કર્ણાટકમાં CBIને તપાસ કરવા સીધી મંજૂરી નહીં

બેંગલુરુઃ કર્ણાટકમાં પણ CBIને હવે તપાસની સીધી મંજૂરી નહીં મળે. રાજ્યથી મંજૂરી મળ્યા પછી CBI તપાસ કરી શકશે. આ પહેલાં મોટા ભાગનાં બિન ભાજપ શાસિત કેટલાંક રાજ્યો આવી રીતે CBIના આવવા પર તપાસ લગાવી ચૂકી છે. કર્ણાટકના આ નિર્ણય પછી વિવાદ જોવા મળી રહ્યો છે, કેમ કે ટાઇમિંગને લઈને વિવાદની સ્થિતિ છે.

કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે CBIને આપેલr સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં.

CM સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પછી કાયદા અને સંસદીય કાર્ય પ્રધાન એચ. કે. પાટીલે જણાવ્યું હતું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબલિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ કર્ણાટક રાજ્યમાં ગુનાહિત કેસોની તપાસ માટે  CBIને સામાન્ય સંમતિ આપતું નોટિફિકેશન પરત લઇ લેવામાં આવ્યું છે.

આ નોટિફિકેશન એટલા માટે પરત લેવામાં આવ્યું છે, કારણ કે એક બાબત સ્પષ્ટ છે કે CBI અથવા કેન્દ્ર સરકાર પોતાનાં સાધનોનો ઉપયોગ કરતી વખતે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતી નથી. તેથી અમે દરેક કેસની સમીક્ષા કર્યા પછી સંમતિ આપીશું. સામાન્ય સંમતિ પરત લઈ લેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યમાં CBIના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ.

પત્રકારોએ તેમને સવાલ કર્યો કે શું MUDA કેસમાં CM સિદ્ધારમૈયાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેમણે જણાવ્યું હતું કે કોર્ટે આ કેસમાં લોકાયુક્ત પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

એક અન્ય પત્રકારે પૂછ્યું હતું કે શું ભાજપ દ્વારા કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ ફંડમાં હેરાફેરીના કેસની CBI તપાસ કરાવવાની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે આ કેસ સાથે આ બાબતને કોઇ લેવા-દેવા નથી, કારણ કે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.