નવી દિલ્હીઃ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાની ઇચ્છા રાખી નથી. હોર્મુઝ જળસંધિની હાલની સ્થિતિ ખૂબ જ જટિલ છે. ચર્ચા અને સંવાદ દ્વારા સમજૂતી સિવાય અન્ય કોઈ ઉકેલ શક્ય નથી. અમે હોર્મુઝ જળસંધિમાંથી તમામ જહાજોને સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરવા માટે તૈયાર છીએ. હોર્મુઝની સ્થિતિ સુધારવા માટે ચીન જે પણ પગલાં લેશે, તેનું અમે સ્વાગત કરીશું. ઈરાન યુદ્ધવિરામ જાળવી રાખીને કૂટનીતિને તક આપવા પ્રયત્નશીલ રહ્યું છે.
ભારતની રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરીશું
નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાન સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દાનો સૈન્ય ઉકેલ શક્ય નથી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થતા હજુ નિષ્ફળ ગઈ નથી. ઈરાન પાસે અમેરિકા પર વિશ્વાસ ન કરવાનાં તમામ કારણો છે, જ્યારે અમેરિકા પાસે ઈરાન પર વિશ્વાસ કરવાનાં તમામ કારણો છે. પશ્ચિમ એશિયાના સંકટ અંગે તેમણે કહ્યું હતું કે ભારત કોઈ પણ રચનાત્મક ભૂમિકા ભજવવા માગશે તો તેનું અમે સ્વાગત કરીશું.
There can’t be any solution other than a negotiated settlement: Iranian Foreign Minister Abbas Araghchi on West Asia crisis.
We are ready to help pass all vessels through Strait of Hormuz: Iran’s Foreign Minister Abbas Araghchi. pic.twitter.com/iQ13s6caRK
ઈરાન સાથેનું યુદ્ધ ગુરુવારે 76મા દિવસે પહોંચી ગયું છે અને યુદ્ધવિરામ માટેના તમામ પ્રયાસો હાલ અટવાયેલા દેખાઈ રહ્યા છે. અહેવાલ છે કે બ્રિક્સના મુખ્ય સત્રોમાં ભાગ લેવાની સાથે સાથે અબ્બાસ અઘરાચી ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમ જ બેઠકમાં હાજર અન્ય અધિકારીઓ સાથે અલગથી પણ બેઠક કરી રહ્યા છે.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ઇંધણ બચત અને કાર્યક્ષમતા વધારવા અપીલ કરી છે. જેના પગલે ગુજરાત (Gujarat) સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે “વર્ક ફ્રોમ હોમ” (Work From Home) વ્યવસ્થા અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રો મુજબ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ ઘરે બેઠા કામ કરી શકે તે માટે વિવિધ વિકલ્પો પર મંથન શરૂ કરવામાં આવ્યું છે.સરકાર (Government) હાલમાં બે મુખ્ય મોડલ પર વિચારણા કરી રહી છે. પ્રથમ મોડલ મુજબ પસંદગીના વિભાગોમાં કર્મચારીઓને સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવામાં આવી શકે છે, જ્યારે બીજા વિકલ્પમાં રોટેશન આધારિત હાજરી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી શકે છે. આ વ્યવસ્થા દ્વારા ઓફિસોમાં ભીડ ઘટાડવા સાથે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ ઘટાડો કરવાનો ઉદ્દેશ છે.
સૂત્રોના અનુસાર, આવતીકાલે યોજાનારી રાજ્ય કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આ મુદ્દે વિશેષ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરી, ટેક્નિકલ સુવિધાઓ અને વહીવટી અસર અંગે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. ડિજિટલ માધ્યમો અને ઓનલાઈન કાર્યપદ્ધતિના વધતા ઉપયોગને કારણે અનેક વહીવટી કામો હવે દૂરસ્થ રીતે સરળતાથી સંભવ બની રહ્યા છે. કોરોના કાળ દરમિયાન મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ મોડલને પ્રોત્સાહન આપવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે.
ઇન્દોરઃ ધાર ભોજશાળા મામલે ઇંદોર હાઇકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભોજશાળા પરિસર એક મંદિર છે. કોર્ટે જણાવ્યું હતું કે ભોજશાળા પરિસર-કમાલ મસ્જિદનો વિવાદિત વિસ્તાર એક મંદિર અને સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર છે. કેન્દ્ર સરકાર દેવી સરસ્વતીની મૂર્તિ લાવી શકે છે. જોકે અહીં ASIનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.
ભોજશાળામાં હવે માત્ર પૂજા જ થશે
ઇંદોર હાઇકોર્ટના આદેશ અનુસાર હવે અહીં માત્ર પૂજા જ થઈ શકશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે કોર્ટે સરકારને આ પરિસરની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. હવે આ પરિસરમાં માત્ર પૂજા જ થઈ શકશે. અહીં સરસ્વતી મંદિર છે. આ મામલે કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું છે કે આ પરિસર પર તેમનો કોઈ અધિકાર નથી. જોકે કમાલ મસ્જિદ માટે મુસ્લિમ પક્ષ સરકાર પાસે અલગ જગ્યા માગી શકે છે.
હિંદુ પક્ષના વકીલે શું કહ્યું?
વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે ભોજશાળાની સંપૂર્ણ ઇમારત રાજા ભોજ દ્વારા બનાવવામાં આવી હતી. કોર્ટે પૂજા-પાઠનો અધિકાર આપ્યો છે. હવે આ પરિસરમાં માત્ર પૂજા થશે, નમાજની મંજૂરી નહીં હોય. કોર્ટે પણ કહ્યું કે આ કમાલ મૌલા મસ્જિદ નથી. મુસ્લિમ સમાજ સરકાર સમક્ષ પોતાની માગ મૂકી શકે છે અને સરકાર તેમને વૈકલ્પિક જમીન આપી શકે છે.
‘મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ જશે’
હાઇકોર્ટના આ નિર્ણય પર ધારના શહેરના કાજીએ જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું હતું કે અમે હાઇકોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. સલમાન ખુરશીદે મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરી હતી. હવે અમે ચુકાદાનો અભ્યાસ કરીશું અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટથી ન્યાયની આશા છે.
ઇંદોર હાઇકોર્ટે ASIની રિપોર્ટ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ રિપોર્ટને આધારે ભોજશાળા એક મંદિર છે. હિંદુ પક્ષની માગ સ્વીકારીને કોર્ટે મુસ્લિમોને નમાજની મંજૂરી આપતો ASIનો અગાઉનો આદેશ રદ કર્યો છે.
શું છે ભોજશાળા વિવાદ?
ભોજશાળાનો ઇતિહાસ 11મી સદીથી શરૂ થાય છે. માનવામાં આવે છે કે અહીં દેવી સરસ્વતીનું મંદિર હતું. 12મી અને 13મી સદી દરમિયાન આ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ અહીં એક મકબરો બનાવાયો તથા નજીકમાં મસ્જિદનું નિર્માણ થયું હતું.
દુબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં UAEના પ્રવાસે છે. તેમણે અબુ ધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન UAEએ ભારતમાં પાંચ અબજ અમેરિકી ડોલરના મૂડીરોકાણની જાહેરાત કરી. આ મૂડીરોકાણ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સમ્માન કેપિટલમાં કરવામાં આવશે. ભારત અને UAE વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પણ થયા હતા.
પીએમ મોદીના UAE પ્રવાસ દરમિયાન અનેક મોટા એલાન
પીએમ મોદીના UAE પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. ભારત અને UAE વચ્ચે વ્યૂહાત્મક રક્ષા ભાગીદારી માટે ફ્રેમવર્ક પર સમજૂતી થઈ. આ ઉપરાંત બંને દેશોએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અંગે MoU પર હસ્તાક્ષર કર્યા છે. એલપીજી (LPG) સપ્લાય અને વાડીનારમાં જહાજ મરામત ક્લસ્ટર સ્થાપવા અંગે પણ MoU કરવામાં આવ્યા. એ સાથે જ UAEએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પાંચ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં UAEના અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબી પહોંચતાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને UAE એરફોર્સના લડાકુ વિમાનો દ્વારા તેમના વિમાનને એસ્કોર્ટ પણ આપવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ તેને ભારતના લોકો માટે સન્માન ગણાવ્યું. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા દરમિયાન પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા – પીએમ મોદી
વડા પ્રધાન મોદીએ તાજેતરમાં ભારતમાં આવેલી કુદરતી આપત્તિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે UAEના રાષ્ટ્રપતિએ આપત્તિગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, જેના માટે તેઓ તેમનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં UAEનો સહયોગ બંને દેશોની ગાઢ મિત્રતાનું પ્રતીક છે.
VIDEO | PM Narendra Modi (@narendramodi) and United Arab Emirates president Sheikh Mohamed bin Zayed Al Nahyan witness exchange of MoUs between India and UAE, in Abu Dhabi.
PM Modi landed in the UAE earlier today, marking the beginning of a five-nation visit that will also… pic.twitter.com/ESgsS7KmDa
ભારત અને UAE વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંબંધો સતત મજબૂત બન્યા છે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ ખુલ્લું રહેવું અમારી પ્રાથમિકતા છે. અમે UAE પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. ભારત UAE સાથે મળીને આગળ વધશે અને ભારત UAEની સાથે મજબૂતીથી ઊભું છે.
સિલિગુડી: પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ વહીવટી તંત્ર હવે સતત આકરા નિર્ણયો લઈ રહ્યું છે. આ જ ક્રમમાં સિલીગુડીમાં ગેરકાયદે કબજો અને ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ છે. દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામો પર જલદી જ બુલડોઝર ચલાવવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશમાંથી આશરે બે ડઝન બુલડોઝર મગાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. ગુરુવારે સિલિગુડી મહકમા શાસક કચેરીમાં યોજાયેલી મહત્વપૂર્ણ વહીવટી બેઠકમાં આ મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યા હતા.ઉત્તર પ્રદેશમાંથી બે ડઝન બુલડોઝર મગાવવામાં આવી રહ્યા છે
આ બેઠકમાં મહકમા શાસક, પોલીસ કમિશનર, દાર્જિલિંગ જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી, ગેરકાયદે કબજો દૂર કરવો, માદક પદાર્થોની હેરાફેરી રોકવી તેમ જ ગેરકાયદે દારૂની દુકાનો, બાર અને પબ સામે કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ સાંસદ રાજુ બિસ્તાએ મિડિયાને જણાવ્યું હતું કે સિલિગુડીમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો થયાં છે અને તેને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ઉત્તર પ્રદેશમાંથી બે ડઝન બુલડોઝર મગાવવામાં આવી રહ્યા છે, જેથી અભિયાન ઝડપથી ચલાવી શકાય.
નગર નિગમ ગેરકાયદે બાંધકામો રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ
રાજુ બિસ્તાએ સિલિગુડી નગર નિગમની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે નગર નિગમ ગેરકાયદે બાંધકામો રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જલદી જ નગર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરીને આ મુદ્દે જવાબ માગશે. ભાજપ નેતાએ ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારી જમીન, નદી કિનારા અને શહેરના અન્ય વિસ્તારોમાં થયેલા તમામ ગેરકાયદે કબજાઓ જલદી દૂર કરવામાં આવે, નહીં તો પ્રશાસન બુલડોઝર ચલાવી આ બાંધકામોને ધરાશાયી કરશે. સાંસદે વધુમાં કહ્યું હતું કે શહેરમાં માદક પદાર્થોના વેપાર, ગેરકાયદે નદી ખનન, ગેરકાયદે ટોલ વસૂલી અને જમીન દલાલી જેવા મામલાઓમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ હતી ‘યોગી મોડલ’ લાગુ કરવાની વાત
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ અનેક વખત રાજ્યમાં ‘યોગી મોડલ’ લાગુ કરવાની વાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગીના કાર્યકાળ દરમિયાન ગુનેગારો અને ગેરકાયદે કબજેદારો સામે બુલડોઝર કાર્યવાહી ખૂબ ચર્ચામાં રહી હતી.
નવી દિલ્હીઃ NEET UG 2026ની પરીક્ષા દેશભરનાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઇન મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાય તેવી શક્યતા છે. પરીક્ષા પહેલાં સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ અગાઉ કરતાં વધુ કડક બનાવવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની ગરબડ ફરી ન બને. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency)એ સ્પષ્ટ કર્યું છે કે જે ઉમેદવારોએ અગાઉ આ પરીક્ષા માટે અરજી કરી હતી, તેમને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ઉમેદવારોની જૂની અરજી, એક્ઝામ સિટી અને અન્ય વિગતો પહેલાંની જ માન્ય રહેશે. માત્ર 21 જૂને યોજાનારી પરીક્ષા માટે ટૂંક સમયમાં નવી સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.
પરીક્ષા કેવી રીતે અને ક્યારે યોજાશે?
NEET UG 2026ની પરીક્ષા દેશભરનાં વિવિધ કેન્દ્રોમાં પેન-પેપર મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે તેવી શક્યતા છે. પરીક્ષા પહેલાં સુરક્ષા અને મોનિટરિંગ વધુ કડક કરવામાં આવશે, જેથી કોઈ પણ ગેરરીતિ ફરી ન બને.
📢 NEET (UG) 2026 — Examination Date Announced
The National Testing Agency, with the approval of the Government of India, has scheduled the re-examination of NEET (UG) 2026 on Sunday, 21 June 2026.
Candidates and parents are requested to rely only on the official channels of NTA.…
— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
પેપર લીક મામલાની તપાસ ચાલુ
પેપર લીક મામલાની તપાસ હાલ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ચાલી રહી છે. આ મામલે અનેક રાજ્યોમાં તપાસ તેજ બની છે અને કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી
* ઉમેદવારોને ફરીથી અરજી કરવાની જરૂર નથી.
* નવા એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થશે.
* પરીક્ષાની તારીખ 21 જૂન 2026 રાખવામાં આવી છે.
* પરીક્ષા પેન-પેપર મોડમાં યોજાશે.
વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર વેબસાઇટ અને NTA દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 48 કલાકમાં એક પછી એક અનેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને સામાન્ય જનતા પર મોંઘવારીનો ચારેય બાજુથી હુમલો થયો છે. વડા પ્રધાન મોદીની અપીલ બાદ સરકારે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી, જેને કારણે સોના-ચાંદીના ભાવમાં અચાનક જોરદાર ઉછાળો આવ્યો હતો. માત્ર સોનું જ નહીં, ત્યાર બાદ દેશમાં દૂધના ભાવ વધ્યા, CNGના દરોમાં વધારો થયો અને હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘાં થઈ ગયાં છે. શુક્રવાર, 15 મેથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને તે પ્રતિ લિટર ત્રણ રૂપિયા સુધી મોંઘાં થયાં છે.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો
ગયા રવિવારે પ્રથમ વખત વડા પ્રધાન મોદીએ વિદેશી ચલણ બચાવવા માટે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. ત્યાર બાદ સરકારે અચાનક સોનાં પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી, જેને કારણે MCXથી લઈને સ્થાનિક બજારો સુધી સોના-ચાંદીના ભાવમાં ભારે વધારો થયો હતો.
દૂધના ભાવ વધ્યા
સોના-ચાંદી બાદ મોંઘવારીનો બીજો આંચકો દૂધ પર પડ્યો. અમૂલથી લઈને મધર ડેરી સુધી અનેક કંપનીઓએ પેકેટ દૂધના ભાવમાં વધારો કર્યો. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો, ત્યાર બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયા વધારો જાહેર કર્યો. નવી કિંમતો 14 મેથી દેશભરમાં અમલમાં આવી ગઈ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
દૂધ મોંઘું થયા બાદ હવે પેટ્રોલ-ડીઝલ પર મોંઘવારીનો હુમલો થયો છે. શુક્રવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો કર્યો અને નવી કિંમતો 15 મેથી દેશભરમાં અમલમાં આવી ગઈ છે.
CNG પણ મોંઘો
માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, CNG ગ્રાહકોને પણ મોટો આંચકો લાગ્યો છે. મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ 15 મેથી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેની કિંમત પ્રતિ કિલો બે રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ વધારા બાદ દિલ્હીમાં CNGનો ભાવ 79.09 રૂપિયા પ્રતિ કિલો થયો છે. મુંબઈમાં પણ એક દિવસ પહેલા CNG બે રૂપિયા મોંઘી કરવામાં આવી હતી અને તેનો ભાવ 82 રૂપિયાથી વધીને 84 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
પ્રશ્ન:આજકાલ તાંબાનાં વાસણનું (copper utensils) ચલણ ખૂબ વધ્યું છે. ખરેખર તાંબાનો ઉપયોગ સારો છે? એમાં રસોઈ બનાવવી હિતાવહ છે?
ભૂમિ પટેલ (સુરત)
ઉત્તર: તાંબું ફક્ત સાદા પાણી માટે ઉપયોગમાં લેવાય તો જ એ હિતાવહ છે. એમાં અથવા ઍલ્યુમિનિયમનાં વાસણમાં રસોઈ બને ત્યાં સુધી ન બનાવવી. ટામેટાં, લીંબુનો રસ, દહીં કે છાશ જેવી ખટાશવાળી વસ્તુનો સંગ્રહ પણ આ પ્રકારનાં વાસણોમાં ન કરવો, કારણ કે એના લીધે ખોરાકમાં રાસાયણિક પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ શકે છે અને ખોરાક ઝેરી બની શકે છે.
તાંબું પીવાના પાણીના સંગ્રહ માટે શ્રેષ્ઠ છે. તમે આ પ્રકારનાં વાસણમાં ભરેલું પાણી પીવો છો ત્યારે તમે ફક્ત તમારી તરસ છીપાવી રહ્યાં નથી, પરંતુ એક પ્રકારની સદીઓ જૂની દવા લઈ રહ્યાં છો, જે તમને અમુક પ્રકારના માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની ખામીથી બચાવવા ઉપયોગી નીવડે છે. આ પ્રકારનું પાણી પણ સાતથી આઠ કલાક સુધી જ સંગ્રહ કરીને ઉપયોગમાં લેવું.
રસોઈ બનાવવામાં વાસણને ગરમી આપવી પડે છે. ઍલ્યુમિનિયમ કે તાંબું જેવી અમુક પ્રકારની મેટલને કારણે ખોરાક પર વિપરીત અસર થાય છે. લોખંડનાં વાસણમાં રસોઈ બનાવવાથી એમાં રહેલું આયર્ન આહારમાં ભળે છે. સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ સાફસફાઈમાં પણ સરળ છે અને એના ઉપયોગથી હીટના લીધે આડઅસર થતી નથી. આ ઉપરાંત, સિરામિક અથવા કાચનાં વાસણમાં માઇક્રોવેવની મદદથી રસોઈ બનાવી શકાય, જે પણ સલામત છે.
એક રીતે જોઈએ તો, તાંબાનો ઉપયોગ સરળ તેમજ ફાયદેમંદ છે, પરંતુ એને રસોઈ બનાવવામાં ઉપયોગમાં લેવાનું ટાળવું. એ જ રીતે, ઍલ્યુમિનિયમનાં વાસણ પણ રાંધવામાં ઉપયોગમાં ન લેવાં.
પ્રશ્ન: સારા પ્રોટીનના સ્રોત તરીકે હું રોજ ડ્રાયફ્રૂટ્સ (dry fruits) લઈ રહ્યો છું. કયા સૂકા મેવામાં પ્રોટીન વધુ હોય? રોજ એનું સેવન કેટલું કરી શકાય?
મંથન પટેલ (અમદાવાદ)
ઉત્તર: ન્યુ ઈંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ડ્રાયફ્રૂટ્સની આદર્શ દૈનિક જરૂરિયાત ૨૦થી ૩૦ ગ્રામ એટલે કે લગભગ એક મુઠ્ઠી જેટલી છે. મહત્તમ લાભ મેળવવા તેમજ વિટામિન્સ અને મિનરલ્સ સાથે ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સનો સમન્વય જાળવવા વિવિધ પ્રકારના સૂકા મેવાનું સેવન કરી શકાય.
એમાં ત્રણથી ચાર બદામ, બે કે ત્રણ અખરોટ, બે ખજૂર અથવા કિસમિસ કે અંજીર (ડાયાબિટીસ હોય તો ન લેવાં)નો સમાવેશ કરી શકાય.
સગર્ભા સ્ત્રી રોજ આશરે ૩૦થી ૬૦ ગ્રામ જેટલાં ડ્રાયફ્રૂટ્સ લઈ શકે. સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ લેવાય તો એમાં રહેલાં પ્રોટીન ઉપરાંત અન્ય પોષક તત્ત્વો સારી રીતે પચી શકે. રાત્રે પલાળીને એનો ઉપયોગ કરવાથી ડ્રાયફ્રૂટ્સમાં રહેલા ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટરનો નાશ થાય છે, જેથી એનું પાચન પણ સારી રીતે થઈ શકે છે.
પ્રશ્ન: ગરમીમાં હાઈડ્રેટ રહેવા માટે ચિયા સીડ્સ (chia seeds) લઈ શકાય? એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય?
ચિંતન ઠક્કર (રાજકોટ)
ઉત્તર: ચોક્કસપણે એનો ડિહાઇડ્રેશનથી બચવા ઉપયોગ કરી શકાય. ચિયા સીડ્સની વાત કરીએ તો, આ બીજ રાત્રે પલાળીને સવારે લેવાં. આ બીજમાં એના વજન કરતાં દસ ગણું પાણી શોષવાનો ગુણધર્મ છે. પેટમાં ગયા પછી એ ધીમે ધીમે શરીરમાં પહોંચે છે, જેનાથી તમે લાંબા સમય સુધી હાઇડ્રેટ રહી શકો છો.
એ બ્લડ પ્રેશર અને શુગરને પણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તમે એને પાણીમાં અથવા દહીં કે સ્મૂધીમાં ભેળવીને પણ લઈ શકો. ચિયા સીડ્સને ઓછામાં ઓછા ૧૫થી ૩૦ મિનિટ પલાળીને પછી જ લેવાં જોઈએ.
ચિયા સીડ્સ ફાઇબર, ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સ, પ્રોટીન, કૅલ્શિયમ અને ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર એક સુપરફૂડ છે, જે વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં, હૃદયના સ્વાસ્થ્ય માટે, બ્લડ શુગર નિયંત્રિત કરવામાં તેમજ હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે.
એનો રોજિંદો ઉપયોગ ચોક્કસપણે ફાયદાકારક છે. ખાસ ધ્યાન રાખવું કે રોજ માત્ર એક ચમચી ચિયા સીડ્સનું સેવન પૂરતું છે. એને વધારે માત્રામાં લેવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
પ્રશ્ન: ઓલિવ ઑઈલ (olive oil) રાંધવા માટે સારું છે?
છાયા શાહ (ભાવનગર)
ઉત્તર: રસોઈ માટે વપરાતાં પારંપરિક તેલ કરતાં ઓલિવ ઑઈલ વધુ હેલ્ધી છે, કારણ કે એમાં અત્યંત હેલ્ધી એવી મોનોઅનસૅચ્યુરેટેડ ચરબી હોય છે અને એ પોલીફિનોલ્સ એટલે કે એક પ્રકારના ઍન્ટિઑક્સિડન્ટથી ભરપૂર છે. એ શરીરમાં રહેલા ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડીને હાર્ટ હેલ્થ સુધારે છે.
જો કે, આ તેલ વાપરવામાં ખાસ ધ્યાન રાખવું કે એને લો ટેમ્પરેચરમાં બનતી રાંધણ પદ્ધતિમાં જ વાપરવું. વધુ ઉષ્ણતામાને એ એની વાસ્તવિક અસર ગુમાવે છે.
ઓલિવ ઑઈલમાં શાકભાજી રાંધવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોને શોષવાની ક્ષમતા વધે છે. એ ઓછીથી મધ્યમ ગરમી પર રસોઈ માટે યોગ્ય છે અને ખોરાકમાં વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે. આથી જ ઓલિવ ઑઈલ મોટા ભાગે સૅલડ ડ્રેસિંગમાં ઉપયોગમાં લેવાય છે. એના દ્વારા બનાવવામાં આવેલો આહાર ખાવાથી પેટ ભારે લાગતું નથી.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)