Home Blog Page 3

સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ ફરી થયા એક

બેડમિન્ટન ખેલાડીઓ સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના સંબંધોમાં ફરી એકવાર મીઠાશ પાછી આવી છે. આ વર્ષે 16 જુલાઈના રોજ સાયના નેહવાલે એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે. પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે. સાયના નેહવાલે 2 ઓગસ્ટના રોજ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે બંને ફરી સાથે આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

એટલે કે, સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે માત્ર 17 દિવસમાં પોતાના નિર્ણયથી યુ-ટર્ન લીધો છે. સાયના નેહવાલે ઇન્સ્ટાગ્રામ પર પારુપલ્લી કશ્યપ સાથેનો ફોટો શેર કરીને લખ્યું, ‘ક્યારેક અંતર તમને હાજરીનું મહત્વ શીખવે છે. સારું, અમે ફરીથી પ્રયાસ કરી રહ્યા છીએ.’

સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે લગભગ 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. પારુપલ્લી કશ્યપ પણ બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ ૧૯૯૭માં એક કેમ્પ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ બંનેએ હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ લીધી. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, સાયના નેહવાલ અને પારૂપલ્લીએ ૨૦૧૮માં લગ્ન કર્યા.

 

Watch Video: રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા પર ભાવુક થયા શાહરૂખ ખાન

71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ‘જવાન’ માટે શાહરૂખ ખાન અને ’12મી ફેલ’ માટે વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર થયા પછી શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી.

શાહરુખ ખાને એક ભાવનાત્મક વિડિઓ પોસ્ટ કર્યો અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર 2 મિનિટ 17 સેકન્ડનો વિડિઓ શેર કર્યો છે, જેમાં તે બેસ્ટ અભિનેતા શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, પરંતુ ચાહકોએ વિડિઓમાં કંઈક એવું જોયું, જેના કારણે કિંગ ખાનના ચાહકો ચિંતિત થઈ ગયા. હકીકતમાં શાહરુખ ખાને હાથમાં પાટો બાંધેલો છે, એ જોઈને ચાહકો ચિંતા થવા લાગી.

શાહરૂખ ખાનને તેના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જેના માટે તે ખુશી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં, સુપરસ્ટાર કહે છે, ‘નમસ્કાર, આદાબ! રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવું એ મારા માટે એક એવી ક્ષણ છે જેને હું આખી જીંદગી યાદ રાખીશ. હું આ સન્માન માટે જ્યુરી, ચેરમેન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માનું છું, અને તે બધાનો પણ આભાર માનું છું જેમણે મને આ સન્માન માટે લાયક માન્યા. મારી પત્ની અને બાળકો, જેમણે મને ખૂબ પ્રેમ આપ્યો અને 4 વર્ષ સુધી મારી સંભાળ રાખી, જાણે હું ઘરનો બાળક હોઉં.’

પરિવાર પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી

શાહરુખ ખાન પોતાના વીડિયોમાં આગળ કહે છે, ‘મારો પરિવાર સારી રીતે જાણે છે કે સિનેમા પ્રત્યેનો મારો જુસ્સો મને તેમનાથી દૂર લઈ જાય છે, પરંતુ તેઓ તેને સ્મિત સાથે સહન કરે છે. હું આ માટે તેમનો ખૂબ ખૂબ આભારી છું. રાષ્ટ્રીય પુરસ્કાર ફક્ત એક સિદ્ધિ નથી, તે મને યાદ અપાવે છે કે મારું કાર્ય મહત્વપૂર્ણ છે. તે મને સંદેશ આપે છે કે મારે મારું કાર્ય ચાલુ રાખવું અને સખત મહેનત કરવી પડશે. મારે સર્જનાત્મક રહેવું પડશે અને સિનેમાની સેવા કરતા રહેવું પડશે. તે મને યાદ કરાવતું રહેશે કે અભિનય ફક્ત એક કામ નથી, તે એક જવાબદારી છે, સત્ય બતાવવાની જવાબદારી છે.’

હું ફરીથી થિયેટરોમાં આવીશ: શાહરુખ

‘હું બધાના પ્રેમ અને ભારત સરકારનો ખૂબ આભારી છું. આ સન્માન માટે હું તમારા હૃદયના તળિયેથી આભાર માનું છું. હું તમારા માટે મારું સિગ્નેચર સ્ટેપ કરવા માંગુ છું, પરંતુ આ સ્થિતિમાં તે શક્ય નથી. પણ કોઈ વાંધો નહીં, પોપકોર્ન તૈયાર રાખો, તૈયાર રહો, હું ટૂંક સમયમાં થિયેટરોમાં પાછો આવીશ.’ તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું,’મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવા બદલ આભાર.’ જ્યુરી અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર… આ સન્માન માટે ભારત સરકારનો આભાર. મારા પર વરસેલા પ્રેમથી હું ખૂબ જ ખુશ છું.

આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાના એક હાથમાં પાટો બાંધેલો જોવા મળે છે, જે દર્શાવે છે કે તેના હાથમાં ઈજા થઈ છે. તાજેતરમાં જ, એવા સમાચાર આવ્યા હતા કે શાહરૂખ ‘કિંગ’ના સેટ પર ઘાયલ થયો હતો. જોકે, તેની ટીમે પુષ્ટિ આપી છે કે સુપરસ્ટારને કિંગના સેટ પર આ ઈજા થઈ નથી, પરંતુ તે પોતાની જૂની ઈજાની સારવાર માટે અમેરિકા ગયો હતો.

રશિયા સાથે પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે અમેરિકાઃ ટ્રમ્પ

વોશિંગટનઃ મોસ્કો સાથેના તણાવભર્યા સંબંધોની વચ્ચે ષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યું નિવેદન કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા રશિયા સાથેના પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે તેમણે સાથે જ એમ પણ ઉમેર્યું હતું કે મને નથી લાગતું કે આવી સ્થિતિમાં કોઈ જીતી શકે છે.

ટ્રમ્પે આ નિવેદન ત્યારે આપ્યું, ત્યારે તેમણે રશિયા નજીક અમેરિકાની પરમાણુ સબમરીનો તહેનાત કરી હતી. ટ્રમ્પના આ પગલા બાદ રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ તણાવભર્યા થવાની આશંકા છે. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેડવેડેવના ખૂબ જ ઉશ્કેરણીજનક નિવેદનોને આધારે તેમણે યોગ્ય વિસ્તારોમાં બે પરમાણુ સબમરીનો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ નિવેદનો ખૂબ મહત્વનાં હોય છે અને ક્યારેક તે અનિચ્છનીય પરિણામોની દિશામાં લઈ જાય છે, મને આશા છે કે મેડવેડેવનાં નિવેદનો એવી સ્થિતિ ઊભી નહીં કરે.

ટ્રમ્પે ગુરુવારે એક પોસ્ટમાં મેડવેડેવને રશિયાના નિષ્ફળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કહ્યું હતું. થોડા કલાકો બાદ મેડવેડેવે જવાબ આપતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે રશિયા દરેક મામલામાં સાચા છે અને પોતાના માર્ગે આગળ વધતું રહેશે. ટ્રમ્પ અને મેડવેડેવ વચ્ચેની આ બોલચાલ આ અઠવાડિયે શરૂ થઈ હતી, જ્યારે મેડવેડેવે પહેલાં લખ્યું હતું કે ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમની રમત રમે છે. તેમણે બે વાતો યાદ રાખવી જોઈએ. પ્રથમ,  રશિયા ઈઝરાયેલ કે ઈરાન નથી. બીજું,  દરેક નવું અલ્ટિમેટમ એ ખતરો છે અને યુદ્ધ તરફ લઈ જતું પગલું છે – રશિયા અને યુક્રેન વચ્ચે નહીં, પણ તેમના પોતાના દેશ (અમેરિકા) સાથે.”

આ પહેલાં પણ ટ્રમ્પ રશિયા સામે લડાઈ માટે તૈયાર હોવાની વાત કરી ચૂક્યા છે. શુક્રવારે જ્યારે તેઓ વ્હાઈટ હાઉસથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે પત્રકારોએ જ્યારે પૂછ્યું કે સબમરીનોનું સ્થાન ક્યાં બદલાયું છે, તો તેમણે કોઈ વિગત આપી નહિ.

ગુજરાત જાયન્ટ્સની PKL સિઝન-12 માટેની કેવી છે તૈયારી?

કબડ્ડી ભારતની સૌથી લોકપ્રિય અને રોમાંચક રમતોમાંથી એક છે. ક્રિકેટની જેમ કબડ્ડી માટે પણ પ્રો કબડ્ડી લીગ (PKL) શરૂ કરવામાં આવી છે. જેની 12મી સિઝન 29 ઓગસ્ટ, 2025થી શરૂ થઈ રહી છે. આ લીગમાં ગુજરાતની ટીમ ‘ગુજરાત જાયન્ટ્સ’ પણ ભાગ લઈ રહી છે. ગુજરાત જાયન્ટ્સની માલિકી અદાણી ગ્રૂપની રમત-ગમત શાખા, ‘અદાણી સ્પોર્ટ્સલાઇન’ પાસે છે. ગુજરાત જાયન્ટ્સે 2017માં PKLની પાંચમી સિઝનથી આ લીગમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2017 અને 2018માં ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચીને રનર-અપ રહી હતી. આ વર્ષે ગુજરાત જાયન્ટ્સની તૈયારી કેવી છે, તે વિશે અમે ટીમના ફિટનેસ કોચ અભિષેક પરિહર સાથે વાત કરી. અમારી ‘છોટી સી મુલાકાત’માં અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વર્ષે ટીમના ખેલાડીઓના ડાયટ, તેમના ફિટનેસ રૂટિન અને મેન્ટલ સ્ટ્રેન્થ માટે પણ કેવાં પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

ચિત્રલેખા.કોમ: ગુજરાત જાયન્ટ્સના ફિટનેસ કોચના રૂપમાં તમારી પ્રાથમિક્તાઓ શું છે? સાથે જ તમે હેડ કોચ તેમજ સહાયક કોચને કઈ રીતે સહયોગ કરો છો?
અભિષેક પરિહર: હું એવું માનું છું કે કોઈ પણ ખેલાડીની ફિટનેસ સૌથી વધારે મહત્વની છે, તેની સ્કિલ તો છેલ્લી ઘડીએ પણ ડેવલોપ થઈ શકે છે. પણ ફિટનેસ છેલ્લી ઘડીએ ન આવી શકે. કબડ્ડી એક હાઈ કોમ્બેટ રમત છે. તેમાં ટક્કર થતી રહેતી હોય છે, વાગવાનું પ્રમાણ પણ વધારે હોય છે. ઢીંચણ અને એન્કલની ઈજાઓ તો આ રમતમાં સૌથી વધારે થતી હોય છે. આથી દિવસની શરૂઆતથી જ અમે ખેલાડીઓનું હાઈ રૂટિન રાખીએ છીએ. બાકી સાંજે અમે નેટ ટ્રેનિંગ માટે સમય કાઢીએ છીએ. કોચ સાથે અમારો પ્રોપર ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ હોય છે. દર અઠવાડિયે અમે નવો પ્લાન બનાવીએ છીએ કે, ક્યા ખેલાડી પર કઈ રીતે કામ કરવું છે. જો કોઈ ખેલાડીનું વજન ઓછું હોય તો તેને ક્યા પ્રોગ્રામમાં દાખલ કરવો? જો કોઈ ખેલાડીનું વજન વધારે હોય તો તેને ક્યા પ્રોગ્રામ દાખલ કરવો? કોઈ ખેલાડીની સ્પીડ વધારે હોય તો તેને કેટલાં જીમ સેશન આપવા છે? હેડ કોચ અને આસિસ્ટન્ટ કોચ સાથે મલીને આ રીતેનો પ્રોગ્રામ ડિઝાઈન કરીએ છીએ.

કબડ્ડીની રમતમાં ગતિ, ચુસ્તી, તાકત અને માનસિક સતર્કતા ખૂબ જ જરૂરી છે, તેને ધ્યાનમાં રાખીને આપે ખેલાડીઓનો ફિટનેસ પ્રોગ્રામ કઈ રીતે તૈયાર કર્યો છે?

મેન્ટલ સ્ટ્રેન્થ તો ટ્રેનિંગ અને એક્સપિરયન્સની સાથે આવે છે. ખેલાડી જે રીતે મહેનત કરતો જાય છે, તેનો કોન્ફિડન્સ ઓટોમેટિકલી એ રીતે વધતો જાય છે. કબડ્ડી એક કોમ્બેટ રમત છે એટલે આમાં એ જ ખેલાડી રમી શકે છે, જેની મેન્ટલ સ્ટ્રેન્થ સારી હોય. અહીં અમે એ લોકોને પોઝિટિવ ઈન્પોર્સમેન્ટ જ આપીએ છીએ. ટ્રેનિંગમાં અમે એમને શીકવીએ છે કે જે પણ કરે તે સુરક્ષિત રીતે કરે. ઈજાઓ શક્ય હોય તેટલી ઓછી થાય.

ગુજરાત જાયન્ટ્સની ટીમ બે સિઝનમાં ઉપ-વિજેતા બની છે, તો આ વર્ષે 12મી સિઝનમાં ટીમના પ્રદર્શનને વધારે સારૂં બનાવવા માટે આપે કઈ ફિટનેસ રણનીતિ તૈયાર કરી છે?

અમે દર વખતે જીતવા માટે જ મેદાનમાં ઉતરીએ છીએ. રણનીતિ તો હંમેશા એ રીતની જ બનતી હોય છે. આ વખતે અમારો પ્લસ પોઈન્ટ એ છે કે અમારી પાસે વધુ યુવા ખેલાડીઓ છે. તેઓ પ્રો-એક્ટિવ છે, ઉત્સાહ સાથે દરેક વસ્તુઓમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે અમારા યુવા ખેલાડીઓની સ્પીડ સારી છે. અમારા સીનિયર ખેલાડીઓ અને યુવા ખેલાડીઓમાં કોર્ડિનેશન સારું છે. પોઝિટિવ એટિટ્યૂડ સાથે અમે લોકો ટ્રેનિંગ કરી રહ્યા છીએ.

ડિફેન્ડર અને રાઈડર જેવાં પ્રમુખ ખેલાડીઓની શારીરિક જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેને ધ્યાનમાં રાખીને આપનું પ્લાનિંગ શું છે?

ડિફેન્ડર અને રાઈડર્સ ખેલાડીઓના ઓક્સિજન લેવલ પર સૌથી વધુ કામ કરવું પડે છે. ઓક્સિજનમાં  જે તે ખેલાડીઓની વીકનેસ પર કામ કરવામાં આવતું હોય છે. જે તે ખેલાડીની વીકનેસ પર અમે લોકોએ ઓફ સિઝનમાં જ કામ કરી લીધું છે. હવે તો માત્ર તેમની ફિટનેસ પર જ કામ કરી રહ્યા છે.

તમારા ફિટનેસ પ્રોગ્રામમાં ન્યૂટ્રીશનની ભૂમિકા શું છે? આપ ખેલાડીઓની આહાર સંબંધિત જરૂરિયાતોને કેવી રીતે સુનિશ્ચિત કરો છો?

મેં જાતે પણ ન્યૂટ્રીશનનો કોર્સ કરેલો છે. આથી ખેલાડીઓના ડાયેટ ચાર્ટ વગેરેમાં મારું ઈનપુટ 100 ટકા હોય છે. મને ખબર હોય છે કે મારે મારા દરેક ખેલાડીને ક્યો ખોરાક આપવાનો છે અને ક્યો ખોરાક આપવાનો નથી. સૌથી સારી વાત અમારા માટે એ છે કે અદાણી સ્પોર્ટ્સલાઈને અમારો પાદુકોણે-દ્રવિડ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સમાં જે કેમ્પ લગાવ્યો છે, ત્યાં અમને બીજા પણ વધુ સારા ક્વોલિફાઈડ ન્યૂટ્રિશિયન્સનો લાભ મળી રહ્યો છે. અમે અમારા રાઈડર્સને લો કાર્બ્સ અને હાઈ પ્રોટિન ડાયેટ પર રાખેલા છે. જેથી તેમની સ્પીડ મેઈન્ટેન રહે. ડિફેન્ડર્સને અમે હાઈ કાર્બ્સ ડાયેટ પર રાખ્યા છે.

ગુજરાત જાયન્ટ્સ માટે પ્રી-સીઝન ફિટનેસ કેમ્પ કેવો રહ્યો? આપે કેમ્પમાં ક્યા મુખ્ય ક્ષેત્રો પર કામ કર્યું?

આ વર્ષે મેં જ્યારે કેમ્પ જોઈન્ટ કર્યો ત્યારે મારા ભાગે કામ ખૂબ જ ઓછું આવ્યું છે. કારણ કે અમારા જે ખેલાડીઓ છે, તેઓ પોતે જ પોતાના ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત છે. ખેલાડીઓ કેમ્પ શરૂ નહતો થયો તે પહેલાંથી જ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આખું વર્ષે ખેલાડીઓ પોતાની સ્ટ્રેન્થ પર, પોતાની સ્પીડ પર કામ કરી રહ્યા છે. ખેલાડીઓએ પોતાની ઈજાઓમાંથી બહાર આવવા માટે પણ ખૂબ જ મહેનત કરીને આવ્યા છે. આથી મારું અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું હતું. વીક પોઈન્ટ ઉપર ખેલાડીઓએ જાતે જ કામ કર્યું છે. મેં માત્ર તેમના પીક પર્ફોમન્સ પર જ કામ કર્યું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

લોકસભા ચૂંટણીમાં લગભગ 100 બેઠકો પર થઈ ગેરરીતિ: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગઈ લોકસભા ચૂંટણીમાં લગભગ 100 બેઠકો પર ગેરરીતિઓ થઈ હતી અને જો તેમાંથી ફક્ત 15 બેઠકો પર પણ ગેરરીતિ ન થઈ હોત તો નરેન્દ્ર મોદી આજે દેશના વડા પ્રધાન ના હોત.

લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ કોંગ્રેસના કાનૂની, માનવ અધિકાર અને RTI વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાનૂની સંમેલનમાં એ વાત ફરીથી પુષ્ટિ કરી હતી કે કર્નાટકના એક મતવિસ્તારમાં મતદાર યાદીમાં જે ચેડાં થયા છે તેના પુરાવા એટમ બોમ્બ જેવા છે.

દિલ્હીમાં આયોજિત વાર્ષિક લીગલ કોન્ક્લેવ 2025માં શનિવારે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી હવે સમાપ્ત થઈ ગઈ છે. અમુક જ દિવસોમાં અમે સાબિત કરીશું કે લોકસભા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું અમારા હાથમાં એવો પુરાવો છે જેના દ્વારા અમે આખા દેશમાં બતાવીશું કે ચૂંટણી પંચ જેવી સંસ્થા હવે અસ્તિત્વમાં રહી નથી. તે ગાયબ થઈ ગઈ છે. આ પુરાવા એકત્ર કરવા માટે અમને સતત છ મહિના કામ કરવું પડ્યું છે. તમે બિનસંદિગ્ધ રીતે જોશો કે કેવી રીતે લોકસભા ચૂંટણી ચોરાઈ શકે છે. 6.5 લાખ મતદાર મત આપે છે અને તેમાંના 1.5 લાખ મતદાર બોગસ હોય છે.

ટ્રમ્પની ‘ડેડ ઈકોનોમી’ ટિપ્પણી બાદ PM મોદીનું નિવેદન આવ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને ‘મૃત અર્થવ્યવસ્થા’ ગણાવી હતી. તેમના કટાક્ષના જવાબમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી એક મજબૂત સંદેશ આપ્યો અને કહ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. પીએમ મોદીએ દેશવાસીઓને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરાવ્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દરેક ભારતીયે દરેક ખરીદીમાં દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.

વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું, હવે ભારત પણ દરેક વસ્તુનું પરીક્ષણ કરવા માટે ફક્ત એક જ સ્કેલનો ઉપયોગ કરશે – એટલે કે, ભારતીય પરસેવાથી બનેલી વસ્તુઓ. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે દેશના દરેક નાગરિક, દરેક દુકાનદાર અને દરેક ગ્રાહકે આ મંત્ર અપનાવવો જોઈએ કે આપણે ફક્ત તે જ ખરીદીશું જે ભારતમાં બનેલું છે, જે ભારતીય હાથ દ્વારા બનાવટી છે અને જેમાં આપણા દેશનો પરસેવો છે. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની જવાબદારી ફક્ત સરકારની જ નહીં પરંતુ દરેક ભારતીયની છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, વિશ્વના દેશો પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે. ભારતે તેના ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, ભારતે હવે સતર્ક રહેવું પડશે. કંઈક ખરીદવા માટે ફક્ત એક જ સ્કેલ હશે – જેમાં ભારતીય નાગરિકનો પરસેવો વહ્યો હોય. આપણે ફક્ત તે જ વસ્તુઓ ખરીદીશું જે ભારતમાં બનેલી હોય. ભારતીય કૌશલ્યથી બનેલી હોય, ભારતીય હાથે બનેલી હોય. આ આપણા માટે વાસ્તવિક સ્વદેશી છે.

‘દરેક નાગરિકે સ્વદેશીનો પ્રમોટર બનવું જોઈએ’

વડાપ્રધાન મોદીએ આ સંકલ્પને ફક્ત સરકાર કે રાજકીય પક્ષો પૂરતો મર્યાદિત રાખ્યો નહીં પરંતુ તેને દરેક નાગરિકની જવાબદારી ગણાવી. તેમણે કહ્યું કે, સરકાર આ દિશામાં દરેક પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશના નાગરિક તરીકે, આપણી કેટલીક જવાબદારીઓ છે. ફક્ત મોદી જ નહીં, ભારતના દરેક વ્યક્તિએ દરેક ક્ષણે આ કહેતા રહેવું જોઈએ – બીજાને કહેતા રહેવું જોઈએ. જે લોકો દેશનું ભલું ઇચ્છે છે, જે દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે, તેમણે પોતાનો ખચકાટ છોડીને દેશવાસીઓમાં દરેક ક્ષણે દેશના હિતમાં એક ભાવના જાગૃત કરવી પડશે – એ જ સંકલ્પ છે, આપણે સ્વદેશી અપનાવવી જોઈએ. મોદીએ સ્પષ્ટ કર્યું કે ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ને હવે વ્યવહારિક જીવનનો ભાગ બનાવવો પડશે, ફક્ત એક સૂત્ર નહીં.

‘વેપારીઓએ ફક્ત સ્વદેશી માલ વેચવો જોઈએ, આ દેશની સાચી સેવા છે’

વડાપ્રધાનએ દેશના વેપારીઓ અને ઉદ્યોગોને ખાસ વિનંતી કરી અને કહ્યું, હવે સમય આવી ગયો છે કે ફક્ત અને ફક્ત સ્વદેશી ઉત્પાદનો વેચવા જોઈએ. તેમણે કહ્યું, હું વ્યાપાર જગત સાથે સંકળાયેલા ભાઈઓને ચેતવણી આપું છું – હવે ફક્ત સ્વદેશી માલ આપણી દુકાનોમાં વેચવો જોઈએ. આ દેશની સાચી સેવા હશે. જ્યારે દરેક ઘરમાં નવો માલ આવશે, ત્યારે તે સ્વદેશી હોવો જોઈએ, આ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

વોટર લિસ્ટમાં તમારું નામ છેઃ તેજસ્વીના આરોપ પર ECનો જવાબ

પટનાઃ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે દાવાને ચૂંટણી પંચે ખોટો સાબિત કર્યો છે. તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે બિહારની મતદાતા યાદી (વોટર લિસ્ટ)ના ડ્રાફ્ટમાંથી તેમનું નામ ગાયબ છે. ચૂંટણી પંચે થોડા દિવસો પહેલાં જ મતદાતા યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત કર્યો હતો.

તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેમણે SIR દરમિયાન મતદાર ફોર્મ ભરી દીધું હતું, છતાં પણ જે ડ્રાફ્ટ યાદી બહાર પડી છે તેમાં તેમનું નામ નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો તેમનું નામ યાદીમાં નથી તો તેઓ વિધાનસભાની ચૂંટણી કેવી રીતે લડી શકે? તેમણે કહ્યું હતું કે તેમણે ચૂંટણી પંચના પોર્ટલ પર ECIP (Electors Photo Identity Card) નંબર RAB2916120 દાખલ કરીને તપાસ્યું ત્યારે નો રેકોર્ડ ફાઉન્ડ દર્શાવાયું.

તેમણે આરોપ મૂક્યો હતો કે ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા જે વચન આપ્યું હતું, તે બધાથી પીછેહઠ કરી છે. તેજસ્વીના આ દાવા બાદ તરત જ ચૂંટણી પંચે ફેક્ટ ચેક કર્યું અને જણાવ્યું કે તેજસ્વી ખોટું બોલી રહ્યા છે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે તેજસ્વીનું નામ મતદાતા યાદી (ડ્રાફ્ટ)માં સમાવિષ્ટ છે અને તેમાં તેમનું નામ, ફોટો, ઉંમર, પિતાનું નામ અને મકાન નંબર વિગેરે વિગતો યોગ્ય રીતે દર્શાવેલી છે. પંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેજસ્વીનો દાવો કે તેમનું નામ યાદીમાં નથી, તે સંપૂર્ણપણે ખોટો અને તથ્યવિહીન છે.

SIRને લઈને બિહારમાં હંગામો ચાલુ

બિહારમાં ગયા મહિનેથી જ SIR પ્રક્રિયા ને લઈને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે બિહારમાં મતદાતા યાદીની Special Intensive Revision પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે આ એક વ્યૂહરચના છે, જેના માધ્યમથી પછાત, દલિત અને નબળા વર્ગના લોકોના મત હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કુલગામમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન, જિલ્લાના અખાલ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં, ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે કુલગામમાં આખી રાત તૂટક તૂટક અને તીવ્ર ગોળીબાર ચાલુ રહ્યો. સતર્ક સૈનિકોએ આતંકવાદીઓને ગોળીબારથી જવાબ આપ્યો અને આતંકવાદીઓને ભાગી ન જાય તે માટે ઘેરાબંધી કડક કરી.

કુલગામમાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ થઈ છે. મોડી રાત્રે માર્યા ગયેલા આતંકવાદીનું નામ હરિસ નઝીર ડાર હતું, જે પુલવામાના રાજપોરાનો રહેવાસી હતો. સર્ચ ઓપરેશન દરમિયાન, એક AK-47 રાઇફલ, એકે મેગેઝિન અને ગ્રેનેડ સહિત શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.

30 જુલાઈના રોજ એક આતંકવાદી પણ માર્યો ગયો હતો

અગાઉ, સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે ભારતીય સેનાના સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર સરહદી વાડ પાસે શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ૩૦ જુલાઈના રોજ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

2024 લોકસભા ચૂંટણીમાં ગોટાળા થયો, રાહુલ ગાંધીનો મોટો આરોપ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી અંગે મોટો આરોપ લગાવ્યો છે. શનિવારે કોંગ્રેસ પાર્ટીના કાનૂની પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ગોટાળા થયા હતા. તેમણે કહ્યું કે હવે તેમની પાસે એવા દસ્તાવેજો અને ડેટા છે જે સાબિત કરે છે કે ચૂંટણીમાં ગોટાળા થયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, લોકસભા ચૂંટણીમાં ગોટાળા થઈ શકે છે, અને 2024ની લોકસભા ચૂંટણીમાં ગોટાળા થયા હતા. હવે અમારી પાસે આના પુરાવા છે. અમે તે સાબિત કરીશું.

એક લોકસભા બેઠકનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું, અમે એક બેઠકની મતદાર યાદી તપાસી. તેમાં 6.5 લાખ મતદારો હતા, જેમાંથી 1.5 લાખ નકલી હોવાનું જાણવા મળ્યું. તેમનો દાવો છે કે આ કોઈ અપવાદ નથી, પરંતુ એક સુનિયોજિત યોજના હેઠળ કરવામાં આવેલી છેતરપિંડી છે. કોંગ્રેસ નેતાએ વિજ્ઞાન ભવનમાં પાર્ટીના કાયદા વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આ ગડબડને કારણે ભાજપની બહુમતી સરકાર બની હતી. તેમણે કહ્યું, જો ભાજપને 15-20 બેઠકો ઓછી મળી હોત, તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન ન બન્યા હોત. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું, ભારતમાં ચૂંટણી પંચ હવે મૃતપ્રાય થઈ ગયું છે.” તેમણે આરોપ લગાવ્યો કે આ સંસ્થા હવે સ્વતંત્ર રીતે કામ કરી રહી નથી.

શંકા 2014 થી હતી, હવે પુરાવા મળી ગયા છે

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને 2014 થી ચૂંટણી પ્રણાલી પર શંકા હતી, અને ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ શંકા વધુ ઘેરી બની. તેમણે કહ્યું, “આશ્ચર્યજનક વાત એ છે કે કોંગ્રેસને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં એક પણ બેઠક મળી નથી. અમે જ્યારે પણ વાત કરતા ત્યારે લોકો કહેતા કે પુરાવા ક્યાં છે?”

ભ્રષ્ટાચારઃ કર્ણાટકમાંથી ભૂતપૂર્વ કલાર્કની ત્યાં મળી કરોડોની સંપત્તિ

બેંગલુરુઃ કર્ણાટકમાંથી એક ભૂતપૂર્વ કલાર્કે માત્ર રૂ. 15,000 પગાર હોવા છતાં રૂ. 30 કરોડની સંપત્તિ એકઠી કરી લીધી હતી. લોકાયુક્તને તપાસ દરમિયાન 24 મકાન, છ પ્લોટ, 1 કિલોગ્રામથી વધુ સોનાની દાગીના, 40 એકરથી વધુ ખેતી લાયક જમીન, અનેક વાહનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે. તેના દરોડામાં એવો પણ ખુલાસો થયો છે કે કલાર્કે જે મિલકતો બનાવી હતી તે કેટલીક તેની પત્ની અને ભાઈને નામે રજિસ્ટર હતી.

આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે સરકારી વિભાગોમાં કેટલો ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. હકીકતમાં ભૂતપૂર્વ કલાર્કનું નામ કલાકપ્પા નિદાગુંડી છે અને તે કર્ણાટક રૂરલ ઇન્ફ્રા ડેવલપેન્ટ લિ. (KRIDL)માં કામ કરતો હતો. જ્યારે લોકાયુક્તના અધિકારીઓએ તેના ઘરમાં દરોડા પાડ્યા ત્યારે આ અઢળક મિલકતનો પર્દાફાશ થયો.

છેતરપિંડીનો કેસ

KRIDLના MD બસવરાજુના આદેશ પર એક્ઝિક્યુટિવ એન્જિનિયર અનિલ પાટીલ અને આનંદ કરલાકુંતીએ પૂર્વ એન્જિનિયર ઝારનપ્પા એમ. ચિંચોલિકર અને કલાકપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે લોકાયુક્ત અધિકારીઓએ  રૂ. 72 કરોડના કૌભાંડના કેસમાં દરોડા પાડ્યા હતા.

શું છે આરોપો?

આ કેસમાં આરોપ છે કે આરોપીઓએ કોપ્પલ જિલ્લામાં વર્ષ 2019થી 2025 વચ્ચે અનેક ગામોમાં સીવરેજ, રસ્તા અને પીણાના પાણીના 96 પ્રોજેક્ટ્સમાં દસ્તાવેજો અને બિલોમાં ભારે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સમાં કનકગિરીમાં 19, ગંગાવતીમાં 5, યેલબુરગામાં 4 અને કોપ્પલ તાલુકામાં 68 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

કલાકપ્પાને થોડા મહિના પહેલા નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ચિંચોલિકર બરખાસ્ત થયા બાદ અદાલતના આદેશ પર પુનઃ નોકરી પર રાખવામાં આવ્યા હતા. કોપ્પલના ધારાસભ્ય કે. રાઘવેન્દ્ર હિત્નાલે આ ભ્રષ્ટાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે સરકાર તપાસ કરશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે.