Home Blog Page 4565

કરીના, દીકરા તૈમૂરે મજા માણી માટીનો ઘડો બનાવવાની…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન હાલ બીજી વાર ગર્ભવતી છે. તે હાલ એનાં પુત્ર તૈમૂર અલી સાથે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં દિવાળીની રજા માણવા ગઈ છે જ્યાં એનો અભિનેતા પતિ સૈફ અલી ખાન એની નવી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. માતૃત્ત્વના દિવસોનો આનંદ માણી રહેલી કરીનાએ તેનો અને તૈમૂરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વિડિયોમાં કરીના તૈમૂર સાથે મળીને કુંભારકામનો આનંદ માણી રહી છે અને એને નાનકડું માટલું કે માટીનો ઘડો બનાવતા શીખડાવી રહી છે. તૈમૂર એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે અને તે જેમ કહે બરાબર એ જ રીતે કરવાની કોશિશ કરી રહ્યો છે.

કુંભારકામ શીખતાં કરીના-તૈમૂર

પ્રત્યેક ભારતવાસીને કોરોના-રસી અપાશેઃ પીએમ મોદીની ખાતરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની સ્થિતિને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે કોરોનાની રસી ક્યારે ઉપલબ્ધ થશે, એનો સમય આપણે નક્કી ન કરી શકીએ. એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો આ મામલે રાજકારણ કરી રહ્યા છે, એમ કરવું ન જોઈએ પરંતુ કોઈને રાજકારણ કરતા રોકી શકાતા નથી.

વિડિયો કોન્ફરન્સ બેઠકમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. આ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ ખૂબ ઝડપથી વધી ગયા છે. કોરોના વાઇરસના વધતા કેસને લઈને મોદીએ કહ્યું હતું કે RT-PCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાંનાં હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. લોકોમાં જાગૃતિ લાવવામાં કોઈ કચાશ રહેવી ન જોઈએ. વેક્સિનનું સંશોધન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર આ દિશામાં ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સિનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી. વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઉતરે તે પછી જ કોરોના રસી ભારતવાસીઓને અપાશે. દરેક ભારતવાસીને કોરોના રસી ઉપલબ્ધ કરાવવી એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજની વિડિયો કોન્ફરન્સમાં કોરોના રોગચાળા અને વેક્સિન બાબતે ચર્ચા કરી હતી. જેમાં વેક્સિનની ઉપલબ્ધતા, વિતરણ અંગે સમીક્ષા કરી હતી. વડા પ્રધાને એવું પણ કહ્યું હતું કે કોરોના બાબતે માત્ર દવા લેવાથી આ રોગચાળો મટી જશે તેવું માનવું નહીં. દુનિયાના અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ કોરોના  મામલે વધારે વણસી નથી તે એક સારી વાત છે.

‘દિલ્હી ક્રાઈમ’ને મળ્યો ‘બેસ્ટ ડ્રામા સિરીઝ’નો ઈન્ટરનેશનલ એમી એવોર્ડ

મુંબઈઃ 2012ની સાલમાં દિલ્હીમાં બનેલી ચોંકાવનારી ગેંગરેપ અને હત્યાની ઘટના (નિર્ભયા ગેંગરેપ, હત્યા) પર આધારિત ‘દિલ્હી ક્રાઈમ’ વેબસિરીઝને 48મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વેબસિરીઝને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માર્ચ, 2019માં રિલીઝ કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ એમી એવોર્ડ જીતનાર આ પહેલો જ ભારતીય શો બન્યો છે. આ સમાચાર ઈન્ટરનેશનલ એમની એવોર્ડ્સના સત્તાવાર ટ્વિટર પેજ ઉપર પોસ્ટ કરવામાં આવ્યા છે.

સાત-એપિસોડવાળી આ વેબસિરીઝમાં અભિનેત્રી શેફાલી શાહે દિલ્હી પોલીસનાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા કરી છે. રસિકા દુગ્ગલ, આદિલ હુસેન, રાજેશ તૈલંગ, અવિજીત દત્ત, ગોપાલ દત્ત, જયા ભટ્ટાચાર્ય, ડેન્ઝિલ સ્મિથ અને યશસ્વિની દયામા જેવા અન્ય કલાકારો પણ તેમાં છે. આ વેબસિરીઝના લેખક અને દિગ્દર્શક રિચી મહેતા છે. નિર્માણ નેટફ્લિક્સ ઈન્ડિયા, એસ.કે. ગ્લોબલ એન્ટરટેનમેન્ટ અને ગોલ્ડન કારવાંએ કર્યું હતું.

આ સમાચારને બોલીવૂડે વધાવી લીધા છે. હૃતિક રોશન, વિદ્યા બાલન, નિર્માતા કરણ જોહર, નિર્માત્રી ઝોયા અખ્તર, વિકી કૌશલ, યામી ગૌતમ, ગાયક-સંગીતકાર વિશાલ દદલાની, શમિતા શેટ્ટી જેવી હસ્તીઓએ દિલ્હી ક્રાઈમની ટીમને અભિનંદન આપ્યાં છે. શેફાલી શાહે કહ્યું છે કે આ એવોર્ડ બદલ પોતે ગૌરવ પ્રાપ્ત કર્યાની લાગણી અનુભવે છે. હું ખૂબ જ ખુશ છું. દિલ્હી ક્રાઈમનો હિસ્સો બની એ બદલ હું ગર્વની લાગણીનો અનુભવ કરું છું.

 

વડોદરામાં રેલવેના 190 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાની સ્થિતિ ચિંતાજનક બની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ છે. રાજ્ય સરકારે વડોદરામાં નાઇટ કરફ્યુ  લાદવાનો નિર્ણય લીધો છે. બિનસત્તાવાર રીતે અત્યાર સુધીમાં વડોદરામાં 1000થી પણ વધુ નાગરિકોને કોરોના ભરખી ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

વડોદરા રેલવે કર્મચારીઓમાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થયો છે. વડોદારામાં 350 આર્ટિફિશિયલ ટેસ્ટમાંથી 50 અને 400 રેપિડ ટેસ્ટમાંથી 150 દર્દી પોઝિટિવ આવ્યા છે. વડોદરાના રેલવે હોસ્પિટલમાં 190 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. રેલવે કોલોનીમાં 750 ટેસ્ટ કરવામાં આવ્યા છે.રેલવે કર્મચારીઓમાં કોરોના બ્લાસ્ટ થયા લોકો ભયભીત થઈ ગયા છે.

દિવાળીની ખરીદીના સમયગાળા દરમિયાન બજારો, મોલ અને દુકાનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ઠેકઠેકાણે ભંગ થયો હતો. તેમ જ ઘણા બધા લોકો માસ્ક વિના જ નીકળી પડ્યા હતા.

NSEએ કાર્વી સ્ટોક બ્રોકિંગને ડિફોલ્ટર જાહેર કરી

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિ.ને ડિફોલ્ટર જાહેર કરતાં સોમવારે બજાર બંધ થયા પછી એનું સભ્યપદ રદ કરી દીધું હતું. બધા સભ્યોને એ સૂચિત કરવામાં આવે છે કે NSEIL નિયમોના ચેપ્ટર IVના એક અને બે હેઠળ કાર્વી સ્ટોક બ્રોકિંગને એક્સચેન્જના સભ્યપદેથી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે, એમ એનએસઈએ ગઈ કાલે બજાર બંધ થયા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું.

નવેમ્બર, 2019માં કાર્વી બ્રોકરેજ હાઉસે રોકાણકારોની પરવાનગી વગર 95,000 રોકાણકારોની રૂ. 2300 કરોડની સિક્યોરિટીઝ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. કાર્વીએ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને રોકાણકારોના શેર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

સેબીને પ્રથમદર્શી તપાસમાં જણાયું છે કે બ્રોકરેજ કંપનીએ ગ્રાહકોના શેરોનો દુરુપયોગ કર્યો હતો, એનો અન્ય હેતુ અને બિઝનેસમાં ઉપયોગ કર્યો હતો, જેની એને સત્તા અપાઈ નહોતી. સેબીએ કંપનીને નવા ગ્રાહકો ઉમેરવા અને હાલના ગ્રાહકોના પાવર ઓફ એટર્નીનો ઉપયોગ સીમિત કરી દીધો હતો. નિયામકે એક્સચેન્જને કંપનીની સામે શિસ્તની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. એ પછી એણે NSE, BSE, MCX અને MSCIએ પણ બ્રોકરેજ કંપનીનું લાઇસન્સ રદ કરી દીધું હતું. 17 નવેમ્બરે NSEએ જણાવ્યું હતું કે કાર્વી સ્ટોક બ્રોકિંગ લિ.ના આશરે 2.35 લાખ રોકાણકારોના રૂ. 2300 કરોડના મૂલ્યના ફંડ્સ અને સિક્યોરિટીઝને અત્યાર સુધી સેટલ કરવામાં આવ્યા છે.

 

 

 

રોહિત, ઈશાંત પહેલી બે-ટેસ્ટમાં રમી નહીં શકે

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થાય એ પહેલાં જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને જમોડી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે ટેસ્ટ મેચમાં રમી નહીં શકે. બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર-મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 27 ડિસેમ્બરથી એડીલેડમાં રમાનાર છે. ક્રિકેટ ન્યૂઝ વેબસાઈટ ઈએસપીએન ક્રિકઈન્ફોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. એણે તેમ પણ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમવાનું પણ રોહિત અને ઈશાંતનું ઢચુપચુ છે, બધો આધાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઝડપી અને નિર્ણાયક પગલા પર રહેલો છે.

ઈશાંતે બોલિંગ ફિટનેસ પાછી મેળવી લીધી છે. એણે જો આવતા વર્ષે 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટમાં રમવું હોય તો તાત્કાલિક વિમાનમાં બેસવું પડશે.

રોહિત તાજેતરની આઈપીએલ સ્પર્ધા દરમિયાન સાથળનો સ્નાયૂ ખેંચાઈ જવાની ઈન્જરીથી પરેશાન છે. હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે. એ સંપૂર્ણપણે ફિટ છે કે નહીં એ નિર્ણય માત્ર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ મળી શકશે. તે 8 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચશે તો પણ ત્યાં બે અઠવાડિયા સુધી એણે કોરોના સંબંધિત ક્વોરન્ટાઈન સ્થિતિમાં રહેવું પડશે.

ટીવી અભિનેતા આશિષ રોયનું બીમારીને કારણે નિધન

મુંબઈઃ ‘સસુરાલ સિમર કા’, ‘બ્યોમકેશ બક્ષી’, ‘યસ બોસ’, ‘બા બહુ ઔર બેબી’, ‘મેરે અંગને મેં’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ જેવી ટીવી હિન્દી સિરિયલોના અભિનેતા આશિષ રોયનું કિડની ખરાબ થઈ જવાને કારણે અહીં નિધન થયું છે. એમની વય 55 વર્ષ હતી. એ ત્રણેક મહિનાથી બીમાર હતા. આર્થિક તંગીને કારણે તેઓ સારવાર કરાવી શક્યા નહોતા. આખરે આજે સવારે લગભગ 4.55 વાગ્યે આખરી શ્વાસ લીધો હતો. આશિષ રોયને ઘણા વખતથી કિડનીની બીમારી હતી. એમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ગયા વર્ષે એમણે સોશિયલ મિડિયા મારફત પોતાને આર્થિક મદદ કરવાની લોકોને વિનંતી કરી હતી.

બીમાર હોવા છતાં રોય કામ માગતા હતા. કલર્સ ચેનલ સાથે એમણે અમુક દિવસો પહેલાં જ વાતચીત કરી હતી અને ડબિંગનું કામ પણ ચાલુ હતું. એમના પરિવારમાં એમના બહેન સિવાય બીજું કોઈ નથી. બહેન કોલકાતામાં રહે છે.

રોયે ગઈ 18 મેએ જન્મદિવસ ઉજવ્યો હતો અને ત્યારે જ એમણે પોતાના મૃત્યુનું નિવેદન કર્યું હતું. એમણે કહ્યું હતું કે સારવાર પાછળ મારે ચારેક લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. છેલ્લા 8 મહિનાથી કોઈ આવક થઈ ન હોવાથી મારે સારવાર અધવચ્ચે જ પડતી મૂકી દેવી પડી છે. ઘેર જઈને મરી જઈશ તો પણ કોઈ દુઃખ નહીં થાય.

શહેરમાં કતારોને કારણે કોરોનાના ટેસ્ટિંગની કિટો ખૂટી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતો જાય છે. જુદા-જુદા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટે લગાડવામાં આવેલા ટેન્ટ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિયાળાની ઋતુની શરૂઆત અને તહેવારોમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પૂર્વ, પશ્ચિમ અને કોટ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે લગાડવામાં આવેલા મંડપોની બહાર શરદી, ઉધરસ, કફ અને તાવ જેવી તકલીફો ધરાવતા અનેક લોકોની લાંબી કતારો જોવા મળે છે.

ઝડપી પરિણામ આપતા કોરોના ટેસ્ટિંગના બહાર લાગતી કતારોના કારણે ઘણા વિસ્તારોમાં બપોર પહેલાં જ ‘કિટો’ ખૂટી પડે છે. કોરોનાની ટેસ્ટ માટેની ‘કિટો’ ખૂટી પડતાં જ ટેસ્ટ કરાવવા ઇચ્છતા લોકો બીજા વિસ્તારોમાં જાય છે, તો ક્યાંક કલાકો સુધી લોકો લાઇનોમાં ઊભા રહે છે.

કોરોનાના કારણે હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો, ખાનગી લેબોરેટરીઓમાં ટેસ્ટિંગ માટે કતારોમાં સતત વધારો થતો જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

કોરોનાના 37,975 નવા કેસો, 480નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 91 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,975 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 480 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 91,77,840 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,34,218  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 86,04,955 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,38,667એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

વડા પ્રધાનની મહત્ત્વની બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય પ્રધાનો સાથે યોજાનારી બેઠકમાં રાજ્યોમાં કોરોના સંકટની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં કોરોના વેક્સિનના વિતરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે કોરોના સંકટ આવ્યા બાદથી વડા પ્રધાન રાજ્યો સાથે સતત વાતચીત કરતા રહે છે. દેશમાં વધતા કોરોના સંક્રમણના કેસોની વચ્ચે પીએમ મોદીએ ગત સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં દેશમાં કોરોના વેક્સિનને લઈને તૈયાર કરવામાં આવી રહેલી વ્યૂહરચના વિશે ચર્ચા કરી હતી. ભારતમાં કોરોનાના સંક્રમણ કેસ 91 લાખને પાર થઈ ગયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

અદાણીની સંપત્તિ વધી; ગેટ્સને પાછળ રાખી દીધા

મુંબઈઃ કોરોના કાળમાં પણ કમાણી મામલે મુકેશ અંબાણી અને બિલ ગેટ્સને અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ પાછળ છોડ્યા છે. ગૌતમ અદાણીએ પ્રતિદિન રૂ. 456 કરોડની કમાણી કરી છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ પ્રતિદિન કમાણીને મામલે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટોપ પર છે. તેમણે પ્રતિદિન રૂ. 2.21 હજાર કરોડની કમાણી કરી છે. કોરોના કાળમાં ગૌતમ અદાણીની ચાર કંપનીઓએ નોંધપાત્ર ગ્રોથ નોંધાવ્યો છે, જેમાં અદાણી ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી પોર્ટ અને અદાણી પાવર સામેલ છે. આ કંપનીઓએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પ્રોત્સાહક ગ્રોથ નોંધાવ્યો છે.અદાણી ગ્રીન 550 ટકા વધ્યો છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ મુજબ અદાણી ગ્રુપની નેટવર્થનો મોટો હિસ્સો ડિફેન્સ, પાવર, જનરેશન અને ટ્રાન્સિશન, એડિબલ ઓઇલ અને રિયલ એસ્ટેટથી આવે છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના તાજા આંકડા મુજબ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ રૂ. 5.35 લાખ કરોડ છે. મુકેશ એશિયાના સૌથી શ્રીમંત અને વિશ્વના 11મા સૌથી માલેતુજાર વ્યક્તિ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ રૂ. 2.32 લાખ કરોડ છે. વિશ્વના સૌથી શ્રીમતોની યાદીમાં તેઓ 40મા સ્થાને છે.

અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટ છે. BSEમાં અદાણી ગ્રુપની આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 3.89 લાખ કરોડ છે. આમાં અદાણી ગ્રીનનું માર્કેટે કેપ રૂ. 1.77 લાખ કરોડ છે.

ગૌતમ અદાણીને પોર્ટના ટાયકૂન કહેવામાં આવે છે, તેઓ ગુજરાતના સૌથી મોટા અને દેશના સૌથી વ્યસ્ત મુંદ્રા પોર્ટને ઓપરેટ કરે છે. દેશના સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો અદાણીની પાસે છે.