વિધાનસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રનો કિંગ કે કિંગમેકર કોણ બનશે?

મુંબઈઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં છે.  લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવની પાર્ટીએ શિંદેની શિવસેનાથી વધુ સીટો જીતી હતી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભાજપ હાલના સમયે રાજ્યમાં કેટલાય પડકારોનો સામનો કરી રહ્યો છે. અજિત પવારને મહાયુતિ ગઠબંધનમાં સામેલ કરવાનો નિર્ણય અંદર અને બહાર –બંને તરફથી ટીકાત્મક રહ્યો છે. જ્યારે ચાલી રહેલું મરાઠા આંદોલને એ આગમાં ઘીનું કામ કર્યું છે. જેથી ભાજપ માટે વિધાનસભાની ચૂંટણીમાં અનેક પડકારો છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક દેખાવો પછી કાર્યકર્તાઓના મનોબળ પર સીધી પ્રતિકૂળ અસર પડી છે. એનાથી વિરુદ્ધ મહાવિકાસ આઘાડી (MVA) વિધાનસભામાં જીતવા માટે આશ્વસ્ત છે. એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 200માંથી MVA 160થી વધુ સીટો જીતે એવી શક્યતા છે.

ભાજપે સત્તામાં વાપસી માટે ઉપ CM દેવેન્દ્ર ફડણવીસે ફરીથી કેપ્ટન બનાવ્યા છે.જેથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે ફડણવીસ જ સૌથી મોટા ટાર્ગેટ છે. ઠાકરેએ તો ઘોષણા કરી છે કે ફડણવીસ કે ખુદ તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં જીવતા રહેશે. ઠાકરે અને ફડણવીસની વચ્ચે દુશ્મની 2019ની પહેલાંથી છે, પણ ચૂંટણી પરિણામો પછી એ ઔર બગડી હતી. આમ હવે વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનો કિંગ કે કિંગમેકર કોણ બનશે? એ એક સવાલ છે.

જોકે બીજી બાજુ એક સર્વે મુજબ હાલની સરકારના કામથી 25 ટકા લોકો સંતુષ્ટ છે અને CM શિંદેના કામથી સંતુષ્ટ લોકોની સંખ્યા 35 ટકા છે. શિંદેની લોકપ્રિયતા વધી છે તો એ ભાજપ માટે ચિંતાનું કારણ છે અને એ ચિંતા દેવેન્દ્ર ફડણવીસ માટે પણ છે, કેમ કે ભાજપ શિંદેનો ચહેરો કરીને ચૂંટણીમાં જશે કે દેવેન્દ્ર ફડણવીસનો- એ એક સવાલ છે.