ઐશ્વર્યા, પુત્રી આરાધ્યા પણ કોરોનાગ્રસ્ત; જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ

મુંબઈઃ બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને એમના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના વાઈરસ ટેસ્ટ ગઈ કાલે પોઝિટીવ આવ્યા બાદ આજે પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા પણ કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે અગાઉ સવારે કહ્યું હતું કે ઐશ્વર્યા અને આરાધ્યા, બંનેનો સ્વેબ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એને કારણે પ્રશંસકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

તે છતાં હવે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું છે કે બીજા ટેસ્ટમાં ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

જયા બચ્ચનનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓએ વિલે પારલે (વેસ્ટ)ના જુહૂ વિસ્તારમાં આવેલા બચ્ચન પરિવારના બંગલો ‘જલસા’ને સીલ કરી દીધો છે અને આખા મકાનને સેનિટાઈઝ પણ કર્યું છે.

અમિતાભ અને અભિષેકને વિલે પારલેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની તબિયત સ્થિર અને સારી છે.