ભારતે 10-કરોડને કોરોના-રસી આપીઃ આજથી 4-દિવસીય ‘ટીકા-ઉત્સવ’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળા સામેના જંગમાં ભારતે એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ઉપક્રમે ગઈ 16 જાન્યુઆરીથી શરૂ કરાયેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત 85 દિવસોમાં રસી આપવામાં આવેલા નાગરિકોનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. આ મામલે ભારતે અમેરિકા અને ચીનને પણ પાછળ રાખી દીધા છે. 10 કરોડ લોકોને રસી આપવામાં અમેરિકાને 89 દિવસ લાગ્યા હતા જ્યારે ચીનને 102 દિવસ લાગ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જેમણે કોરોના-પ્રતિબંધાત્મક રસીના બંને ડોઝ લઈ લીધા છે, તેમણે કરેલી અપીલના સંદર્ભમાં દેશભરમાં સામુહિક રસીકરણ માટે આજથી 4-દિવસીય ‘ટીકા-ઉત્સવ’નો આરંભ કરવામાં આવ્યો છે. રસીકરણની ગતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલો આ ‘ટીકા-ઉત્સવ’ 14 એપ્રિલ સુધી ચાલશે.