Home Blog Page 3

ગરબા મુદ્દે ગરમાયું રાજકારણ, ગેનીબેને સાધ્યું નિશાન

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે. ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે.

વાસ્તવમાં વાત એમ છે કે, નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતના કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠકોર અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રિ સુરક્ષા અને સલામતી જાળવવી રાખવી એ પોલીસ વિભાગની ફરજ બને છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું મા અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રિના પર્વ દરમિયાન કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને, સુખ-શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય.

મોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતાં કેટલાક લોકોના પેટમાં દુખવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો શું પાકિસ્તાનમાં જઇને રમશે.  આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, હૉસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રવાસના બીજા દિવસે અમિત શાહની અનેક વિકાસ કાર્યોમાં હાજરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે શુક્રવારે બીજા દિવસે સવારે 11 કલાકે તેમણે ADC બેંકના કાર્યક્રમમાં તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસ કાર્યોમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ. આજે સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી. ત્યાર બાદ બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કર્યું.

ગુરૂવારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રંસગે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ.ડી.સી. બેંક અને સાઇબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું વિમોચન કર્યું. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.

સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25,000ની નજીક

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી થઈ હતી. નિફ્ટી ને સેન્સેક્સ સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયા હતા. IT સિવાય BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી થઈ હતી. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 15 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

વિશ્વના શેરબજાર હાલ ઇરાન અને ઇઝરાયેલની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભયભીત છે. આ યુદ્ધ જો લાંબું ખેંચાશે તો વૈશ્વિક બજારોને ફરી એક વાર સપ્લાય ચેઇન ખોરવાવાને કારમે મોંઘવારીના દરમાં વધારો થવાની ભીતિ છે. જેને પગલે વ્યાજદરમાં થયેલો ઘટાડો કાં અટકી જશે કે વધવાતરફી થશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ક્રૂડ આઠ ટકા વધી ચૂક્યું છે અને હજી વધવાતરફી રહેવાની ધારણા છે.

ઘરેલુ બજારોમાં માર્કેટ વોચડોગ સેબીએ રિટેલ ટ્રેડર્સને ભારે નુકસાનથી બચાવવા માટે ફ્યુચર્ય એન્ડ ઓપ્શનના નિયમ સખત કર્યા છે. આ નિયમોમાં વીકલી એક્સપાયરી પરની સંખ્યામાં ઘટાડો અને માર્જિન વધારવા જેવા નિર્ણય સામેલ છે. સેન્સેક્સ એક સમયે 871 પોઇન્ટ સુધર્યું હતું, પણ નબળા સેન્ટિમેન્ટને કારણે સુધારો જળવાયો નહોતો અને ઇન્ટ્રાડડે ઊંચાઈથી 1500 પોઇન્ટ તૂટ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 809 પોઇન્ટ તૂટીને 81,688.45ના સ્તરે બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 200.25 પોઇન્ટ તૂટીને 25,049.85ના મથાળે બંધ આવ્યું હતું.BSE એક્સચેન્જ પર કુલ 4054 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1579 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2370 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 105 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 190 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 66 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

ઈઝરાયલ-ઇરાનના સંભવિત યુદ્ધની આપણા પર શું અસર થશે?

હમાસના ચીફ હાનિયાને ખતમ કર્યા બાદ ઈઝરાયલે તાજેતરમાં જ રિવોલ્યુશનરી ગાર્ડ્સના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરોશનની સાથે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનો પણ વીંટો વાળી દીધો છે. લેબેનોન સહિત પડોશી દેશો સાથે ઇઝરાયેલ બાથે ભરાયું છે અને યુધ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

મિડલ ઈસ્ટમાં વધતો તણાવ શું ત્રીજી વિશ્વ યુદ્ધનો આરંભ છેે? આ સંભવિત યુદ્ધથી ભારત પર કેવી અસર થશે? આજના ઓપિનિયન’ વિભાગમાં જાણીએ કે, આ વિશે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શું કહે છે…

રૂઝાન ખંભાતા, સામાજિક અગ્રણી, અમદાવાદ

કોઈપણ દેશે બીજા દેશ સાથે યુદ્ધ ના કરવું જોઈએ. યુદ્ધથી ફક્ત અને ફક્ત ડિફેન્સ કંપનીઓને જ લાભ થાય છે. આ બધો ખેલ ઈગોનો છે. મેં તમારા પર આમ કર્યુ અને તમે મારા પર આમ કર્યું. જીવનની તમામ સમસ્યાનું સમાધાન વાતચીતથી થઈ શકે છે. યુદ્ધથી સામાન્ય માણસની પેઢીઓ વર્ષો સુધી પરેશાન થાય છે, જ્યારે સમાજ પાછળ ધકેલાઈ જાય છે. કોઈપણ દેશે આ યુદ્ધમાં જોડાવું કે નહીં એ દરેક દેશની રાજદ્વારી નીતિ પર નિર્ભર છે. ઘણા દેશો માટે રાજકીય રીતે કોઈ વલણ લેવું પડે છે, કારણ કે એમાં એના હિતો સમાયેલા હોય છે. આદર્શ સ્થિતિ એ કે યુદ્ધમાં રાજનીતિ ન હોવી જોઈએ, પરંતુ વર્તમાન યુગમાં વૈશ્વિક સ્તરે ગંદી રાજનીતિ ચાલી રહી છે એ હકીકત છે.

 

વી. ઝેડ. શર્મા, નિવૃત કર્નલ, વડોદરા

જ્યારે બે કે તેથી વધુ દેશ યુદ્ધમાં જોડાય તેને આપણે વર્લ્ડ વોર કહી શકીએ. આનો પ્રભાવ તમામ દેશો પર પડે છે. કોઈપણ દેશ એમાંથી બાકાત રહી શકતો નથી. નાનામાં નાના યુદ્ધની અસર પણ મોટાપાયે થાય છે. એરસ્પેસ, સમુદ્ર, તેલ જેવી અનેક મહત્વની બાબતોને વિશ્વના કોઈ પણ ખૂણામાં થયેલા યુદ્ધની અસર થાય છે. મારા વિચારમાં અત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, પણ તે કેટલું આગળ વધશે એ તો ખબર નથી. ઈઝરાયલે જે કર્યું તે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કર્યું છે. દરેક દેશ પોતાના હિસાબે યોગ્ય પગલાં લઈ રહ્યા છે. અમેરિકા એક એવો દેશ છે, જે વિશ્વના કોઈપણ ખૂણે થયેલા યુદ્ધમાં પોતાની હાજરી પૂરાવે છે. અમેરિકા ડિફેન્સ કંપનીઓ ધરાવતો દેશ હોવાથી જે દેશો એમની પાસેથી હથિયાર ખરીદે છે અમેરીકા તેની તરફણમાં રહેશે.

રવિ દિયોરા, માર્કેટ એક્સપર્ટ 

 

ગ્લોબલ માર્કેટ અને આપણા માર્કેટના સંકેતો અલગ હતા. આજે ચાર ઓક્ટોબરના રોજ સેબીએ નવા નિયમોનો પરિપત્ર જાહેર કર્યો છે એટલે આપણા માર્કેટમાં વધુ કરેક્શન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં થોડી અનિશ્ચિતા જોવા મળી રહી છે. ક્રૂડની કિંમતો છેલ્લા કેટલાક સમયથી 71 ડોલરની આસપાસ હતી એ 74 ડોલર આસપાસ ખુલતી જોવા મળે છે. યુદ્ધ વધુ લંબાશે તો કૉમોડિટી માર્કેટમાં વધુ અસર જોવા મળશે.

 

પૂર્વિન મરિયાંકરી, ડાયરેક્ટર, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)

આમ જોવા જઈએ તો આપણે તટસ્થ છીએ. આપણે બંને દેશ વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અને વેપારની દ્રષ્ટીએ જોઈએ તો આ યુદ્ધ ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જશે તો વધુ અસર વર્તાશે નહીં. જો યુદ્ધ લંબાય તો લોજીસ્ટીકની ક્રાઈસીસ વધી જશે. આપણી નિકાસ પશ્ચિમના દેશોમાં રેડ-સી મારફત થાય છે. યુદ્ધની અસર આ સપ્લાય ચેઈનને નુકસાન પહોંચાડી શકે છે.

(તેજસ રાજપરા)

ટિન્સેલપુરની શ્રદ્ધા-અંધશ્રદ્ધા

પ્રિ-નવરાત્રી ને પહેલા નોરતા બાદ સર્વત્ર “ગોરી રાધા ને કાળો કાન” અને “બોલ મારી અંબે જય જય અંબે”ના નાદ ગુંજી રહ્યા છે. એક બાજુ જ્યાં ગરબાના તાલે ને ઢોલના નાદે ખેલૈયા ઝૂમી રહ્યા છે ત્યારે હિંદી સિનેમાવાળા શાંત થઈને બેઠા છે.

આથી સોશિયલ મિડિયા પર અમુક બની બેઠેલા જાણકારો બળાપો કાઢ્યો કે નિર્માતાઓનું આવું તે કેવું રિલીઝનું પ્લાનિંગ? આટલી સરસ બે ઑક્ટોબર, ગાંધી જયંતીની રજા, નવરાત્રિનો મસ્તમજાનો માહોલ… આ દરમિયાન કે એની પહેલાં કેમ કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન કરી? 15 ઑગસ્ટે રિલીઝ કરવા ‘સ્ત્રી 2,’ ‘ખેલ ખેલ મેં’ અને ‘વેધા’એ (તથા બીજી નાની ફિલ્મોએ) પડાપડી કરીને ખેલ બગાડી મૂક્યો તો હવે જ્યારે બે-ત્રણ અઠવાડિયાંથી કોઈ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થઈ નથી રહી તો આનો ફાયદો કેમ ઉઠાવવામાં ન આવ્યો?

તો જત જણાવવાનું કે વર્ષોથી ટિન્સેલપુરની એક પ્રથા રહી છે કે મુંબઈના નિર્માતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન ન તો નવી ફિલ્મની જાહેરાત કરતા હોય છે, કે ન મુહૂર્ત કરે કે ન નવી ફિલ્મ રિલીઝ કરે. આમાં રિલીઝ તો હજી કદાચ કોઈ કરે, પણ નવી ફિલ્મ લૉન્ચ તો ન જ થાય.

બાય કાસ્ટ કોઈ બી હોય, આજે પણ નિર્માતા શુભ ચોઘડિયામાં નારિયેળ વધેરી, હવન-પૂજાપાઠ બાદ એકાદ સીન શૂટ કરીને મુહૂર્ત સાચવી લે છે. પછી રાતે શેમ્પેનની બાટલીનાં બૂચ ખોલીને, દારૂના ફુવારા નીચે નહાઈને ઉજવણી કરે. મનમોહન દેસાઈ પણ ‘નસીબ’માં માનતા. એ નવી ફિલ્મની પ્રિન્ટના ટિનના ડબ્બા લઈને જમ્મુ જતા, માતા વૈષ્ણોદેવીના ચરણે ધરતા ને કહેતાઃ “મા, મેરી પિક્ચર હિટ બના દેના.” અમુક નિર્માતા-દિગ્દર્શકને તામિલનાડુના ગિરિમથક ઊટીના બોટાનિકલ ગાર્ડનનું બહુ. એમાં પાછું ગાર્ડનમાં એક પરટિક્યુલર ઝાડ પાસે ગીત ચિત્રિત કરવાનું એટલે કરવાનું. અમુકને એવું કે ફલાણા અભિનેતા-અભિનેત્રીને લેવાથી આપણી પિક્ચર હિટ જાય છે. જો વાર્તામાં ફિટ ન બેસતો (કે બેસતી) હોય તો પણ એને એકાદ સીન માટે લે. કોઈને અમુક આંકડા પર બેહદ વિશ્વાસ હોય- જેમ કે શાહરુખ ખાનનો લકી નંબર છેઃ 555. સલમાન ખાનનો લકી ચાર્મ છે એનું બ્રેસલેટ. અજય દેવગને પોતાની અટકની અંગ્રેજી જોડણીમાંથી એ કાઢી નાખ્યો છે. અમુકને મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક પર અસીમ શ્રદ્ધા, તો કોઈને અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર. આંગળીઓમાં નીલમ, પન્ના અને ઓપલ જેવાં રત્નોની વીંટી પહેરવાનું તો ઘણું કોમન છે.

એટલે, કહેવાનું તાત્પર્ય એ કે શ્રાદ્ધ પક્ષમાં નવાં કામ, નવી ખરીદી ટાળવામાં આવે છે તો ફિલમવાળા એમાંથી કેમ બાકાત રહે?

જો કે આમાં એક અપવાદ હતો ને તે હતા યશ ચોપડા. એ શ્રદ્ધા, મુહૂર્ત, પૂજાપાઠ, વગેરેમાં માનતા, પણ અમુક ટાઈમ એ બાજુએ મૂકીને કરવાનાં કામ કરી લેતા. જેમ કે આજથી પચીસ વર્ષ પહેલાં, 27 સપ્ટેમ્બરે શ્રાદ્ધ પક્ષમાં એમણે ‘રાજકમલ સ્ટુડિયોઝ’માં બેટા આદિત્ય ચોપરાની નવી ફિલ્મ ‘મોહબ્બતેં’નું મુહૂર્ત કરેલું. ઉલ્લેખનીય છે કે યશજી એમની ફિલ્મનાં મુહૂર્ત વી. શાંતારામે બાંધેલા ‘રાજકમલ સ્ટુડિયોઝ’માં જ કરતા.

દરમિયાન તે દિવસે પૂજાપાઠ બાદ કેસર પેંડો મેંમાં મૂકતાં કોઈએ પૂછ્યું કે “કેમ આજના દિવસે (શ્રાદ્ધ જેવા અપવિત્ર મનાતા દિવસોમાં) નવી ફિલ્મનું મુહૂર્ત કર્યું?”

તો મીઠું મલકતાં યશજીએ જવાબ આપેલોઃ “આજે, 27 સપ્ટેમ્બરે, મારો હેપી બર્થડે છે અને કહે છેને કે બર્થડે, ધ બેસ્ટ ડે.”

-અને ગયા સપ્તાહે 27 સપ્ટેમ્બરે દીર્ઘદ્રષ્ટા ફિલ્મસર્જક યશ ચોપરાનો 92મો જન્મદિવસ ગયો.

વિશ્વના બધા મુસ્લિમોએ એકજુટ રહેવું પડશેઃ આયાતોલ્લા ખોમિની

તહેરાનઃ ઇરાન અને ઇઝરાયેલના સંઘર્ષની વચ્ચે વિશ્વની નજર તહેરાન પર છે, કેમ કે આશરે પાંચ વર્ષ પછી દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિની નમાજ અદા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો એક વાર ફરી ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવશે. આ વખતે પણ પેલેસ્ટાઇના હક માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. અમે જલદી નહીં કરીએ અને અટકીશું પણ નહીં.

તેમણે કહ્યું હતું કે વિશ્વના બધા મુસ્લિમોએ એકજુટ રહેવું પડશે. જો મુસલમાનો એકજુટ રહેશે તો બધા દુશ્મન હારી જશે, કેમ કે ઉપરવાળાનો સાથ મળશે. ઇરાનથી માંડીને લેબનોન સુધી મુસ્લિમોને એકસાથે રહેવું પડશે. ઇઝરાયેલ પર ઇરાનનો મિસાઇલ એટેક અને ઇઝરાયેલના લેબનોનમાં હિજબુલ્લાના ગઢમાં સતત હુમલાની વચ્ચે આવું પહેલી વાર થયું હતું, જ્યારે ખોમિની શુક્રવારની નમાજ અદા કરવા સૌની સામે આવ્યા હતા.

તેમણે મોટો દાવો કર્યો હતો કે ઇઝરાયેલ પર જે હુમલો કર્યો છે, એ સંપૂર્ણ રીતે કાયદા મુજબ છે. ઇરાનના ફૈજિયોં પર અમને ગર્વ છે. તેમણે જે કાર્યવાહી કરી, એ સંપૂર્ણ રીતે યોગ્ય હતી. પેલેસ્ટાઇનના હક માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.

ઇરાનના સર્વોચ્ચ નેતા ખોમિનીએ તહેરાનની મસ્જિદમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇઝરાયેલની સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં ઇરાન એના બધા દુશ્મનોની દરેક ચાલને નિષ્ફળ બનાવશે.

 

ચોમાસામાં વધશે ગરમીનું તાપમાન, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિના તહેવાપની ધૂમ ચાલી રહી છે. ત્યારે ખેલૈયાના મન એક પ્રશ્ન છે કે શું તહેવાર સમયે વરસાદ વિધ્ન બનશે? આ વચ્ચે હવામાન વિભાગે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે. કોઈ પણ જગ્યાએ રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. પરંતુ આવનારા ત્રણ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજયમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની નથી જે રાહતના સમાચાર છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત,વલસાડ,નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આવાનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે. આ ઉપરાંત આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ વર્ષે ગુજરાતના અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.

મોહ થી બચવા માટે ઘૃણાને અપનાવવી તે સાચો રસ્તો નથી

અતિન્દ્રીય સુખનો અનુભવ તે જ કરી શકે છે કે જે ભગવાનના બની જાય છે. હવે જે એશ મળે છે તેને પરમ-આનંદ કહી શકાય. ભૌતિક જગતનો એશ તો સાધનોના થોડા સમયના પ્રયોગથી પ્રાપ્ત થાય છે. જે થોડા સમય માટે ખુશી આપે છે. ત્યારબાદ મન નવા- નવા સાધનો પાછળ ભાગે છે. પશ્ચિમના દેશોમાં જલ્દી-જલ્દી જૂની વસ્તુઓનો નિકાલ કરી તેના બદલે નવી વસ્તુઓ વસાવવામાં આવે છે.

કુટુંબ જીવનને પણ આ વૃત્તિ અસર કરે છે. ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધુ છે. તેઓ માને છે કે નવા સાથી દ્વારા સુખ મળે છે. પરંતુ ભારતની સંસ્કૃતિ કહે છે કે નવું નવ દિવસ અને જૂનું 100 દિવસ. આ સૃષ્ટિમાં સૌથી જૂનું કોણ? તો જવાબ મળશે “ઈશ્વર”. કારણકે તે અવિનાશી છે. આપણા રંગમંચ પર આવવાની પહેલા તથા પછી પણ તેમની ડાયરેક્ટર તરીકેની ભૂમિકા ચાલતી જ રહે છે. સાચું એશ, સાચું સુખ ચેન તેમના સાનિધ્યમાં જ છે. તેમનો પ્રેમ અનંત છે. ઈશ્વરને બુદ્ધિરૂપી આંગળી પકડાવી દેવાથી જીવન પરમાનંદની લહેરોમાં લહેરાવા લાગે છે. તેમની સાથે સંબંધ જોડવાથી આત્મા માલા- માલ બની જાય છે. આત્મા ઈશ્વર ના બેહદ વરસાની અધિકારી બની તમામ અભાવો થી મુક્ત થઈ જાય છે. તેમના સમાન પૂજનીય બની જાય છે. આવો, આજથી આપણે એશો આરામની પ્રચલિત માન્યતાને બદલી દઈએ તથા ઈશ્વરના પ્રેમમાં તથા તેમની શ્રીમતમાં સાચા એશનો અનુભવ કરીએ.

એ મનોવિજ્ઞાનિક સત્ય છે કે જેવી રીતે પાણી ઢાળ તરફ વગર પ્રયત્નએ વહે છે તેવી રીતે માનવનું મન પણ રાગ અને દ્વેશના ઢાળ તરફ સહેલાઈ છે વહે છે. માટે જ વિદ્વાનો કહ્યું છે કે હે માનવ! રાગ તથા દ્વેષ બંને તરફ વહેવાથી મનને રોક. રાગ મોહ છે અને દ્વેષ ઘૃણા છે. સંસારમાં જો કોઈને કોઈ થી ઘૃણા છે તો રાગ પણ જરૂર હશે. જેવી રીતે ત્રાજવાના એક પલડામાં જો વજનદાર વસ્તુ છે તો બીજું પલડું તેની જાતેજ ઉપર ઉઠી જશે. તેવી જ રીતે જો કોઈના પ્રત્યે મોહ હશે તો કોઈના પ્રત્યે નફરત પણ જરૂર હશે. મનુષ્ય રાગ તથા દ્વેષથી મુક્ત થઈને સમાન દ્રષ્ટિ વાળો બની શકે છે. આ બંને ભાવ પક્ષપાતી બનાવે છે. રાગના કારણે એક વ્યક્તિને તેની યોગ્યતાથી વધુ આપવામાં આવે છે તથા નફરતના કારણે બીજાને યોગ્ય હોવા છતાં આપવામાં નથી આવતું.

મોહ અને ઘૃણા જ સંસારમાં સર્વ દુ:ખોનું મૂળ કારણ છે. આધ્યાત્મિક પુરુષાર્થનું અંતિમ લક્ષ્ય છે મોહને ખતમ કરી ઈશ્વરીય સ્મૃતિમાં લીન થવું શરીર, માન, શાન વિગેરેથી ઉપરામ થઈને ઈશ્વરની સ્મૃતિમાં ખોવાઈ જવું. પરંતુ આ સ્થિતિની પ્રાપ્તિમાં મોહ રૂપી જાળ જેટલી મનુષ્યને ફસાવે છે, ઘૃણા પણ તેટલી જ મોટી દિવાલ બનીને વિઘ્ન નાંખે છે. કોઈના પ્રત્યે ઘૃણ ઉત્પન્ન થાય છે તો મોહ તેની જાતે જ સમાપ્ત થઈ જાય છે. પરંતુ મનુષ્ય પરમાત્માની યાદમાં સ્થિત નથી થઈ શકતો કારણ કે પહેલા જે યાદ મોહના રૂપમાં હતી હવે તે ધૃણાના રૂપમાં બની ગઈ. પરંતુ ઈશ્વર સ્વરૂપના બની. આમ એક વિકારનું બીજા વિકાર સાથે પરિવર્તન તો થઈ ગયું પરંતુ તેનો નાશ ના થયો. જેવી રીતે કોઈ વ્યક્તિ વાઘને સામે જોઈને તેનાથી બચવા માટે ઊંડા ખાડામાં કૂદી જાય તો તે વાઘની હિંસાથી તો બચી જશે પરંતુ ઊંડા ખાડામાં પડવાથી ઇજાનો ભોગ બની જાય છે. આજ રીતે મોહ થી બચવા માટે ધ્રુણાને અપનાવવી તે સ્મૃતિ સ્વરૂપ બનવાનો સાચો રસ્તો નથી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

મુંબઈમાં રેલ્વે સ્ટેશનની બહાર મહિલાનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરનો મામલો મુંબઈનો છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલ્વે સ્ટેશનના પરિસર પાસે 29 વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 22 સપ્ટેમ્બરની રાત્રે બે અજાણ્યા લોકો પીડિતાને બળજબરીથી ટેક્સી સ્ટેન્ડ પાસે લઈ ગયા અને ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ કરી છે.

મહિલાનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર

મળતી માહિતી મુજબ 22 સપ્ટેમ્બરની રાત્રે પીડિત મહિલા સીએસએમટી સ્ટેશનની બહાર એકલી હતી. એવામાં ત્યાં બે અજાણ્યા શખ્સો આવ્યા. તેમાંથી એકે મહિલાનું મોં પકડી રાખ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે બંનેએ તેને ધમકી આપી હતી અને સીએસએમટી સ્ટેશનની બહાર ટેક્સી સ્ટેન્ડની પાછળ એક પછી એક તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.

પોલીસ તપાસમાં લાગી

આ સંબંધમાં પહેલા સીએસએમટી લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ જ કેસ હવે વધુ તપાસ માટે મુંબઈ પોલીસના માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

પુણેમાં ગેંગ રેપનો મામલો

નોંધનીય છે કે પુણેમાં 21 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કારનો મામલો પણ સામે આવ્યો છે. પીડિત યુવતી તેના મિત્ર સાથે ફરવા ગઈ હતી. મોડી રાત્રે ત્રણ છોકરાઓએ તેમને એક નિર્જન જગ્યાએ પકડીને છોકરી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ પીડિતાના મિત્રને પણ માર માર્યો હતો. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે.

 

આર્થિક સંકટ દૂર કરવા હિમાચલમાં ‘ટોઇલેટ સીટ’ પર લાગશે ટેક્સ

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા CM સુખવિન્દર સિંહ સુખુની આગેવાની કોંગ્રેસ સરકારે ટોઇલેટ સીટના હિસાબે ટેક્સ લેવાનો નિર્ણય કર્યો છે. શૌચાલયની ગણતરી ઘરોમાં કેટલા ટોઇલેટ હશે એને આધારે થશે, એમ તેમણે કહ્યું હતું. આ ટોઇલેટ સીટ ટેક્સ લાગશે, પછી એ શહેર કે ગામમાં હોય. એ સાથે સરકારે લોકોને અપાતી મફત સેવા પણ બંધ કરી દીધી છે. આ સિવાય લોકોએ પ્રતિ મહિને રૂ. 100 પ્રતિ કનેક્શન પાણીનું ભાડું પણ ચૂકવવાનું રહેશે.

સરકારે એના માટે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. લોકોને કહેવામાં આવ્યું છે કે એ ટોઇલેટ સીટ માટે જેટલું પાણી ઉપયોગ કરશે, એના પર ટેક્સ પણ એ હિસાબે લગાવવામાં આવશે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ હવે ઘરમાં લાગતી દરેક ટોઇલેટ સીટ માટે રૂ. 25 ચાર્જ ચૂકવવાનો રહેશે. આ બિલ સીવરેજ અને પાણી બિલની સાથે લાગીને આવશે. પાણીના કુલ કુલ બિલના 30 ટકા સીવરેજ બિલ વસૂલવામાં આવશે. આવામાં જો પાણીનો ઉપયોગ વધુ થશે તો સીવરેજ બિલ પણ વધુ આવશે.

રાજ્યમાં ચૂંટણી પહેલાં ભાજપે વચન આપ્યું હતું કે જો પક્ષ સત્તામાં આવશે તો બધાને મફત પાણી આપવામાં આવશે, પણ સુખુ સરકારના આવ્યા પછી બધાને પ્રતિ કનેક્શન રૂ. 100 મહિને બિલ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં રાજ્યમાં પાણીનાં બિલ નહોતાં લેવામાં આવતાં. રાજ્યમાં કુલ પાંચ નગર નિગમ, 29 નગરપાલિકાઓ અને 17 નગર પંચાયતો છે, જેમાં આશરે 10 લાખ લોકો રહે છે. આવામાં નવા સરકારી આદેશથી રાજ્યની એક મોટી વસતિ પર પ્રતિકૂળ અસર પડવાની આશંકા છે.