કિરણ ખેરને કેન્સર છેઃ અનુપમ ખેરનું સમર્થન

મુંબઈઃ ભાજપનાં ચંડીગઢના સંસદસભ્ય અને અભિનેત્રી કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હોવાના અહેવાલોને એમનાં પતિ અને અભિનેતા અનુપમ ખેરે આજે સમર્થન આપ્યું છે. કિરણને મલ્ટીપલ માઈલોમા ટાઈપનું બ્લડ કેન્સર થયું હોવાનું અનુપમે કહ્યું છે. એમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે એમની પત્ની કાયમ ફાઈટર રહી છે અને મુસીબતોનો હિંમતથી સામનો કરે છે.

ભાજપના નેતા અરૂણ સૂદે ગઈ કાલે કહ્યું હતું કે કિરણ ખેર ગયા વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે. અનુપમ ખેરે સૂદના અહેવાલને આજે ટ્વિટરના માધ્યમથી સમર્થન આપ્યું છે અને નિવેદનમાં કહ્યું છે કે અફવાઓને કારણે પરિસ્થિતિ બગડી ન જાય એટલા માટે હું અને પુત્ર સિકંદર દરેક જણને જાણ કરી દઈએ છીએ કે કિરણને મલ્ટીપલ માઈલોમા નામનું બ્લડ કેન્સર થયું છે અને તે હાલ મુંબઈમાં સારવાર હેઠળ છે.