હાઈ એલર્ટઃ દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના સમારોહ પહેલાં દેશની સુરક્ષા એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. ખાલિસ્તાની આતંકી સંગઠનો અને બાંગ્લાદેશ આધારિત આતંકી સંગઠનો દિલ્હી તથા દેશનાં અન્ય અનેક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરે એવી શક્યતા છે, એમ ઇન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું હતું. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ઇન્ટેલિજન્સ એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબના ગેંગસ્ટર વિદેશથી કામ કરતા ખાલિસ્તાની અને કટ્ટરપંથી હેન્ડલર્સ માટે ફૂટ સોલ્જર તરીકે કામ કરી રહ્યા છે. આરોપ છે કે આ હેન્ડલર્સ પોતાના એજન્ડાને આગળ ધપાવવા અને દેશની આંતરિક સુરક્ષાને ખોરવવા માટે ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારત વિરુદ્ધ મોટું કાવતરું રચી રહ્યું છે. આ મુદ્દે ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાના ષડયંત્ર અંગે ચેતવણી જારી કરી છે. એજન્સીઓનું કહેવું છે કે જૈશના અલ-કાયદા, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં ખતરનાક સંગઠનો સાથે મજબૂત સંબંધો છે અને આ બધાં જૂથો મળીને IED આધારિત હુમલાઓની યોજના બનાવી રહ્યા છે. બીજી તરફ, જૈશ-એ-મોહમ્મદનો સરગણા મૌલાના મસૂદ અઝહર ‘ઓપરેશન સિંદૂર’ બાદથી ખૂબ સક્રિય થયો છે અને ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યો છે.જૈશના સરગના મૌલાના મસૂદ અઝહર અને તેનો સહયોગી રઉફ અસગર ભારત અંદર આતંકી હુમલાઓની યોજના બનાવી રહ્યા છે અને તેને અંજામ આપવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આશંકા છે કે સંગઠન આવનારા દિવસોમાં IED હુમલો કરવાની કોશિશ કરે એવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યા હતું.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશના કમાન્ડર મહંમદ મુસદ્દિક અને મસૂદ કાશ્મીરી કાશ્મીરમાં હાજર આતંકીઓને હુમલાઓ અંગેના નિર્દેશ આપી રહ્યા છે. મોહમ્મદ મુસદ્દિક સરહદ પારથી જૈશના આતંકીઓને ભારત અંદર ઘૂસણખોરી કરાવવામાં પણ મદદ કરી રહ્યો છે.