કોરોનાના 37,975 નવા કેસો, 480નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 91 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,975 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 480 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 91,77,840 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,34,218  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 86,04,955 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,38,667એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

વડા પ્રધાનની મહત્ત્વની બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય પ્રધાનો સાથે યોજાનારી બેઠકમાં રાજ્યોમાં કોરોના સંકટની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં કોરોના વેક્સિનના વિતરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે કોરોના સંકટ આવ્યા બાદથી વડા પ્રધાન રાજ્યો સાથે સતત વાતચીત કરતા રહે છે. દેશમાં વધતા કોરોના સંક્રમણના કેસોની વચ્ચે પીએમ મોદીએ ગત સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં દેશમાં કોરોના વેક્સિનને લઈને તૈયાર કરવામાં આવી રહેલી વ્યૂહરચના વિશે ચર્ચા કરી હતી. ભારતમાં કોરોનાના સંક્રમણ કેસ 91 લાખને પાર થઈ ગયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.