Home Blog Page 57

બંગલાદેશ 149માં ઓલઆઉટઃ બુમરાહે રચ્યો ઇતિહાસ

ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈ (ચેપોક)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ભારતે બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. ભારતે આ સાથે બંગલાદેશની સામે 306 રનની લીડ મેળવી છે.

આ પહેલાં મેચના પહેલા દિવસે ભારત 376 રને ઓલઆઉટ થયું હતું. જે પછી બંગલાદેશ માત્ર 149 રન જ બનાવી શક્યું હતું. બંગલાદેશનો કોઈ બેટર પિચ પર ટકી શક્યો નહોતો અને સમયાંતરે વિકેટો પડી હતી. ભારત વતી બુમરાહે ચાર વિકેટ, સિરાજ,  આકાશ દીપ અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને એક પણ વિકેટ મળી નહોતી.

આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેણે બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ લેનારો 10મો ભારતીય બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી બાદ તેણે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.

 

ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા

સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજું  ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મોટી જવાબદારી આપી છે. મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી. આ મંચ પોલિટિકલ કે વાદવિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ. વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. સૌને અભિનંદન આપું છું.

ઉલ્લેખનીય છે કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા નહોતા. કોંગ્રેસના આગેવાન એવા શક્તિસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નહોતા. રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. રાજકોટના કોંગ્રેસના નેતા, કરણીસેનાનાં મહિલા આગેવાન તેમજ રવીન્દ્રસિંહ જાડેજાનાં બહેન નયનાબા જાડેજા, IPS મયંકસિંહ ચાવડા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અમિતાભ બચ્ચન અને શાહરૂખ બાદ રણવીરની ડોન બનવાની તૈયારી

મુંબઈ: અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને પોતપોતાના સમયમાં ‘ડોન’ બનીને ઘણી વાહવાહી જીતી હતી. અમિતાભ બચ્ચને એકવાર 70ના દાયકામાં ડોનનું પાત્ર ભજવીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તો બીજી બાજુ શાહરૂખ ખાને ડોન ફિલ્મ દ્વારા નિર્માતાઓને બે વખત ભારે કમાણી કરાવી હતી. હવે ફરી એક નવો ડોન સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. આ ડોનનું નામ રણવીર સિંહ છે. ડોન ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘ડોન-3’માં રણવીર સિંહ અને કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવ્યા છે. રણવીર સિંહે પણ ડોન-3ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મના શૂટિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં જ શરૂ થશે.

Mumbai : Bollywood actor Ranveer Singh made a stylish entry at the premiere in an all-white ensemble. The actor looked dapper in a white tuxedo which he teamed with uber-cool shades in Mumbai on Wednesday, December 22, 2021.(Photo:IANS)

 

‘ડોન-3’ આ તારીખે રિલીઝ થશે

જણાવવામાં આવી રહ્યું છે કે ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2025માં શરૂ થશે. તેમજ ફિલ્મ મે-જૂન 2025માં રિલીઝ થઈ શકે છે. રણવીર સિંહે પણ આ પાત્ર માટે તૈયારી શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે રણવીર સિંહ આ પાત્રમાં કેટલો પાવર બતાવે છે. અગાઉ રણવીર સિંહે ગુંડે નામની ફિલ્મમાં ગુંડાની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મ ખાસ ચાલી ન હતી.

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનો જાદુ

રણવીર સિંહ પહેલા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બંનેએ ડોન નામની સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ ખાને આ ફિલ્મના 2 ભાગમાં કામ કર્યું અને ઘણી કમાણી કરી. 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ડોનમાં અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. લગભગ 70 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આટલું જ નહીં, આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા સ્થાને હતી.

આ પછી 20 ઓક્ટોબર 2006ના રોજ શાહરૂખ ખાને ડોન તરીકે પ્રવેશ કર્યો અને તે હિટ રહ્યો. 38 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 106 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી હતી. આ પછી, તેનો બીજો ભાગ ‘ડોન-2’ 2011 માં રિલીઝ થયો અને બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું. આ ફિલ્મ વિશ્વભરમાં 202 કરોડની કમાણી સાથે સુપરહિટ પણ રહી હતી. હવે ડોન-3ની જવાબદારી રણવીર સિંહ પર રહેશે.

સેન્સેક્સ @84,000: રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.5 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કાપ મૂકતાં અને આગામી સમયમાં વ્યાજદરોમાં વધુ કાપના સંકેતો આપતાં વૈશ્વિક બજારો અને એશિયન બજારોમાં તેજી થઈ હતી. જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટી પણ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સે સૌપ્રથમ વાર 84,000ની સપાટીને વટાવી હતી, જ્યારે નિફ્ટે 25,800ની સપાટી વટાવી હતી.  BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 469 લાખ કરોડે પહોંચ્યું હતું. નિફ્ટી બેન્ક, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.5 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદરોમાં 50 બેઝિસ પોઇન્ટના કાપ કર્યા પછી S&P 500 અને ડાઉ જોન્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. જાપાનની નિક્કી ઇન્ડેક્સની આગેવાની હેઠળ એશિયન માર્કેટમાં તેજી થઈ હતી. જાપાનનો કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 2.8 ટકા વધ્યો છે. જેથી જાપાનની સેન્ટ્રલ બેન્કની આગામી બેઠકમાં વ્યાજદરો યથાવત્ રાખવાની અપેક્ષા છે. જ્યારે સેન્સેક્સ 1359.51 પોઇન્ટ ઊછળી 84,544.31ની ઓલટાઇમ સપાટીએ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 375.15 પોઇન્ટ ઊછળી 25,790.95ના નવા શિખરે બંધ થયો હતો.ફેડરલ રિઝર્વના પગલાથી રિઝર્વ બેન્ક પર વ્યાજદરો ઘટાડવાનું દબાણ છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે. વળી, વ્યાજદરોમાં ઘટાડાને પગલે વૈશ્વિક માર્કેટમાં લિક્વિડિટી વધશે. ઊરતીય અર્થતંત્રની મજબૂતીથી ઇક્વિટી વેલ્યુએશનને સપોર્ટ મળશે.

BSE એક્સચેન્જ પર કુલ 4059 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2468 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1482 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 109 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 306 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 257 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

Opinion: વન નેશન વન ઇલેક્શન કેટલું યોગ્ય ?

2014માં કોંગ્રેસની સરકારની કાંટાની ટક્કર આપી ભાજપ કેન્દ્રની ગાદી પર વિરાજમાન થયું હતું. આ ઈલેક્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંઢેરામાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2015માં લો કમિશને વન નેશન, વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દેશમાં એક જ ચૂંટણીના આયોજનથી ખર્ચમાં  બચત, વારંવાર ચૂંટણી આચાર સંહિતા ન લાગવાના કારણથી ડેવલપમેન્ટ કામ પર પણ અસર નહીં પડવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમયથી પહેલાં જ ભંગ કરી દેવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભાને ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે વન નેશન, વન ઇલેક્શનની પરંપરા તૂટી ગઈ.

પહેલી ટર્મમાં આપેલું વન નેશન વન ઇલેક્શનનું વચન હવે ત્રીજી ટર્મમાં NDA સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે. ત્યારે આ નિર્ણય પર નિષ્ણાંતોએ શું કહ્યું? આવો જાણીએ..

વિષ્ણુ પંડ્યા, રાજકીય વિશ્લેશક

વન નેશન વન ઇલેક્શન વાત નવી નથી. શરૂઆતમાં આપણી ચૂંટણી એક સાથે જ થતી હતી. પછી કેટલાક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું, પક્ષ પલટા થયા અને સરકાર બદલાઈ. જેના કારણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે કરવું શક્ય ન બન્યું. બાદમાં અલગ-અલગ ચૂંટણીઓ દેશની પરંપરા બની અને વન નેશન વન ઇલેક્શન ભૂલાય જ ગયું. મુખ્ય વાત એ છે, ચૂંટણી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ચૂંટણી પંચ, સરકારી તંત્ર સહિત કોઈ પણ પાર્ટી કે ઉમેદવારના પણ કરોડોનો ખર્ચ થાય છે. પહેલાં વિધાનસભા પછી લોકસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ હવે તો સારો એવો ખર્ચ કરવામાં આવે છે. આ રીતે ખર્ચનું ભારણ વધે છે. આ નિર્ણય સાથે પક્ષ પલટાને રોકતો નિર્ણય પણ કરવો જોઈએ. જેથી ખર્ચ પણ બચે અને એક સાથે ચૂંટણી થાય. વાત રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના મુદ્દાની થાય તો, જ્યારે બંને ચૂંટણી સાથે યોજાય ત્યારે બંને મુદ્દા વિષે ચર્ચા તો થાય જ છે. રાષ્ટ્ર કક્ષાએ જતા ઉમેદવારે પ્રાદેશિક મુદ્દા તો ધ્યાને લેવા જ પડે છે.

હેમંત શાહ, જાણીતા અર્થશાસ્ત્રી

લોકસભાની બે ચૂંટણી વચ્ચે મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. જેના પગલે કેન્દ્ર સરકારે રાજ્યની પ્રજા પર વધુ ઉત્તરદાયી બનવું પડે છે. વિધાનસભાની ચૂંટણીની આગળ કે પાછળ લોકસભાની પાંચ વર્ષે થતી ચૂંટણી આવે છે, માટે જ કેન્દ્ર સરકાર નાગરિકોની ચિંતા કરે છે, નહિ તો પાંચ વર્ષે જ કરે, વચ્ચે ના કરે.. લોકસભાની ચૂંટણીમાં દેશના અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ ધ્યાને લેવાય છે. જો બંને ચૂંટણી એક સાથે લેવાશે તો, એ બંને કક્ષાના મુદ્દાની ભેળસેળ થઈ જાય છે. નાગરિકો અલગ-અલગ મુદ્દે વિચારે અને જુદી-જુદી ચૂંટણીમાં મતદાન કરે તો એમાં ખોટું શું છે? વળી, જે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને વાર હોય છે તેમની સરકાર પણ લોકસભાની ચૂંટણી વેળાએ લોકોના કલ્યાણ માટે વધુ પગલાં લે છે. આમ, રાજ્ય સરકાર પણ લોકસભાની ચૂંટણી હોવા છતાં લોકો પ્રત્યે વધુ જવાબદાર બને છે. લોકશાહીમાં ચૂંટણી એ લોકો પ્રત્યે સરકારને જવાબદાર બનાવવા માટેનું સૌથી અગત્યનું સાધન છે. અને તેથી જ કદાચ બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવી કોઈ જોગવાઈ કરવામાં આવી જ નહોતી.

શૈલેષ રાઠોડ, શિક્ષણવિદ

મારી દ્રષ્ટિએ દેશમાં ભૌતિક સુવિધાનો અભાવ છે. જ્યારે પણ ચૂંટણી થાય છે, એ ત્રણ કે પાંચ તબક્કામાં થાય છે. આપણી પાસે EVM, સૈન્ય બળ સહિત ચૂંટણી અધિકારીની પણ અછત જોવા મળે છે. જ્યારે વિધાનસભા અને લોકસભા બંન્ને ચૂંટણી સાથે હોય ત્યારે તો આ અછત ખુબ જ મોટી બની જશે. બીજું કે રાજ્ય અને રાષ્ટ્રના મુદ્દા અલગ હોય છે. ત્યારે અમુક હાઈલાઈટના માધ્યમથી આપણે દેશ કે રાજ્યના નેતા કેવી રીતે નક્કી કરી શકીએ? મારા મત પ્રમાણે આ નિર્ણય અસ્વીકાર્ય એટલે છે કે કેમ કે ઘણી જગ્યા પર વિસંગતા જોવા મળે છે.

રાજવીરસિંહ, સોશિયલ વર્કર

વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય આમ તો આવકારદાયક છે. આ નિર્ણયના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા છે. પરંતુ નિર્ણયની પોઝિટિવ સાઈડ અસર વધારે છે. આવા મોટા નિર્ણયનો અમલ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભારત વિવિધતાપૂર્ણ દેશ છે, પણ શું દેશ પાસે એક ચૂંટણી માટેના પૂરતા રિસોર્સ છે? ભારત સિવાય કેટલાંક દેશોમાં એક ચૂંટણીનો કોનસેપ્ટ છે. ચૂંટણીના સમયે મોટી સંખ્યામાં સૈન્ય બળ અને EVMની જરૂર હોય છે. સામાન્ય રીતે રાજ્યની ચૂંટણીમાં પણ સૈન્ય બળ સહિત EVMને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે વન નેશન વન ઇલેક્શન માટે સક્ષમ છીએ? બીજી બાજુ કેટલીક રાજકીય પાર્ટીને પણ નુકસાન થઈ શકે. એક સાથે ચૂંટણી આવવાથી તમામ રાજકીય પાર્ટીને બમણી મહેતન કરવી પડશે. આ બધી વાત વચ્ચે એક વાત સારી થશે કે દેશની જનતા રાજકીય પાર્ટીઓની ક્ષમતા જાણી શકશે.

નરેશભાઈ સોનપાલ, વ્યાવસાયિક

વન નેશન વન ઇલેક્શન નિર્ણય મારા મત મુજબ આવકારદાયક છે. આ નિર્ણયથી આપણી ઈકોનોમીને વારંવાર થતું નુકસાન અટકી જશે. ચૂંટણી સમયે થતા ખર્ચ અને આચારસંહિતાથી લોકોને છૂટકારો મળી જશે. આચારસંહિતાથી કેટલાક વિકાસ કાર્ય પર બ્રેક લાગી જતી હોય છે. એ વિકાસ કાર્ય અટક્યા વગર થશે. આમ તો સિક્કાની બે બાજુ હોય છે. પરંતુ આ નિર્ણયથી મોટું નુકસાન મને નથી દેખાઈ રહ્યું. હા, એક વાત છે કે વિધાનસભા ચૂંટણી બાદ બરાબર કામ ન કર્યું લોકસભામાં જનતા કોઈ પણ પાર્ટીને માત આપી શકશે નહીં. જ્યારે એક દેશ એક ચૂંટણીનો નિર્ણય થશે ત્યારે થોડી મુશ્કેલી પડશે સ્થળ, સૈન્ય બળ અને EVM બાબતે, પણ એક વખત ખર્ચ થયા બાદ આગામી ચૂંટણી માટે સાધનો ફરી ઉપયોગ પણ લઈ શકાશે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

ગાંધીનગર: સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન(એસ.ટી.)ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતાં ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે.  હવેથી 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થાં સહિત હાલ ચૂકવાતા ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે.’

અમદાવાદ-મુંબઈ વચ્ચે ટોલ ટેક્સનો વધારો મોકૂફ

અમદાવાદ-મુંબઈ હાઈવે, એવું માનવામાં આવે છે કે આ હાઈવે સૌથી વધું વ્યસ્થ હાઈવે માંથી એક છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ હાઈવે છે. આ હાઈવે વડોદરા સુરત વલસાડ જેવા જિલ્લાને પણ જોડે છે. ત્યારે વલાસાડ જિલ્લામાં આ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ  ખખડધજ રસ્તાના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાન્સપોર્ટરોના ઉગ્ર વિરોધ બાદ આ વધારાના નિર્ણયને ટોલ ટેક્સ એજન્સી દ્વારા મોકૂફ રખાયો છે.

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં એજન્સી દ્વારા ભારે વાહનોમાટે ટોલ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચોમાસામાં આ હાઇવે ખાડા હાઇવે બની ગયો છે. આ હાઈવે સમારકામ કર્યા વિના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા ટ્રાન્સપર્ટરો વિરોધ કર્યો હતો. વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલ ટેક્સ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. ત્યાર બાદ ટોલ ટેક્સ એજન્સી દ્વારા આ નિર્ણયને મોકૂફ રખાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના પ્રથમ બગવાડા ટોલ ટેક્સ પર રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વાહનો પાસેથી વસુલવામાં આવે છે. મુંબઈથી સુરત વચ્ચે આવતા વિરાર, ચારોટી, બગવાડા અને બોરિયાચ ટોલનાકા પર ટોલ ટેક્સમાં વધારો કરવાના નિર્ણયનો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે એસોસિયેશનના પ્રમુખ ભરત ઠાકરે જણાવ્યું કે, ‘સરકાર દ્વારા ચાર ટોલનાકા પર કેટેગરી મુજબ 40થી 90 ટકા ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. બિસ્માર રસ્તાને કારણે વાહનોને ભારે નુકસાન થવાની સાથે અનેક મુશ્કેલી ઊભી થઈ છે. ટેક્સ વસુલવા છતાં સુવિધાના નામે મીંડુ રહ્યું છે. ટોલનાકાની વર્ષ 2022માં 15 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ સરકારે માત્ર નિભાવખર્ચ માટે માત્ર 40 ટકા ટેક્સ વસુલ કરવાનો બાંહેધરી આપવા છતાં ઘટાડો કરવાને બદલે વધારો કર્યો તે યોગ્ય નથી.’

…તો આજે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોતઃ મહેબૂબા મુફ્તી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ CM અને PDPનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ હાલમાં કહ્યું હતું કે જો અબદુલ્લા ખાનદાને પાકિસ્તાનનો એજન્ડા ફોલો કર્યો હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોત. તેમના આ નિવેદનથી વિવાદ વધે એવી શક્યતા છે.

શ્રીનગરના જૂના શહેરના નવાકદલમાં એક સભામાં PDPનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે PM મોદી અને ભારતે કાશ્મીરના અબદુલ્લા પરિવારનો આભાર માનવો જોઈએ. જો શેખ અબદુલ્લા મુસ્લિમ બહુમતી હોવા છતાં ભારતની સાથે એક્સેશન ના કરતા તો આજે અમે આઝાદ હોત અથવા પછી સરહદને પાર પાકિસ્તાનની સાથે હોત.

તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો, ત્યારે ઉમર અબદુલ્લાએ કાશ્મીર વિશે ભારતનો પક્ષ વિશ્વભરમાં ફેલાવ્યો હતો. મુફ્તી પરિવારે હુર્રિયતની સાથે વાતચીત શરૂ કરાવી અને યુવાઓને હિંસાથી દૂર રાખ્યા.

જમ્મુ-કાશ્મીરમાં આશરે 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરથી 370 હટ્યા પછી અને લદ્દાખના અલગ થયા પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. બધા રાજકીય પક્ષો ચૂંટણીમાં એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.

મહેબૂબા આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં અનંતનાગથી મેદાનમાં હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 27 ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠક પર 279 ઉમેદવારે તેમના ઉમેદવારીપત્રો ભર્યા છે.

 

ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની નવી રિલીઝ ડેટ જાહેર

વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની વાર્તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી દુ:ખદ ઘટના પર આધારિત છે. તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 3 મે, 2024ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તે 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે ત્રીજી વખત ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 15 નવેમ્બર, 2024 કરવામાં આવી છે.

આ અભિનેત્રી પહેલીવાર વિક્રાંત મેસી સાથે કામ કરશે

તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના પહેલીવાર વિક્રાંત મેસી સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રિદ્દી ડોગરા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન ફિલ્મના સહ-નિર્માતા છે.

મુંબઈ: વિક્રાંત મેસીની ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ફરી એકવાર નવી રિલીઝ ડેટ મળી છે. ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની કમનસીબ ઘટના પર આધારિત આ ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે લેટેસ્ટ અપડેટમાં જાણવા મળ્યું છે કે ફિલ્મની રિલીઝ ડેટ ફરીથી બદલવામાં આવી છે. ’12મી ફેલ’ બાદ વિક્રાંત મેસી ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. એક સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને લઈને લોકોમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.

આ દિવસે સાબરમતી રિપોર્ટ જાહેર કરવામાં આવશે
વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સત્ય ઘટનાથી પ્રેરિત છે, જેની રિલીઝ ડેટ બીજી વખત બદલવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. હવે ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. ‘સેક્ટર 36’ અને ’12મી ફેલ’માં દમદાર અભિનય કરનાર વિક્રાંત મેસી ફરી એકવાર સ્ક્રીન પર ધમાકો કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ‘સેક્ટર 36’ અને ’12મી ફેલ’ની જેમ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પણ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે.

સાબરમતી રિપોર્ટમાં સત્ય બહાર આવશે

વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની વાર્તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી દુ:ખદ ઘટના પર આધારિત છે. નોંધનીય છે કે પહેલા આ ફિલ્મ 3 મે, 2024ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તે 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે ત્રીજી વખત ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 15 નવેમ્બર, 2024 કરવામાં આવી છે.

આ અભિનેત્રી પહેલીવાર વિક્રાંત મેસી સાથે કામ કરશે
તમને જણાવી દઈએ કે રાશિ ખન્ના પહેલીવાર વિક્રાંત મેસી સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રિદ્દી ડોગરા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રંજન ચંદેલ દ્વારા કરવામાં આવ્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન ફિલ્મના સહ-નિર્માતા છે.

તુંબાડઃ પ્રેક્ષકની ભૂલ સુધારવા ફરી આવવું પડ્યું…

એક હતા બિમલ રોય, જેમણે જંગલ પર છવાયેલા ગાઢ ધુમ્મસ, અંધકાર, નીરવતાથી એક ગૂઢ વાતાવરણ સર્જેલું હૉરર રોમાન્ટિક ‘મધુમતી’માં. એક રાહી અનિલ બર્વે છે, જે ધોધમાર વરસતો વરસાદ, અંધકાર અને ગૂઢ વાતાવરણમાં એકલા હોવાની ધાસ્તી જેટલી સામગ્રીથી પ્રેક્ષકનાં રૂવાડાં ખડાં કરી દે છે ‘તુંબાડ’માં.

વસ્તુ એ છે કે હાલ હિંદી સિનેમા અજાયબના પ્રાંતમાં આવી ઊભો છે. નવી ફિલ્મ ભાગ્યે જ રિલીઝ થઈ રહી છે, સામે ઢેરસારી પુરાણી ફિલ્મો રિ-રિલીઝ થઈ રહી છે, જેમાં એક છે રાહી અનિલ બર્વેની લોકકથા આધારિત સાઈકોલોજિકલ, હૉરર માસ્ટરપીસ ‘તુંબાડ’. ૨૦૧૮માં ‘તુંબાડ’ રિલીઝ થયેલી ને દેશભરના સમીક્ષકોએ એને બે હાથે વધાવી લીધેલી, પણ પ્રેક્ષકો થિએટરમાં જોવા ગયા નહીં. આથી ફ્લૉપનું લેબલ ચિપકાવી એને અભરાઈ પર ચડાવી દેવામાં આવી. હવે ૨૦૨૪માં એ ફરી રિલીઝ થઈ છે ત્યારે પ્રેક્ષકો થિએટર છલકાવી રહ્યા છે. જાણે આમ કરીને એ છ વર્ષ પહેલાંની ભૂલ સુધારી રહ્યા છે. નવા પ્રેક્ષક મળ્યા એ છોગામાં.

પોણાબે કલાકની ફિલ્મની વાર્તા ત્રણ કાળખંડમાં આકાર લે છે, જેનો આરંભ થાય છે ૧૯૧૮માં. મહારાષ્ટ્રમાં સાતારાથી થોડેક દૂર આવેલું ગામ તુંબાડ. ગામના વાડામાં (કહો કે જાગીરમાં) અમર્યાદ કીમતી ખજાનો છુપાયેલો છે એવી બાતમી વાડાના વયોવૃદ્ધ માલિક સરકાર કને હોવા છતાં એ શોધી શક્યા નથી. સરકારનું અનૌરસ સંતાન વિનાયક (સોહમ શાહ) છે, જેણે બાળપણથી છૂપા ખજાનાની વાત સાંભળી છે. સરકારના મૃત્યુ બાદ માતાની જિદના કારણે નાયકે તુંબાડ છોડવું પડે છે, પણ પંદર વર્ષ બાદ એ ખજાનો શોધવા પરત આવે એ છે બીજો કાળખંડ. વાર્તાના ત્રીજા ભાગમાં લોભ અને સ્વચ્છંદતામાં રમમાણ વિનાયક એના સંતાનને શાપીત ખજાનાની શોધનો, લોભ-લાલચનો વારસો સોંપે છે. ત્યાં સુધીમાં તો ભારતને સ્વાતંત્ર્ય મળી ગયેલું, રાજારજવાડાં નાબૂદ થઈ ગયેલાં, એમની માલમિલકતનું પણ વિલીનીકરણ થઈ ગયેલું. તો ખજાનાનું શું? જુઓ ‘તુંબાડ’.

‘થેન્ક યુ મિસ્ટર ગ્લાડ’ જેવી અનેક નવલકથાના જાણીતા મરાઠી રાઈટર, નાટ્યલેખક અનિલ બર્વેના સુપુત્ર લેખક-દિગ્દર્શક રાહી અનિલ બર્વેની ‘તુંબાડ’નાં મૂળ છે નારાયણ ધારપની એક શોર્ટ સ્ટોરી, જેના હાર્દમાં છે માનવીની સૌથી મોટી નબળાઈઃ લોભ-મોહ-માયા. ૧૯૯૭માં ૧૮ વર્ષની વયે રાહીએ આ મરાઠી લોકકથા વાંચી ત્યારથી એમના મગજ પર ફિલ્મ બનાવવાની ધૂન સવાર થયેલી. ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન એમણે ૭૦૦ જેટલાં પાનાં લખી કાઢ્યાં. વિષયવસ્તુ સાંભળીને સાતેક નિર્માણકંપની પૈસા રોકવા આગળ આવી, જેમાં આનંદ એલ. રાયથી લઈને ‘શિપ ઓફ થિસસ’વાળા આપણા આનંદ ગાંધી, મુકેશ શાહ, અભિનેતા-નિર્માતા સોહમ શાહ (જે ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવે છે), અમિતા શાહ, વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૧૨માં ફિલ્મ બની ગઈ, પણ એડિટિંગ બાદની ફિલ્મથી સોહમ અને રાહી નિરાશ થયાઃ બાત કૂછ બની નહીં. ત્રણેક વર્ષ બાદ ફિલ્મ નવેસરથી શૂટ થઈ, દુનિયાભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી. ૨૦૧૮માં ‘તુંબાડ’ ભારતમાં રિલીઝ થઈ.

આજથી આશરે ૧૦૫ વર્ષના મહારાષ્ટ્રના એક ગામડામાં આકાર લેતું કથાનક ફિલ્મનું મહત્વનું પાત્ર છે. એ કાળનું સર્જવામાં સર્જકોએ લમણાની નસ તોડી નાખી છે, ગામ, ગામનો બિહામણો લાગતો ગૂઢ વાડો, ધોધમાર વરસતો વરસાદ, હસ્તર દેવીનું મંદિર… એક માહોલ સરજાયો છે. ફિલ્મના વિષયને વફાદાર રહેવા ધમાકેદાર, ઘોંઘાટિયા સંગીત કે આંખો આંજી દેતા પ્રકાશઆયોજનને બદલે રાહી અને એમની ટીમે વીએફએક્સ તથા સાઉન્ડ ડિઝાઈનિંગથી ધારી અસર ઊપજાવી છે.

આજે એટલે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના દેશભરમાં ચિત્રપટ દિવસ ઊજવાઈ રહ્યો છે તે નિમિત્તે ૯૯ રૂપિયામાં ‘તુંબાડ’ અને કોઈ પણ ફિલ્મ જોવા મળશે. જો તમારા શહેરમાં, દેશમાં થિએટરનો મેળ ન પડે તો ‘પ્રાઈમ વિડિયો’ પર છે. જોઈ કાઢો.