મલાઈકા અરોરા, અર્જૂન કપૂર 19 એપ્રિલે લગ્ન કરે એવી અટકળો

મુંબઈ – બોલીવૂડ કલાકારો – મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર આવતી 19 એપ્રિલે લગ્ન કરે એવી ધારણા છે.

એવી અફવા છે કે આ યુગલ ખ્રિસ્તી રિવાજ અનુસાર લગ્ન કરશે.

બંનેનાં લગ્નપ્રસંગે કરીના કપૂર-ખાન, કરિશ્મા કપૂર, દીપિકા પદુકોણ અને રણવીર સિંહ જેવી બોલીવૂડ હસ્તીઓ હાજર રહેશે એવી પણ વાતો સંભળાય છે.

મલાઈકા અને અર્જૂન ઘણી વાર સાથે જોવા મળ્યાં છે. બંને જણ ઘણા વખતથી એકબીજાનાં પ્રેમમાં છે, પણ રિલેશનશિપ વિશે તેઓ હજી સુધી જાહેરમાં કંઈ બોલ્યાં નથી.

આઈએએનએસ સમાચાર સંસ્થાએ જ્યારે મલાઈકા સાથે લગ્નની વાતો વિશે પૂછ્યું ત્યારે અર્જૂને કહ્યું કે, એવી કંઈ વાત હશે તો તમને જણાવીશું.

મલાઈકા બોલીવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની છે. મલાઈકાએ પણ અર્જૂન સાથે તે લગ્ન કરવાની છે એવી વાતોને એક ઈન્ટરવ્યૂમાં રદિયો આપ્યો હતો. એણે ત્યારે એમ કહ્યું હતું કે આ બધી પ્રચારમાધ્યમોએ ફેલાયેલી વાતો છે.

પોતે અર્જૂનને ડેટિંગ કરી રહી છે એવું પણ મલાઈકાએ ક્યારેય કહ્યું નથી. જોકે અરબાઝ સાથે છૂટાછેડા લીધા બાદ નવો પ્યાર શોધવાના વિચાર વિશે એ બોલી ચૂકી છે. ‘દરેક જણ ઈચ્છે કે એ ફરી પ્રેમમાં પડે, કોઈક રિલેશનશિપ બનાવે. કોઈને પણ એકલાં થવું ન ગમે અને બાકીનું જીવન એકલા રહેવાનું ન ગમે. મને એ વાતનો આનંદ છે કે મેં મારી રીતે એક પસંદગી કરી લીધી છે,’ એવું ‘છૈયાં છૈયાં’ ગર્લ મલાઈકાએ કહ્યું છે.