Home Blog

CM શિંદે અને તેમના મંત્રીઓને કરોડોના બિલ અંગે કંપનીએ મોકલી નોટિસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે નવા વિવાદમાં ફસાયા છે. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ રૂ. 1.58 કરોડનું બિલ ચૂકવ્યું નથી. સ્વિસ કંપનીએ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ને કાનૂની નોટિસ મોકલી છે. એવામાં વિપક્ષ આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવામાં લાગી ગઈ છે.

સીએમ શિંદે અને તેમના મંત્રીઓ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીમાં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં WEFની મુલાકાત દરમિયાન સીએમ એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓને આપવામાં આવેલી સેવાઓ માટે કંપની દ્વારા આ બિલ આપવામાં આવ્યું હતું. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ આ બિલના પૈસા ચૂકવ્યા નથી. હવે આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે.

ઓગસ્ટમાં નોટિસ મળી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ 28 ઓગસ્ટની નોટિસમાં આરોપ છે કે રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) એ પેઢીને રૂ. 1.58 કરોડ ચૂકવ્યા નથી. MIDC, CM ઓફિસ, વિદેશ મંત્રી એસ જયશંકર, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અને અન્યને આપવામાં આવેલી નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ છે, જ્યારે MIDC દ્વારા 3.75 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે.

સ્વિસ ફર્મે 15-19 જાન્યુઆરી દરમિયાન આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પૂરી પાડવામાં આવેલ તમામ સેવાઓના બિલ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે.

આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા

મહા વિકાસ આઘાડી (MVA) વિપક્ષ, ખાસ કરીને શિવસેના (UBT) ના આદિત્ય ઠાકરે અને NCP ના રોહિત પવાર જેવા નેતાઓએ શિંદે સરકારની ટીકા કરી છે. આદિત્ય ઠાકરેએ સરકાર પર દાવોસ પ્રવાસ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજ્યના નાણાકીય વ્યવહારોમાં જવાબદારી અને પારદર્શિતાની માંગણી કરી હતી.

કચ્છમાં કેરેકલ-હેણોતરો બ્રિડીંગ-કન્ઝર્વેશન સેન્ટર બનશે

કચ્છ: સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે.કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દીપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહિં ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પૂર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની  ઉપસ્થિતીમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો.રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે. ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા ૧૦ કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ભેટ આપી.

ગાંધીનગરના નવનિર્મિત બગીચાઓમાં નવા આકર્ષણો, વધુ સુવિધાઓ

ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 10.52 કરોડ રૂપિયાના ખર્ચે નવા બગીચાઓનું નિર્માણ અને રિનોવેશન કરવામાં આવ્યું છે. પાટનગર અને ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરના પ્રવેશદ્વાર એવાં ચ-૦ સર્કલ, સેક્ટર–૩૦ અને બોરીજ ખાતે આ નવનિર્માણ કરવામાં આવ્યું છે. શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. ચ-૦ સર્કલ ખાતેના ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ તળાવ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં આવતા નાગરિકોને વિવિધ વૃક્ષો અને ફૂલ-છોડથી ભરપૂર ગાર્ડન તથા તળાવની મુલાકાત લઈને તણાવમુક્ત વાતાવરણનો અનુભવ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં સાપ્તી સંસ્થા દ્વારા બનાવેલ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે, જે માનવ જીવનમાં મેડિટેશનથી થતાં લાભો વિશે માહિતી આપે છે. અહી નાગરિકોને ચાલવા માટે વોક-વે, બાંકડા, પીવાના પાણીની સગવડ, વોશરૂમ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા જેવી અદ્યતન સુવિધાઓ કરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર–૩૦ તથા બોરીજ ખાતે નાગરિકો માટે અંદાજિત ૪.૫૨ કરોડના ખર્ચે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ અદ્યતન બગીચામાં કસરત કરવા માટેના સાધનો સહિતના જિમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહી યોગ અને હળવી કસરત કરવા માટેની પણ અલાયદી સુવિધા કરવામાં આવી છે. આ બગીચામાં અલગથી ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. વિવિધ ફૂલ છોડ અને વૃક્ષોથી આચ્છાદિત આ બગીચામાં નાગરિકો માટે બાંકડા, ટોઇલેટ, જોગિંગ ટ્રેક, સલામતી માટે કમ્પાઉન્ડ વોલ અને સિક્યુરિટી ઓફિસ, સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.

તહેવારો ટાણે સોના-ચાંદીની કિંમતોમાં આવી તેજી

અમદાવાદ: તહેવારોની સિઝન આવતી સાથે સોના-ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે સેફ હેવનની માગમાં વધારો થયો છે. પરિણામે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. આજે MCX વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં 300થી 400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લા કેટલાક સમયથી નબળો રહ્યા બાદ હવે યુએસ જોબ ડેટા પહેલાં જ ફરી પાછો છ સપ્તાહની ટોચે પહોંચ્યો છે.

MCX પર 168 રૂપિયાની મજબૂતી સાથે સોનું ખૂલ્યું જે બાદ હળવી ચાલે સોની 300 રૂપિયા ઉછાળા સાથે 75800 પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઈ રહ્યુ હતું. જ્યારે ચાંદી રૂપિયા 210 ઉછળીને 932150 પ્રતિ કિલોના સ્તરે ક્વોટ થઈ રહી હતી. અને નાની રેન્જમાં કામ કર્યા બાદ સોનું MCX પર રૂપિયા 121 ઉછળી 75640 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 275 ઉછળી 93253 પ્રતિ કિલો પર બંધ થયો. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ વધુ નવી રેકોર્ડ ટોચે 2687.70 ડોલર પ્રતિ ઔંશ પર પહોંચ્યું હતું. પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં અમદાવાદમાં સોનું રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. આજે વધુ રૂ. 500 ઉછળી રૂ. 78500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. ચાંદી પણ રૂ. 500 ઉછળી રૂ. 91500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. ગઈકાલે ચાંદીની કિંમત રૂ. 1000 વધી રૂ. 91000 પ્રતિ કિગ્રા થઈ હતી. જ્યારે સોનાનો ભાવ રૂ. 78200 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે સ્થિર રહ્યો હતો.  ઉલ્લેખનીય છે કે નવરાત્રિથી શરૂ થયેલી તહેવારોની રમઝટમાં સોના-ચાંદીની ખરીદી વધવાનો આશાવાદ જ્વેલર્સ રાખી રહ્યા છે. જો કે, આ વર્ષે કિંમતી ધાતુના રેકોર્ડ ભાવ પડકારરૂપ બની શકે છે. સામાન્ય ગ્રાહક સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો કે કાપ મૂકી શકે છે.

SCO સમિટમાં ભાગ લેવા વિદેશ મંત્રી એસ. જયશંકર જશે ઇસ્લામાબાદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થનારી SCO સમિટમાં ભારત તરફથી ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર જશ. ઇસ્લામાબાદમાં આ બેઠક 15-16 ઓક્ટોબરે થશે. વિદેશપ્રધાન ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું.

પાકિસ્તાનની સાથે કથળેલા સંબંધોને કારણે અનેક વર્ષોથી કોઈ પણ ભારતીય નેતાએ પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત નથી લીધી. PM મોદીએ વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળ્યા પછી વર્ષ 2015માં લાહોરમાં નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ ભૂતપૂર્વ અને સ્વ. નેતા સુષમા સ્વરાજે પણ પાકિસ્તાનની યાત્રા કરી હતી, પણ ત્યાર બાદ કોઈ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત નથી લીધી.આ વખતે પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે.

પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની અધ્યક્ષતા ધરાવે છે, જે રોટેટ થાય છે. તેમના કાર્યકાળમાં તે ઓક્ટોબરમાં બે દિવસીય SCO હેડ ઓફ ગવર્નમેન્ટ મિટિંગનું આયોજન કરશે. આ પહેલાં ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતના PM નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેટલાક દેશોએ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે, જેના વિશે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે જાકિર નાઇકનું પાકિસ્તાનમાં સ્વાગત થવું એ નિંદનીય છે, પરંતુ એમાં કોઈ આશ્ચર્ય નથી.

ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા લોકો ચેતજો, લાયસન્સ જપ્ત થશે!

અમદાવાદના 20 અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટે આ PILનો વિષય વિસ્તૃત કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા, બ્રિજની ડિઝાઇન, ગ્રીન કવર સુધી વિસ્તાર્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ નિયમનું પાલન કરીને પહેરતું નથી.

હાઇકોર્ટે આવતા ચીફ જજે ખુદ પોતાના મોબાઈલમાં ગાડીમાંથી ફોટા લીધા હતા, જેમાં ત્રણ કે ચાર જણાને છોડીને કોઈએ હેલ્મેટ પહેર્યાં નહોતાં. પોલીસ પણ VIP ડ્યૂટીમાં હતી, કોઈને ચિંતા નહોતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હેલ્મેટ પહેર્યા વગરના લોકોના 106 કેસ RTOને અપાયા છે, જેમના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે ઓથોરિટી દરેક ટૂ-વ્હીલર ચાલકને હેલ્મેટ પહેર્યા વગર પકડશે તો અમદાવાદના રોડ ઉપર ટૂ-વ્હીલર જોવા નહિ મળે. હેલ્મેટને લઈને ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવે. દેહરાદૂનમાં લોકો ડરે છે એટલે હેલ્મેટ પહેરે છે. આ ઉપરાંત હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આજના જમાનામાં બધા ઉતાવળમાં હોય છે, એટલે હેલ્મેટ નહિ પહેરનાર લોકોને પકડીને 15થી 20 મિનિટ માટે ઊભા રાખવામાં આવે, જેથી તેમનો સમય બગડશે તો ઓફિસમાં મોડા પહોંચતાં ઠપકો મળશે. આમ, મગજમારીથી બચવા તેઓ હેલ્મેટ પહેરશે. અમદાવાદમાં આ સૂચનને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવે, પછી બીજાં શહેરોમાં વિસ્તરણ કરવામાં આવે. અકસ્માતમાં માથામાં ઈજાથી મૃત્યુ દર ઊંચો હોય છે. ચીફ જજે હાઈકોર્ટ આવતા જાતે અકસ્માત જોયો હતો, જેમાં એક યુવકનું બાઈક ઉપર અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થઈ હતી.

હાઈકોર્ટે ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈપણ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યાર બાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમ છતાં જો વાહનચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. દિલ્હીમાં પણ આ રીતે કામકાજ થઈ રહ્યું છે. અમદાવાદ સાથે સુરતની ટ્રાફિક સમસ્યા પર પણ કામ કરવામાં આવે. અરજદારે સૂચન કર્યું હતું કે ઓથોરિટી દ્વારા રસ્તાઓ અને વળાંક દર્શાવતાં નાનાં બોર્ડને મોટાં બનાવવા જોઈએ અને સમયાંતરે એ ચાલકને ગાઈડ કરતા હોવાં જોઈએ, જેથી કરીને અચાનક વળાંક લેવામાં અકસ્માત સર્જાય નહીં.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ખુદ ગોવિંદાએ જણાવી તેમની હાલત

મુંબઈ: પીઢ બોલિવૂડ અભિનેતા ગોવિંદાને આ અઠવાડિયાની શરૂઆતમાં આકસ્મિક શૂટિંગની ઘટનાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આજે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાંથી અભિનેતાને રજા આપવામાં આવી છે. બોલિવૂડના ‘હીરો નંબર 1’ પહેલી ઓક્ટોબરે સવારે પોતાની રિવોલ્વર સુટકેસમાં મૂકવા જતા હતા તે સમયે અકસ્માતે રિવોલ્વર હાથમમાંથી પડી ગઈ અને તેના પગમાં ગોળી વાગી હતી. બાદમાં તરત જ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે આ ઘટના બની હતી.

ક્રિટિકેર હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ આજે ગોવિંદાને રજા આપવામાં આવી છે. ગોવિંદાને બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાની પ્રથમ ઝલક પણ સામે આવી છે. તે લાલ કલરની કારમાં પત્ની સુનીતા સાથે ઘર તરફ જતા જોવા મળ્યા હતાં. તેને જોવા માટે હોસ્પિટલની બહાર તેના ચાહકોની ભીડ જોવા મળી હતી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદાએ તેના ચાહકો અને પાપારાઝીની સામે હાથ જોડીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

મીડિયા સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું કે,’તમારા પ્રેમ માટે આપ સૌનો આભાર… હવે હું સ્વસ્થ થઈ ગયો છું. તમે બધાએ મારા માટે કરેલી પ્રાર્થનાઓ માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. આ પહેલા ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું હતું કે,’ઘરના ડોક્ટરે 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે, તેથી અમે કોઈને વધારે મળી શકીશું નહીં કારણ કે ઈન્ફેક્શનનો ડર છે.’

ઉલ્લેખનીય છે કે ગોવિંદા કોલકાતા જવા માટે બેગ પેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કબાટમાં રહેલી બંદૂક નીચે પડી ગઈ અને તેના પગમાં ગોળી વાગી. અભિનેતાના પગમાંથી ઘણું લોહી વહી ગયું હતું. જોકે બાદમાં તુરંત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ગુજરાતભરમાં RTOનું સર્વર ગઈકાલથી ઠપ

અમદાવાદ: રાજ્યભરમાં ટેક્નિકલ કારણોસરથી ગઈકાલથી RTOનું સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે હજારો લોકોએ ધક્કો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ પણ અરજદારોની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી. હાલ પણ RTO ડ્રાઈવિંગની કામગીરી બંધ કરવામાં આવી છે. લોકો રજા લઈને, કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે આવતા હોય છે. પરંતુ દરવખતની જેમ ફરી RTOનું સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે. અનેક વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી છતાં RTOના ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. હાઈટેક ગુજરાતની વાતો માત્ર બણગા સમાન રહી ગઈ છે. કારણ કે, હજારો વખત RTOનું સર્વર બંધ થાય છે પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ લવાયું નથી.

ગઇકાલે (ગુરૂવાર) સમગ્ર રાજ્યમાં ફરી એક વખત RTOનું સર્વર ટેક્નિકલ કારણોસર ઠપ્પ રહેવાનાં કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે (શુક્રવાર) પણ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોને આગામી સપ્તાહની એપોઈમેન્ટ આપવામાં આવી હતી. અરજદારોને મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવાની સુવિધા નથી. જેના કારણે અરજદારોને સમય અને આર્થિક ધસારો ભોગવવાનો વારો આવે છે. લાંબા સમયથી ટેસ્ટ ટ્રેકના મેઈન્ટેનન્સની કામગીરીનાં અભાવે ખામી સર્જાઈ છે. ત્યારે જો આજે પણ ટેક્નિકલ સોફ્ટવેરની સમસ્યા દૂર નહીં થાય તો આવતીકાલે (શનિવાર) પણ ટેસ્ટ ટ્રેક બંધ રહી શકે છે. અમદાવાદ શહેરમાં આવેલ ત્રણેય RTO ઓફીસમાં 500 થી વધુ અરજીઓ કેન્સલ થતા અરજદારોને ધક્કો પડ્યો હતો. તેમજ સમગ્ર રાજ્યમાં હજારો અરજદારોને RTO ઓફીસનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે દિલ્હી સ્થિત NICએ કોઈપણ જાતની જાણ કર્યા વગર સર્વર બંધ કરી દેતા અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. સર્વર બંધ રહેતા RTO કચેરીએ ફરી અપોઈન્ટમેન્ટ લેવાની સૂચના આપી હતી. ત્યારે અરજદારોએ એજન્ટોને નવી એપોઈમેન્ટ માટે વધુ રૂપિયા 100 ચૂકવવા પડશે. તો અરજદારોની માગ છે કે, સર્વર ડાઉન થવાના કારણે જે લોકોની ડ્રાઈવિંગ ટેસ્ટ નથી લેવાઈ, તેવા વાહનચાલકોને ચાલુ અઠવાડિયામાં કામકાજના દિવસોમાં અપોઈન્ટમેન્ટ વગર અને કોઈ ખર્ચ વગર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આવે.