-3, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, મોઝરેલા ચીઝ 1 કપ, કાંદો 1, સિમલા મરચાં નાના ચોરસ ટુકડામાં સમારેલાં 1 કપ, ઘી અથવા તેલ, પિઝા સોસ, ઓરેગેનો 1  ટે.સ્પૂન, ચિલી ફ્લેક્સ 1  ટે.સ્પૂન, બેકીંગ પાઉડર 2 ચપટી, બાફેલા કોર્ન 1 કપ, પનીર 100 ગ્રામ

રીતઃ મગની પીળી દાળ એટલે કે ફોતરા વગરની દાળને ધોઈને પાણીમાં આખી રાત માટે અથવા 7-8 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં લઈ તેમાં આદુનો ટુકડો, લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું તેમજ પા કપ જેટલું પાણી ઉમેરીને બારીક ખીરું દળી લો.

આ ખીરામાં  બેકીંગ પાઉડર મેળવીને ચમચા વડે હલાવી લો. ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને બે કળછી જેટલું મગની દાળનું ખીરું ફેલાવીને ગોળાકાર પાથરી દો. અથવા નાના 2-3 પિઝા પણ બનાવી શકાય. પિઝા નીચેથી શેકાય એટલે કે 4-5 મિનિટ બાદ તેને ઉથલાવી દો. તેની ઉપર ચમચી વડે પિઝા સોસ લગાડી લો. ત્યારબાદ તેની ઉપર મોઝરેલા ચીઝ ઝીણાં ટુકડામાં કરીને ફરતે ગોઠવી દો. ત્યારબાદ કાંદાની સ્લાઈસ, પનીરના ટુકડા, બાફેલા કોર્ન, સિમલા મરચાંના ટુકડા ગોઠવીને ઉપરથી ફરીથી થોડું ચીઝ ભભરાવીને પેન ઢાંકીને પાંચેક મિનિટ થવા દો. ગેસની આંચ ધીમી રાખવી. ચીઝ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી, પેન નીચે ઉતારી લઈ, થોડું ઠંડું થાય એટલે પિઝા કટરથી પિઝા કટ કરીને પીરસો.

૧૬ મે ૨૦૨૬

‘દો રાસ્તે’ની સફળતાનો રસ્તો સાધનાએ બતાવ્યો હતો!

ફિલ્મ ‘દો રાસ્તે’ (Do Raaste)ના અંતમાં થયેલા ફેરફારની વાત ખૂબ જ રસપ્રદ છે. નિર્દેશક રાજ ખોસલા (Raj Khosla) અભિનેત્રી સાધના (Sadhana)ને પોતાની દરેક ફિલ્મ બતાવતા અને તેમના અભિપ્રાયને ખૂબ મહત્વ આપતા હતા. નિષ્ફળ થવા જઈ રહેલી આ ફિલ્મની સફળતાનો રસ્તો ખરેખર સાધનાએ બતાવ્યો હતો.

મૂળ સ્ક્રિપ્ટ (Script) મુજબ ફિલ્મનો ક્લાઈમેક્સ (Climax) ખૂબ જ ભાવુક અને ગંભીર હતો. તેમાં માતા અને તેના પુત્ર વચ્ચેનો લાંબો ભાવુક સંવાદ દૃશ્ય હતો. આ સીન (Scene) માટે અત્યંત હૃદયસ્પર્શી અને જઝબાતી ડાયલોગ્સ (Dialogues) લખવામાં આવ્યા હતા. રાજ ખોસલાને વ્યક્તિગત રીતે આ સીન ખૂબ જ પસંદ હતો, કારણ કે તેમાં પારિવારિક લાગણીઓ અને સંબંધોની ઊંડાઈ હતી.

જ્યારે ફિલ્મ રિલીઝ (Release) થઈ ત્યારે રાજ ખોસલાએ જોયું કે પ્રેક્ષકો અંતના આ ગંભીર સીન પર ખાસ સારો પ્રતિસાદ આપી રહ્યા ન હતા. શરૂઆતના થોડા દિવસોમાં દર્શકોનો પ્રતિસાદ ઠંડો રહ્યો હતો. મુંબઈના રોયલ ઓપેરા હાઉસ (Royal Opera House)ના સ્ટાફે તો ત્યાં સુધી કહી દીધું હતું કે સામે ‘આરાધના’ (Aradhana) હાઉસફુલ ચાલી રહી છે અને અહીં કોઈ આવતું નથી, એટલે આ ફિલ્મ ડૂબશે.

આ વાત સાંભળીને ત્યાં હાજર યુવાન મહેશ ભટ્ટ (Mahesh Bhatt), જે ત્યારે સહાયક નિર્દેશક (Assistant Director) તરીકે કામ કરતા હતા, રડી પડ્યા હતા.

જ્યારે ફિલ્મ મુશ્કેલીમાં જણાઈ ત્યારે રાજ ખોસલા ચર્ચા કરવા સાધના પાસે ગયા. તેઓ સાધનાને માત્ર પોતાની હીરોઈન જ નહીં, પણ અત્યંત સમજદાર સલાહકાર માનતા હતા. રાજ પોતાની દરેક ફિલ્મ તેમને બતાવતા અને તેમના પ્રતિભાવને ગંભીરતાથી લેતા.

સાધનાએ ફિલ્મ જોઈ અને એક સવારમાં રાજ ખોસલાના ઘરે જઈને એક અજીબ પણ સચોટ સલાહ આપી. તેમણે કહ્યું, “આ ગંભીર સંવાદોવાળો સીન કાઢી નાખો અને ફિલ્મના અંતમાં ‘બિંદિયા ચમકેગી’ (Bindiya Chamkegi) ગીતનો એક ભાગ મૂકી દો.”

રાજ ખોસલાએ ભારે હૈયે પોતાના મનગમતા મા-દીકરાના સીનને હટાવ્યો અને સાધનાની વાત માનીને ક્લાઈમેક્સમાં આ ગીતનો નાનો હિસ્સો જોડી દીધો. આ ફેરફાર જાદુઈ સાબિત થયો.

પ્રેક્ષકો, જે ફિલ્મ જોઈને ગમગીન થઈને બહાર નીકળતા હતા, તેઓ અંતે મનોરંજક ગીત જોઈને ખુશ થઈને બહાર આવવા લાગ્યા. રાજ ખોસલાએ પાછળથી સ્વીકાર્યું હતું કે તેમને એ ભાવુક દૃશ્ય કાપવાનું દુઃખ હતું, પરંતુ સાધનાની આ વ્યવહારુ સલાહ (Practical Advice)ને કારણે જ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ (Blockbuster Hit) બની શકી.

ફેરફાર પછી ફિલ્મ એવી ચાલી કે તેણે સતત 50 અઠવાડિયા પૂર્ણ કર્યા. જ્યારે ફિલ્મની સિલ્વર જ્યુબિલી (Silver Jubilee) ઉજવાઈ ત્યારે રાજ ખોસલાએ સ્ટાફને બોનસ (Bonus) આપ્યું. મહેશ ભટ્ટને ૩૦૦ રૂપિયા વધારાના મળ્યા હતા.

મહેશ ભટ્ટ આજે પણ રમુજમાં કહે છે, “મને આ ૩૦૦ રૂપિયા પેલા દિવસે થિયેટર બહાર આંસુ વહાવવા માટે મળ્યા હતા!”

‘બિંદિયા ચમકેગી’ (Bindiya Chamkegi) ગીતની ધૂન કોઈ સ્ટુડિયોમાં નહીં, પરંતુ રાજ ખોસલાના બાળપણની યાદોમાં જન્મી હતી. રાજની માતા સરસ્વતી ખોસલા તેમને બાળપણમાં પંજાબી લોકગીતો સંભળાવતા હતા. આ ગીતની ધૂન (Tune) પંજાબી લોકધૂન પરથી પ્રેરિત હતી.

અભિનેત્રી મુમતાઝ (Mumtaz) આ ગીતના શૂટિંગ સમયે બહુ ઉત્સાહિત નહોતા. તેમને લાગતું હતું કે ગીતનો તાલ (Rhythm) ડાન્સ માટે ઘણો ધીમો છે. પરંતુ ગીત રિલીઝ થયા પછી તે મુમતાઝની ઓળખ બની ગયું.

ખાસ કરીને આ ગીતમાં મુમતાઝે પહેરેલી નારંગી રંગની સાડી અને તેને પહેરવાની વિશિષ્ટ શૈલી (Style) તે સમયે આખા ભારતમાં ફેશન ટ્રેન્ડ (Fashion Trend) બની ગઈ હતી.

શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના (Rajesh Khanna)ને એવું લાગતું હતું કે રાજ ખોસલા મુમતાઝને વધુ મહત્વ આપી રહ્યા છે અને તેના શોટ્સ (Shots) વધુ સારી રીતે લઈ રહ્યા છે. આ કારણે રાજેશ અને રાજ વચ્ચે થોડો મનભેદ થયો હતો. પરંતુ જ્યારે તેમણે અંતિમ ગીત જોયું ત્યારે કામથી એટલા ખુશ થયા કે બધો ગુસ્સો ભૂલી ગયા હતા.

પંચાંગ 16/05/2026

‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ રાજકોટની ધરતી પર પરત ફર્યુ

રાજકોટ: યુ.એન.એમ. ફાઉન્ડેશનની કલાત્મક પહેલ ‘અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ વધુ એકવાર શહેરમાં પરત ફર્યો છે. આ કલાત્મક પ્રોજેક્ટમાં અમદાવાદ, મુંબઈ અને રાજકોટના પ્રતિભાશાળી કલાકારો નૃત્ય, સંગીત અને રંગમંચ ક્ષેત્રે પોતાની સર્જનાત્મક અને મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરશે.આ કાર્યક્રમ આગામી ૧૬ અને ૧૭ મેના રોજ હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. જ્યાં કલારસિકોને દર સાંજે રાત્રે ૮:૩૦ વાગ્યે અને ૧૦:૦૦ વાગ્યે બે વિશિષ્ટ પ્રસ્તુતિઓ નિહાળવાનો અવસર મળશે.

‘અભિવ્યક્તિ’ માત્ર કલાકારોને તેમની કલા રજૂ કરવા માટે ઉત્તમ મંચ જ પૂરું પાડતું નથી, પરંતુ તેમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે અનોખું માધ્યમ પણ બને છે. સાથે જ કલાને દરેક સુધી સરળતાથી પહોંચાડવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમમાં દર્શકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

૧૬ મેના રોજ અમદાવાદના રંગમંચના જાણીતા કલાકાર આલાપ ત્રિપાઠી તેમની વ્યંગ્યરસથી ભરપૂર નાટ્યપ્રસ્તુતિ “લાઇફ ઑફ લાલુ” રજૂ કરશે. ત્યારબાદ મુંબઈના પ્રતિભાશાળી સંગીતકાર અત્રી કોટલ ભારતીય શાસ્ત્રીય અને ફ્યુઝનના અનોખા સમન્વયરૂપ ‘સુર્વણ’ પ્રસ્તુતિ દ્વારા સંગીતરસિકોને મંત્રમુગ્ધ કરશે.૧૭ મેના રોજ ભરતનાટ્યમ નૃત્યાંગના ધારા રુઘાણી પોતાની અભિવ્યક્તિપૂર્ણ નૃત્યરચના “ધાગ સંવાદ” રજૂ કરશે, ત્યારબાદ અમદાવાદના લોકપ્રિય કલાકાર કાર્તિક ડોડિયા ગુજરાતી લોકસંગીત આધારિત “રંગ મેઘાણી” પ્રસ્તુતિ દ્વારા લોકસંસ્કૃતિની સુગંધ પ્રસરાવશે.ધારા રુઘાની દ્વારા લખાયેલ ધાગ સંવાદ અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિમાં પ્રીમિયર થયું હતું, જ્યારે બાકીના સાતમી આવૃત્તિના છે. આ નિર્માણો પ્રખ્યાત નિષ્ણાતો – માનસી મોદી (નૃત્ય- આવૃત્તિ 6), તાપસ રેલિયા (સંગીત- આવૃત્તિ 7) અને ગુરલીન જજ (થિયેટર- આવૃત્તિ 7) દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે, જેમાં ક્રુતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્ય જોશી (થિયેટર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલાનો શિલાન્યાસ

અમદાવાદ: કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ (Kanoria Center For Arts) ખાતે શુક્રવારે સંગીતા જિંદાલ (Sangita Jindal) ક્રાફ્ટ શિલાનો શિલાન્યાસ સમારંભ યોજાયો. આ સ્થળ હસ્તકલાના પ્રદર્શન અને સર્જનાત્મક અભ્યાસ માટે સમર્પિત રહેશે. ભારતીય હસ્તકલા પરંપરાઓને વધુ ઓળખ અને વિકાસ મળે તે માટે સતત સહયોગ આપનાર સંગીતા જિંદાલના સન્માનમાં આ સ્થળને “સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલા” નામ આપવામાં આવ્યું છે. કનોરિયા સેન્ટરના કેમ્પસમાં આ સ્થળની એક જીવંત અને સતત વિકસતા સર્જનાત્મક મંચ તરીકે કલ્પના કરવામાં આવી છે.આ પ્રોજેક્ટની રચના સ્ટુડિયો સંગાથ દ્વારા કરવામાં આવી છે, જે ખુશ્નુ પંથકી હૂફ અને સોનકે હૂફના નેતૃત્વ હેઠળ કાર્યરત એડી100 આર્કિટેક્ચર ફર્મ છે. આ સ્ટુડિયોએ અગાઉ કનોરિયા આર્ટ શોપ (ગેલેરિયા30) અને ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સની ડિઝાઇન પણ તૈયાર કરી હતી અને સંસ્થા સાથેનો તેમનો લાંબા સમયનો સંબંધ યથાવત્ રહ્યો છે.

પ્રદર્શન સ્થળ અને સક્રિય વર્કશોપ પરિસરમાં હસ્તકલા માત્ર પ્રદર્શિત નહીં થાય, પરંતુ એક જીવંત સર્જનાત્મક પ્રક્રિયા તરીકે પણ અનુભવાશે. આ સ્થળ પ્રદર્શનો, પ્રત્યક્ષ વર્કશોપ્સ, પ્રદર્શનાત્મક રજૂઆતો અને સહયોગાત્મક પ્રવૃત્તિઓ દ્વારા હસ્તકલા કારીગરો, કલાકારો, ડિઝાઇનરો અને દર્શકોને એકત્રિત કરશે.

એવા સમયમાં જ્યારે હસ્તકલા માત્ર સંરક્ષણ પૂરતી મર્યાદિત ન રહી નવી વિચારસરણી અને ચર્ચાઓ તરફ આગળ વધી રહી છે, ત્યારે સંગીતા જિંદાલ ક્રાફ્ટ શિલા હસ્તકલાની પરંપરાઓ સાથે જોડાયેલા જ્ઞાન, કૌશલ્ય અને વાર્તાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે. આ સ્થળ લોકોમાં સર્જન પ્રક્રિયાને વધુ નજીકથી સમજવાની અને અનુભવવાની પ્રેરણા આપશે, સાથે સાથે કારીગરો અને પ્રેક્ટિશનર્સને નવી દિશાઓ અને કાર્યપદ્ધતિઓ શોધવામાં પણ સહાયરૂપ બનશે.

આનંદોઃ દેશમાં પાંચ દિવસ પહેલાં દસ્તક દેશે ચોમાસું

નવી દિલ્હીઃ ભીષણ ગરમી અને લૂના માર વચ્ચે હવામાન વિભાગ (IMD)એ દેશ માટે સૌથી મોટી અને રાહતભર્યા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ તાજા અનુમાન મુજબ આ વખતે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું દસ્તક આપી શકે છે. કેરળના કિનારે ચોમાસું 26 મે સુધી પહોંચવાની શક્યતા છે. દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસાની રાહ હવે પૂરી થવાની છે. IMDએ શુક્રવારે માહિતી આપી કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મેએ કેરળ કિનારે પહોંચી શકે છે. જોકે  હવામાન વિભાગે તેમાં ચાર દિવસની મોડલ એરર (ફેરફાર)ની શક્યતા પણ દર્શાવી છે.

 સતત ત્રીજા વર્ષે સમય પહેલાં આવી રહ્યું છે ચોમાસું

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂને પહોંચે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર જોવા મળ્યો છે.

* 2024માં: ચોમાસું 30 મેએ આવ્યું હતું.

2025માં: ચોમાસું 24 મેએ જ પહોંચી ગયું હતું.

* 2026નું અનુમાન: આ વખતે પણ તે 26 મે સુધી આવવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં વહેલું છે.

આંદામાનમાં કાલે પહોંચશે ચોમાસું

IMD મુજબ ચોમાસાની આગળ વધવાની પરિસ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે. 16 મે (શનિવાર) આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસું આગળ વધવાની પૂરી શક્યતા છે. હાલમાં બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક “વેલ-માર્ક્ડ લો પ્રેશર” વિસ્તાર બન્યો છે, જે ચોમાસાની ગતિમાં મદદરૂપ બની રહ્યો છે.

આ વર્ષે ‘સામાન્ય કરતાં ઓછો’ રહેશે વરસાદ

એક તરફ ચોમાસું વહેલું આવી રહ્યું છે, તો બીજી તરફ વરસાદની માત્રા અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં જાહેર કરાયેલા પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA)ના લગભગ 92 ટકા જેટલો રહી શકે છે.

 અલ નિનોનો ખતરો

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જુલાઈ આસપાસ ‘અલ નિનો’ (El Nino) જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અલ નિનોનો ભારતીય ચોમાસા પર નકારાત્મક પ્રભાવ પડે છે અને તેને ઘણી વાર ઓછી વરસાદી સ્થિતિ અથવા દુષ્કાળ સાથે જોડવામાં આવે છે.