ખેડૂતોએ માર્ચ કાઢતાં કહ્યું, માગ પૂરી થયા બાદ જઈશું

નવી દિલ્હીઃ પંજાબના પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી તરફ માર્ચ શરૂ કરી દીધી છે.તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓની પાંચ કલાકથી વધુની બેઠક પરિણામશૂન્ય રહી. ખેડૂતોની મુખ્ય માગ પાકોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર કોઈ સમાધાન ના થઈ શક્યું. ખેડૂતોએ કહ્યું હતું કે અમે અમારી માગોને પૂરી કરાવીને જંપીશું. અમે છ મહિનાનું કરિયાણું લઈને નીકળ્યા છે. ખેડૂતોના જથ્થાએ પંજાબ બોર્ડરને પાર કરી છે. જોકે હરિયાણાથી માંડીને દિલ્હી સુધી પોલીસનો બંદોબસ્ત છે અને કલમ 144 લાગુ છે.

સરકારે આંદોલન પર અડેલા નેતાઓને સમજાવવાના દરેક પ્રયાસ કર્યા, પરંતુ એ પછી પણ ખેડૂત નેતાઓએ આરપારની જંગનું એલાન કરતાં કહ્યું હતું કે દિલ્હી કૂચ થઈને રહેશે.  ગાઝીપુર, સિંધુસંભુ અને ટિકરી સહિત બધી બોર્ડરને છાવણીમાં તબદિલ કરવામાં આવી છે. સામે પક્ષે પોલીસે કહ્યું હતું કે ખેડૂતોની આડમાં ઉપદ્રવીઓએ કાયદાની વ્યવસ્થામાં ખલેલ પાડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ, સરકાર સાથે બેઠક પૂરી થયા પછી કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સરવન સિંહ પંધેરે કહ્યું હતું કેં દિલ્હી ચલો માર્ચ જારી હૈ, બે વર્ષ પહેલાં સરકારે અમારી અડધી માગોને લિખિત રૂપે પૂરા કરવાનાં વચનો આપ્યાં હતા. અમે આ મુદ્દો શાંતિથી હલ કરવા ઇચ્છીએ છીએ, પણ સરકાર ઇમાનદાર નથી, તેઓ માત્ર સમેય બરબાદ કરવા ઇચ્છે છે.ખેડૂતોએ પંજાબના ફતેહગઢ સાહેબથી ખેડૂતોએ માર્ચ શરૂ કરી દીધી છે. ખેડૂતો પહેલાં દિલ્હીની પાસેની બોર્ડરે જમા થશે અને બપોરે આગળની વ્યૂહરચના ઘડી કાઢશે.