અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા

ગુજરાત આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા તેમના સમર્થકો સાથે સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભાજપમાં જોડાયા હતા. સુરત ખાતેના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપના નેતાઓને આવકારતા જણાવ્યું કે, ‘આ દેશ સુવર્ણ કાળમાથી પસાર થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છે. લોકસભાની તમામ સીટો ભાજપના ઉમેદવારો જંગી મતોથી જીતે તે માટેના પ્રયાસો કરવાના છે. મોદી સાહેબ ત્રીજી વાર પીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ 26 માંથી 26 સીટો જીતી હેટ્રીક કરવા જઈ રહ્યું છે. પાટીલે કોંગ્રેસ પર પણ નિસાનો સાધતા કહ્યું હતું કે, ‘આ કોંગ્રેસવાળા સનાતન ધર્મમા માનતા નથી, સનાતન ધર્મનો વિરોઘ કરે છે. જે રામનો નથી તે કોઇનો નથી તે યાદ રાખવાનુ છે.’

આપના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ કેસરીયા કર્યાં

અલ્પેશભાઇ કથિરીયાએ ગઈકાલે ભાજપનો ખેસ પહેરતા જણાવ્યું કે, ‘આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમા ભાજપમા જોડાવવાની તક મળી તે બદલ ભાજપના સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. પક્ષ અને સમાજને વિશ્વાસ આપુ છું કે સમાજના હિત અને રાષ્ટ્રહિત માટે કામ કરીશું.’ આ સિવાય આપના અન્ય નેતા ધાર્મિકભાઇ માલવિયાએ પણ આ કાર્યક્રમમાં પોતાની વાત જણાવતા કહ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે આજે તેમના સારથી તરીકે ભાજપમા જોડાયો છું. આજે ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ પક્ષમા જોડાયો છું.’