વૈશ્વિક તણાવ વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થાની રફતાર અટકશે નહીં

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને અનિશ્ચિત વાતાવરણ વચ્ચે ભારતના અર્થતંત્રને (Indian Economy) લઈને એક ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. અગ્રણી વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ ફર્મ ડેલૉઇટ ઇન્ડિયા (Deloitte India) ના તાજા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 (FY27) માં ભારતની અર્થવ્યવસ્થા 6.5% થી 6.8% ના મજબૂત દરથી વિકાસ પામી શકે છે. કંપનીનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં (Second Half) દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં વધુ ઝડપ આવશે. આ તેજી પાછળ ફેસ્ટિવલ સિઝનમાં વધનારી ખરીદી, વ્યાજ દરોમાં મળનારી સંભવિત રાહત અને વૈશ્વિક પરિસ્થિતિઓમાં ધીમે-ધીમે થનારો સુધારો મુખ્ય પરિબળો સાબિત થશે.

ગ્લોબલ ટેન્શન અને હોર્મુઝ સ્ટ્રેટની અસરૉ

ડેલૉઇટે પોતાના તાજા ‘ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ’ માં જણાવ્યું છે કે, વર્ષ 2026 ની શરૂઆતમાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી સંતુલિત અને મજબૂત સ્થિતિમાં હતી. જો કે, ત્યારબાદ મધ્ય પૂર્વમાં (Middle East) વધેલા ભૌગોલિક-રાજકીય તણાવે વૈશ્વિક વેપાર અને રોકાણ પર નકારાત્મક અસર છોડી છે. આ વૈશ્વિક વિવાદને કારણે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) જેવો અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ પ્રભાવિત થયો છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કચ્ચા તેલ) અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો છે. આ વૈશ્વિક કટોકટીની સીધી અસર ભારતના વેપાર ખાધ (Trade Deficit), વિદેશી રોકાણ અને રૂપિયાના મૂલ્ય પર પણ જોવા મળી છે.

ભારતીય અર્થવ્યવસ્થા સામેના મુખ્ય જોગવાઈઓ અને જોખમો

વૈશ્વિક પડકારોને જોતાં ભારતીય રિઝર્વ બેંકે (RBI) પણ તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી (GDP) ગ્રોથનો અંદાજ 6.9% થી સહેજ ઘટાડીને 6.6% કર્યો છે. આ અગાઉના નાણાકીય વર્ષ 2025-26 માં ભારતની અર્થવ્યવસ્થા 7.7% ના શાનદાર દરે આગળ વધી હતી. ડેલૉઇટના અર્થશાસ્ત્રી રુમકી મજુમદારે જણાવ્યું છે કે, વૈશ્વિક માહોલ પહેલા કરતા વધુ અનિશ્ચિત બન્યો છે. જો કે, આરબીઆઈની મજબૂત નાણાકીય નીતિઓ અને સરકારના યોગ્ય પગલાં આ પડકારોની અસરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ‘અલ નિનો’ (El Nino) ની અસરને કારણે નબળું ચોમાસું, કૃષિ ઉત્પાદનમાં સંભવિત ઘટાડો અને ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતો (મોંઘવારી) હજુ પણ ભારતીય બજાર માટે સૌથી મોટું જોખમ બનેલા છે.

ભારતના પક્ષમાં કયા પોઝિટિવ ફેક્ટર્સ છે?

આ રિપોર્ટમાં ભારત માટે એક આશાસ્પદ પાસું એ દર્શાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર હાલમાં વિશ્વના ઘણા મોટા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે કે મુક્ત વ્યાપાર કરાર કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આ વૈશ્વિક કરારોથી ભારતીય કંપનીઓને નવા વિદેશી બજારો મળશે અને દેશની નિકાસ (Export) વધારવામાં મોટી મદદ મળશે. જો કે, રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ભારત માટે માત્ર નવા વિદેશી બજારો મેળવવા જ પૂરતા નથી; દેશે પોતાના સ્થાનિક ઉદ્યોગોને વધુ મજબૂત કરવા પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહેતર બનાવવું પડશે, ડોમેસ્ટિક સપ્લાય ચેઈનને સુદ્રઢ કરવી પડશે, બિઝનેસના નિયમો સરળ કરવા પડશે અને નવી ટેકનોલોજી તેમજ કૌશલ્ય વિકાસ (Skill Development) માં મોટા પાયે રોકાણ વધારવું પડશે.