Home Blog Page 3

TMCના રાજ્યસભા સાંસદ પ્રકાશ બારિકનું પણ રાજીનામું

નવી દિલ્હી: TMCના રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બારિકે પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવ બાદ બારિકનું રાજીનામું મમતા બેનર્જી માટે વધુ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ  TMCના 19 લોકસભા સાંસદોએ પહેલેથી જ બળવો જાહેર કરી અલગ જૂથ તરીકે માન્યતા આપવા માટે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. હાલમાં TMCના રાજ્યસભામાં 10 અને લોકસભામાં 28 સાંસદો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જી પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને એકજૂટ રાખવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું માનવામાં આવે છે. પાર્ટીના 80 વિધાનસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી બાગી નેતા ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા સ્વીકાર્યો હોવાનું કહેવાય છે.

પ્રકાશ ચિક બારિક TMCના જૂના અને પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે. તેઓ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના રહેવાસી છે અને TMCના મુખ્ય આદિવાસી ચહેરા તરીકે જાણીતા રહ્યા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ ચા બગીચાના કર્મચારી અને મજૂર નેતા તરીકે સક્રિય હતા. પ્રકાશ બારિકને TMCમાં અભિષેક બેનર્જીના નજીકના સાથીદાર તરીકે જોવામાં આવે છે. પક્ષે તેમને ઓગસ્ટ, 2023માં પશ્ચિમ બંગાળમાંથી બિનહરીફ રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં અલીપુરદ્વાર બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. વર્ષ 2004માં તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટી સંલગ્ન સૂર્યસેન કોલેજ, સિલિગુડીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

સુખેન્દુ શેખર રાયનું રાજીનામું

સુખેન્દુ શેખર રાયે 8 જૂન, 2026એ રાજ્યસભા અને TMCની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપ્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમણે TMCના નેતૃત્વની ટીકા કરી હતી.

સુષ્મિતા દેવે પણ આપ્યો આંચકો

TMC સાંસદ સુષ્મિતા દેવે 10 જૂન, 2026એ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામા બાદ તેમણે નવી દિલ્હીમાં આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમા સાથે મુલાકાત કરી હતી, જેને પગલે તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની છે.

અહંકારથી અસ્તિત્વ તરફ…

એક બહુ પ્રખ્યાત શિલ્પકાર હતા. એક વાર તેમણે જીવંત લાગતી અદભુત મૂર્તિ બનાવી. મૂર્તિ એટલી સુંદર હતી કે કલાકાર પોતે જ તેના પ્રેમમાં પડી ગયા. દરરોજ તે મૂર્તિ સામે ઊભા રહી ગર્વથી કહેતા, “આ મેં બનાવી છે. મારા સિવાય આ દુનિયામાં કોઈ આવી મૂર્તિ બનાવી શકે નહીં!”

એક રાત્રે ભૂકંપ આવ્યો અને મૂર્તિના ટુકડા થઈ ગયા. કલાકારનું હૃદય તૂટી ગયું. તેમને સમજાઈ ગયું કે જે ‘હું’ (I)ના ગર્વમાં તેઓ જીવતા હતા, તે કુદરતની એક થપાટ સામે કેટલું વામણું હતું.

જ્યારે આપણો ‘હું’ અંગ્રેજીના કેપિટલ ‘I’ જેવો મોટો અને અભિમાની બની જાય છે, ત્યારે તે તૂટી પડે છે. પરંતુ જ્યારે ‘હું’ સ્મૉલ ‘i’ જેવો નમ્ર બને છે, ત્યારે તે ઝૂકીને પણ જીતી જાય છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સ્મૉલ ‘i’ના માથા પર હંમેશાં નમ્રતાનું એક ટપકું હોય છે? બિગ ‘I’ એટલે અહંકાર અને સ્મૉલ ‘i’ એટલે આપણું સાચું અસ્તિત્વ.

આજે આપણે આસપાસ નજર કરીએ તો મોટા ભાગના સંબંધો અને પરિવારો અહંકારના કારણે જ વીખરાઈ રહ્યા છે.

“ઘરમાં મારું જ ચાલવું જોઈએ…”
“મારી આગળ કોઈની હુશિયારી ચાલે જ નહીં…”

આવા સંવાદો આપણે અવારનવાર સાંભળીએ છીએ. કોઈ કદાચ આને વ્યવહાર કહે, પરંતુ હકીકતમાં આ અહંકાર છે, જે ક્યારેક માણસને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

જે વ્યક્તિ વ્યવહાર અને સંસ્કારની વાત કરે છે, તે ક્યારેય પોતાના અહંને મોટો થવા દેતી નથી. જે વ્યક્તિની અંદર સારા સંસ્કારોનું સિંચન થયું હોય છે, તે પોતાની અંદર ‘હુંપદ’ને પ્રવેશવા દેતી નથી.

કોઈપણ સુખી અને સશક્ત પારિવારિક જીવનનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરશો તો ખ્યાલ આવશે કે ત્યાં કોઈ ‘બોસ’ હોતો નથી. ઘરની દરેક વ્યક્તિ પોતે સર્વેસર્વા બનવાને બદલે એકબીજાને સમજીને, હળીમળીને રહેતી હોય છે. ત્યારે જ ઘર અને પરિવાર સુખપૂર્વક ચાલે છે અને ટકી રહે છે.

આજે ઠેરઠેર છૂટાછેડાના કેસો નોંધાઈ રહ્યા છે. તેની પાછળ મોટાભાગે બે વ્યક્તિઓનો અહંકાર જ જવાબદાર હોય છે. જે વ્યક્તિમાં જતું કરવાની ભાવના ન હોય અને જે સંબંધો કરતાં પોતાના અહંને વધુ મહત્વ આપે છે, તેના સંબંધોની ડોર નબળી જ રહેવાની. કારણ કે અહંકાર નામનો રાક્ષસ સંબંધોને ખોખલા બનાવવાનું કાર્ય કરતાં ક્યારેય અચકાતો નથી.

તમારી ઈચ્છા પ્રમાણે બધું જ થવું જોઈએ એવું રટણ કરવાને બદલે, થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે વર્તતા શીખો. બીજાને સમજવાનો અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશો તો સંબંધોમાં અને જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ ઘણી સાનુકૂળતા પ્રાપ્ત કરી શકશો.

બીજી વ્યક્તિને સમજીને થોડા સરળ બની શકવું એ સૌથી મોટા સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. યાદ રાખજો, અહંશૂન્યતા દરેક સદ્‌સંસ્કારની જનની છે.

Pramukh Swami Maharaj કહેતા હતા કે અંગ્રેજીમાં ‘I’ કેપિટલ લખવાનો નિયમ છે, પરંતુ હું મારા જીવનમાં હંમેશાં ‘I’ નાનો જ રાખું છું. તેઓ અંગ્રેજીમાં આશીર્વાદ લખતા ત્યારે પણ ‘I’ને સ્મૉલ જ લખતા.

જીવનમાં દરેક વ્યક્તિ પોતાનો ‘I’ નાનો રાખશે તો સુખી થશે. જો એ ‘I’ કેપિટલ બની જશે તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી જીવનને સુખી રાખવું હોય તો દરેક વ્યક્તિએ પોતાનો ‘I’ સ્મૉલ જ રાખવો. સ્મૉલ ‘i’ રાખવું એ સારા સંસ્કારનું પ્રતીક છે.

જો તમે સજાગ અને બુદ્ધિશાળી હશો તો સમજી શકશો કે આવડત માત્ર તમારામાં જ નથી. પૃથ્વી પર જન્મેલી દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ક્ષેત્રમાં તમારાથી વધુ હોશિયાર હોય જ છે. તમે કોઈ એક બાબતમાં પાવરધા હો, તો બીજી વ્યક્તિ બીજી કોઈ બાબતમાં પાવરધી હોઈ શકે.

કોઈપણ વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી, પરંતુ કોઈ વ્યક્તિ એવી પણ નથી હોતી જેને કંઈ જ આવડતું ન હોય. આથી, “હું જ બધું છું” એવો ભ્રમ અહંકાર સિવાય બીજું કંઈ જ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કબીરવાણી: તાણો-વાણો અને જીવનનો અર્થ

વ્યવસાયે વણકર એવા કબીરજી પોતાના કામ સાથે જ્ઞાન, પરિશ્રમ સાથે ભક્તિ, નિર્મોહ સ્થિતિ સાથે કરુણા અને ઈશ્વરસ્મરણ સાથે પરોપકાર જેવા અનેક તાણાવાણાની ગૂંથણી કરીને જીવનની સુંદર ભાત પાડી આપે છે.

જેમ વણકર તાણામાં વાણો પરોવતો જાય છે, તેમ તાણાનો અંત પણ નજીક આવતો જાય છે. વાણાનો દોરો પસાર થયા પછી વણકર તેને ફટકો મારીને મજબૂત બનાવે છે. એ જ રીતે સમયનો પ્રવાહ પણ વાણા જેવો સતત પસાર થતો રહે છે. તેથી કબીરજી ભક્તિ દ્વારા જીવનના તાણા-વાણાને મજબૂત બનાવવાનો ઉપદેશ આપે છે.

હરપળ જીવનનો તાણો કાળ ટૂંકાવી રહ્યો છે. ત્યારે જીવન સાર્થક બને તેવાં સત્કર્મો કરીએ, એ જ ઇચ્છનીય છે.

વણાટનું કામ પણ આયોજન માગી લે છે. સૂતરને ઉકેલવું, કાંજી કરવી, તાણો તૈયાર કરવો, તેને શાળ પર ચઢાવવો અને પછી વાણો ભરીને વણાટ કરવો — આ સમગ્ર પ્રક્રિયા પછી જ કાપડ તૈયાર થાય છે.

ત્યારબાદ પાવડી કે ડોબીની મદદથી તેમાં સુંદર ભાત પાડી શકાય છે.

તે જ રીતે જીવનમાં પણ કોઈ લક્ષ્ય હાંસલ કરવું હોય તો યોગ્ય આયોજન, સતત પ્રયત્ન અને સમર્પિત ભાવથી કર્મ કરવું જરૂરી છે.

કબીરજી આ સાખી દ્વારા સમજાવે છે કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેથી જીવનનો દરેક ક્ષણ સત્કર્મ, ભક્તિ અને સદુપયોગમાં વાપરીને જીવનને અર્થપૂર્ણ બનાવવું જોઈએ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

અમેરિકી હુમલા બાદ ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એક વાર ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસથી બંને દેશો વચ્ચે સતત હુમલાઓ થઈ રહ્યા છે. ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા સૈન્ય કમાન્ડે ગુરુવારે જાહેરાત કરી કે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરી એક વાર બંધ કરવામાં આવી રહ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ જહાજ કે નૌકા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે.

હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા ભાગના ઓઇલ પુરવઠાનો પરિવહન આ માર્ગ મારફતે થાય છે. આવી સ્થિતિમાં જો આ જળમાર્ગ ખરેખર બંધ થઈ જાય તો વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે અને ઓઇલના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે.

એક તરફ ઈરાન હોર્મુઝ જળમાર્ગ બંધ હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ અલગ નિવેદન આપ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી અને કોઈ પણ અમેરિકી નૌસેનાના જહાજ પર હુમલો થયો નથી. આ વિરોધાભાસી દાવાઓ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી એક વાર હુમલો કર્યો છે. ઈરાનના દક્ષિણ વિસ્તારોમાં અનેક વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે. અહેવાલ અનુસાર કિશમ અને અન્ય ટાપુઓ પર પ્રોજેક્ટાઈલ પડતા મોટા વિસ્ફોટ થયા હતા. ઉપરાંત બંદર અબ્બાસ એરપોર્ટ નજીક પણ અનેક વિસ્ફોટોની માહિતી સામે આવી છે. અમેરિકાના આ હુમલાઓ બાદ ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા આવનારા સમયમાં પણ આવી જ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ઈરાનનું કહેવું છે કે તે અમેરિકી હિતો સાથે જોડાયેલાં અન્ય સ્થળોને પણ નિશાન બનાવી શકે છે.

ઈરાનનો દાવો – હોર્મુઝ જળમાર્ગ સૌ માટે બંધ

ઈરાને દાવો કર્યો હતો છે કે તેણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હોર્મુઝ જળમાર્ગને તમામ પ્રકારનાં જહાજો, તેલ ટેન્કરો અને વેપારી વહાણો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે. ઈરાને ચેતવણી આપી છે કે આ માર્ગમાંથી પસાર થનારા કોઈ પણ જહાજ પર હુમલો થઈ શકે છે.

સુવિચાર – ૧૧ જૂન ૨૦૨૬

પંચાંગ 11/06/2026

૧૧ જૂન ૨૦૨૬

દરિયામાં તેલના ટેન્કર પર અમેરિકી મિસાઈલ હુમલો: 3 ભારતીય નાવિકો લાપતા

પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હવે દરિયાઈ વેપાર માર્ગો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આગામી 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એક મોટા કમર્શિયલ ઓઇલ અને કેમિકલ ટેન્કર જહાજ પર સૈન્ય હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. આ જહાજ પર કામ કરતા કુલ 28 સભ્યોમાંથી પ્રચંડ બહુમતી એટલે કે 24 સભ્યો ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે અને ભારતના 3 નાગરિકો દરિયામાં લાપતા થયા છે, જેના કારણે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

અહેવાલ મુજબ, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ ‘એમ્બ્રે’ (Ambrey) એ આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો સંભવતઃ ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટે ચલાવવામાં આવી રહેલા અમેરિકી સૈન્ય ઓપરેશનનું સીધું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને સત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી કે, હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ (Bow) પર એકઠા થાય. મેરિટાઇમ સિક્યુરિટી સાથે જોડાયેલા અન્ય સંરક્ષણ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે જહાજ પર અમેરિકી મિસાઈલથી જ હુમલો કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ અંગે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ભારતે અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને કર્યા તલબ

આ આંતરરાષ્ટ્રીય હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાતા ભારતે અત્યંત આક્રમક રાજદ્વારી વલણ અપનાવ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા વિભાગ) નાગરાજ નાયડુએ તાત્કાલિક ધોરણે ભારતમાં અમેરિકાના ‘ચાર્જ ડી અફેર્સ’ (Charge d’Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ભારતના મહાન વડાપ્રધાન

ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહા-રેકોર્ડની ગુંજ હવે છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના પ્રમુખ તરીકે સતત સત્તા પર રહીને પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને પાછળ છોડવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીને દિલથી અભિનંદન આપ્યા છે. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર છતી થઈ છે, જેમાં ટ્રમ્પે પીએમ મોદીની અદભુત રાજકીય ક્ષમતા અને નેતૃત્વના મુક્ત મને વખાણ કર્યા છે.

ટ્રમ્પનો ખાસ સંદેશ: “મારા મિત્ર મોદી એક મહાન વડાપ્રધાન છે”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક વિગતવાર અને અત્યંત પ્રભાવશાળી પોસ્ટ શેર કરી છે. ટ્રમ્પે આ પોસ્ટમાં લખ્યું કે, “મારા પરમ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! તેઓ ખરેખર એક મહાન વડાપ્રધાન છે. તે એક અત્યંત મજબૂત, શારીરિક રીતે સ્વસ્થ અને અદભુત બુદ્ધિમાન વ્યક્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમની સામે હજુ પણ મહાનતા અને અસાધારણ સફળતાના અનેક વર્ષો પડ્યા છે. ટ્રમ્પે પીએમ મોદીની રાજકીય સફર અને લોકપ્રિયતાની પ્રશંસા કરવાની સાથે ભવિષ્યના કાર્યકાળ માટે તેમને નિરંતર સફળતાની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

કઈ રીતે તૂટ્યો પંડિત નહેરુનો 62 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014 ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે કોઈપણ પ્રકારના વિરામ કે અંતરાલ (Gap) વિના દેશની અવિરત સેવા કરી છે. આગામી 10 જૂનના રોજ પીએમ મોદીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક પોતાના 4399 દિવસ પૂર્ણ કરી લીધા છે.

ગુજરાતને સિકલ સેલ મુક્ત કરવા લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી’ મેળવો : પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આયોજીત આ કાર્યક્રમ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે આનુવંશિક રોગોને અટકાવવા માટે લગ્ન પહેલાં પરંપરાગત કુંડળીની જેમ જ ‘મેડિકલ કુંડળી’ એટલે કે સિકલ સેલ સ્ટેટસ તપાસવા પર ખાસ ભાર મૂક્યો હતો, જેથી આવનારી પેઢીને આ રોગ વારસામાં ન મળે.વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં શરૂ થયેલી શ્રેષ્ઠ સ્ક્રીનિંગ કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું કે, યોગ્ય કાળજી અને સારવારથી આ રોગ સાથે પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ પીડિત બાળકોએ પ્રફુલભાઈને ચિત્ર ભેટ આપ્યું હતું.આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું કે, વેક્સિન આધારિત રોગો કરતા સિકલ સેલ જેવા જેનેટિક (જનીની) રોગોની નાબૂદી વધુ પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે. જેને રોકવા માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ, જેનેટિક કાઉન્સિલિંગ અને ‘જનભાગીદારી’ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. આ કાર્યક્રમમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રતનકવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.