મારી ગેરહાજરીમાં રહાણે સુકાનીપદ બરાબર સંભાળશેઃ કોહલી

એડીલેડઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામે ચાર-ટેસ્ટની સિરીઝની છેલ્લી ત્રણ મેચમાં મારી ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમનું સુકાન સરસ રીતે સંભાળશે. બધી ગોઠવણ પહેલેથી જ થઈ ગઈ છે અને ટીમમાં દરેક સભ્યને પોતપોતાની ભૂમિકાની જાણકારી છે.

એડીલેડ ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી શરૂ થનાર પહેલી ટેસ્ટ, જે ડે-નાઈટ હશે, તે પૂરી થયા બાદ કોહલી ભારત પાછો ફરશે અને પત્ની અનુષ્કા શર્મા એમના પ્રથમ સંતાનને જન્મ આપશે ત્યારે પોતે એની પાસે રહેશે. તેથી ઓસ્ટ્રેલિયા સામે બાકીની ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું સુકાન રહાણે સંભાળશે, જે હાલ ટીમનો વાઈસ-કેપ્ટન છે. મુંબઈનિવાસી રહાણેએ આ જ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા-A ટીમ સામે ભારતની બંને વોર્મ-અપ મેચોમાં સુકાન સંભાળ્યું હતું.